આગામી 8મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નવસારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન સમારોહ યોજાનાર છે. જેને અનુલક્ષીને નવસારી, ડાંગ સહિત વલસાડ જિલ્લા તંત્ર તાબડતોબ તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયું છે. આજરોજ જળ શક્તિ મંત્રી અને નવસારી જિલ્લા સાંસદ સી. આર. પાટીલ તેમજ સ્થાનિક પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિતિ રહી કાર્યક્રમની તૈયારીઓ અંગે સ્થળ મુલાકાત લઈ સમગ્ર તૈયારીઓ અંગે જાત નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટર ક્ષિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા અને અન્ય ઉચ્ચ અધિકારી કર્મચારીઓ પોતાની વ્યવસ્થાઓ અંગે મંત્રી સહિત પદાધિકારીઓને અવગત કર્યા હતા. જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે આયોજિત લખપતિ દીદી સન્માન સમારોહમાં અંદાજિત 1 લાખથી વધારે મહિલાઓ ભાગ લેનાર છે ત્યારે કાર્યક્રમ પૂર્વે મંત્રીએ લાભાર્થીઓની વિગત મેળવી હતી.
તેમણે કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત જળ સંચયની થીમ આધારિત એક સ્ટોલ રાખવા સહિત વિવિધ સૂચનો કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત મુલાકાત દરમિયાન ઉપસ્થિત જલાલપોર ધારાસભ્યશ્રી આર. સી. પટેલ, ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, સહિત વિવિધ પદાધિકારીઓએ કાર્યકમમાં વાહન વ્યવહારની વ્યવસ્થા, ફૂડ પેકેટ, બેઠક વ્યવસ્થા, આરોગ્યની ટીમ, વોશરૂમ, પીવાનું પાણી સહિત આનુસાંગિક વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. નોંધનીય છે કે, સમગ્ર વ્યવસ્થા અને તૈયારીઓ જોઈ મંત્રીશ્રી સહીત પદાધિકારીઓએ જિલ્લા તંત્રના સૂચારૂ આયોજનનો તાગ મેળવી લેતા કામગીરી બિરદાવી આવી જ કામગીરી આગળ ધાપાવવા તંત્રને પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાતમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી. એમ. પંડ્યા સહિતના વિવિધ પદાધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.