Abtak Media Google News

ભારતે હંમેશાં કહ્યું છે કે પાકિસ્તાન તેના દેશમાં આતંકવાદની આશ્રય આપે છે, અને આ વાતને સાબિત કરવા સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ અનેક પુરાવા પણ આપવામાં આવ્યા છે. હવે અમેરિકાએ પણ આ વાતમાં ભારતનો સાથ આપ્યો છે. ત્યાંના એક વરિષ્ઠ સાંસદએ કહ્યું છે કે, “અફઘાનિસ્તાનમાં તાલિબાનના મૂળિયા છુપાયેલા છે, પણ તેની પાછળ પાકિસ્તાનનો હાથ છે. પાકિસ્તાન તે બધાને પોતાના દેશમાં આશ્રય આપે છે.”

સીનેટ સશસ્ત્ર સેવા સમિતિના અધ્યક્ષ જેક રીડે ગુરુવારે સંસદમાં કહ્યું, “તાલિબાનની સફળતામાં મોટો ફાળો પાકિસ્તાનનો છે. પાકિસ્તાન તાલિબાનને આશ્રય આપે છે, તે વાતની અમેરિકાને ખબર હોવા છતાં, તેનો ખાતમો કરવામાં અમેરિકા નિષ્ફળ ગયું છે. તાલિબાનને સહાય આપવા ISI જેવા સંગઠનો દ્વારા પાકિસ્તાનને સહાય આપવામાં આવે છે. ”

જેક રીડે આગળ વાત કરતા કહ્યું કે , “અફઘાન અધ્યન જૂથના અહેવાલ મુજબ આતંકવાદને પાકિસ્તાનના આશ્રયની જરૂર છે. આ સિવાય, પાકિસ્તાની ખુફિયા એજન્સી ISIએ તકોનો લાભ ઉઠાવી USAનો સહયોગ લઈ તાલિબાનોને મદદ કરી હતી.”

રીડે કહ્યું હતું કે, “2018માં થયેલા હુમલા પર, પાકિસ્તાને તેના સૈન્ય અને ખુફિયા રીતે સમર્થન પૂરું પાડ્યું હતું, જેના પરિણામે અમેરિકન સૈનિકો, અફઘાન સુરક્ષા દળના જવાનો અને નાગરિકોનાં મોત થયા હતા. આ સાથે અફઘાનિસ્તાનમાં વિનાશ સર્જાયો હતો. પાકિસ્તાને બંને પક્ષનો લાભ લેવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાન અત્યારે ખુબ કમજોર દેશ છે. લાંબા સમયથી તેના પાડોશી ભારત સાથે તે વિવાદમાં રહ્યું છે જયારે ભારત પરમાણુ શસ્ત્રોથી સંપન્ન દેશ છે.”

રાષ્ટ્રપતિ જો બિડેને એક ટેલીવિઝન દ્વારા રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું હતું કે, “સંઘર્ષગ્રસ્ત અફઘાનિસ્તાનથી USAના તમામ સૈનિકોને 11 સપ્ટેમ્બર સુધીમાં પાછા બોલાવી લેવામાં આવશે, જેનાથી અમેરિકાના સૌથી લાંબા સંઘર્ષનો અંત આવશે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.