Abtak Media Google News

સણોસરા પાસેથી બંને  ભાઈની એલસીબીએ ધરપકડ કરી કાર, મોબાઈલ અને છરી કર્યા કબજે

રેતીના ડમ્પરોના ડ્રાઈવરોની અવાર-નવાર અદલા-બદલી બાબતે ચાલતી રકઝકનો રવિવારે સાંજના સમયે ઠેબા ચોકડી નજીક આવેલા ગોકુલ વે બ્રિજ પાસે ખુરશી ઉપર બેસેલા યુવાન સાથે કાર અથડાવી છરીનો જીવલેણ ઘા ગળામાં મારી અને અન્ય યુવાન ઉપર છરી વડે હુમલો કરી હત્યાના બનાવમાં એલસીબીની ટીમે ડીસમીસ પોલીસ કર્મી સહિત બન્ને શખ્સોને સણોસરા ગામમાં પાટીયા પાસેથી દબોચી લીધા હતાં.

હત્યાના બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર ગ્રીનસિટીમાં રહેતા અને મૂળ ખંભાળિયા તાલુકાના ભાતેલના વતની યુવરાજહિં મહોબતસિંહ જાડેજા (ઉ.વ.27) નામના યુવાનને રેતીના ડમ્પરો ચાલતા હોય અને આ ડમ્પરોમાં ડમ્પરના ડ્રાઈવરોની ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજાના ડ્રાઈવરો સાથે અવાર-નવાર અદલા-બદલી ચાલતી હતી. જે બાબતે અગાઉ પણ રકઝક અને બોલાચાલી થઈ હતી તેમજ એક વર્ષ પૂર્વે પ્રદિપસિંહ સોઢાનું પાકિટ ઈશ્ર્વરસિંહના મહેતાજી જયપાલ સિંહ ચુડાસમા લઇ લીધું હતું.

જે બાબતે ઈશ્ર્વરસિંહને અપશબ્દો કહ્યા હતાં. જે બાબતનું મનદુ:ખ રાખી ઈશ્ર્વરસિંહએ પ્રદિપસિંહ અને યુવરાજસિંહને પતાવી દેવાની ધમકી આપી હતી. દરમિયાન ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજા અને વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા નામના બન્ને શખ્સોએ પૂર્વ આયોજીત કાવતરુ રચ્યું હતું અને આ કાવતરાના ભાગરૂપે જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલા ગોકુલ વે બ્રિજ પાસે યુવરાજસિંહ કાયમ બેસતા હતાં.

દરમિયાન રવિવારે સાંજના ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજાએ અગાઉથી નકકી કરેલા પ્લાન મુજબ તેના ભાઈને ગોકુલ વે બ્રિજ પાસે રાખ્યો હતો અને યુવરાજસિંહ સહિતના લોકો ત્યાં આવી ગયા હોવાની જાણ થતા ઈશ્ર્વરસિંહ તેની જીજે-10-ડીએ-0056 નંબરની સ્વીફટ કાર લઇને ત્યાં આવી પહોંચ્યા હતાં અને ખુરશી ઉપર બેસેલા યુવરાજસિંહ સાથે કાર અથડાવી પછાડી દીધા હતાં. ત્યારબાદ ઈશ્ર્વરસિંહે તેની ગાડીમાંથી છરી કાઢી યુવરાજસિંહના ગળામાં જીવલેણ ઘા મારી ઢીમ ઢાળી દીધું હતું તેમજ વિરભદ્રસિંહએ આવીને પ્રદિપસિંહ ઉપર છરી વડે હુમલો કર્યો હતો ઉપરાંત મૃતકના ભાઇ ગીરીરાજસિંહ ઉપર પણ છરીના ઘા ઝીંકયા હતાં જેમાં ગીરીરાજસિંહને હાથમાં ઈજા પહોંચી હતી.

ત્યારબાદ હુમલામાં ઘવાયેલા વ્યકિતઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં યુવરાજસિંહ જાડેજાનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું તેમજ અન્ય બે વ્યક્તિઓને સારવાર આપવામાં આવી હતી.રેતીના વ્યવસાય બાબતે થયેલી જૂની બોલાચાલીના મનદુ:ખમાં નિપજાવેલી હત્યાના આરોપીઓને દબોચી લેવા જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એેએસપી નિતેશ પાંડેય અને ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ કે.જી.ચૌધરી અને પીએસઆઈ કે.કે. ગોહિલ, વી.એમ. દેવમુરારી સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન અજયસિંહ ઝાલા અને યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે ધ્રોલ-રાજકોટ ધોરી માર્ગ પર એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને પસાર થતી જીજે-03-સીઆર-4440 નંબરની એન્ડેવર કાર પસાર થતા સણોસરા ગામના પાટીયા નજીકથી કારને આંતરીને પોલીસે ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજા અને વિરેન્દ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજા નામના બન્ને હત્યારા ભાઈઓને ઝડપી લઇ મોબાઇલ ફોન અને કાર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આરોપી ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજા વિરૂધ્ધ અગાઉ મારામારી, રાયોટીંગ, જૂગાર સહિતના સાત ગુનાઓ નોંધાયેલા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.