Abtak Media Google News

કોર્પોરેશનને રૂા.13 લાખની આવક: મહાત્મા ગાંધી મ્યુઝિયમની માત્ર 1436 લોકોએ મુલાકાત લીધી

પ્રદ્યુમન ઝૂ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ઉત્તમ સ્થળ બની ગયું છે. દિવાળી તથા જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મુલાકાતીઓની વિશેષ ભીડ રહે છે. ઝૂ ખાતે દિવાળીથી ત્રિજ સુધીના ચાર દિવસમાં કુલ 52,275 સહેલાણીઓ પધારતા મહાપાલિકાને રૂા.13,07,205/-ની આવક થયેલ છે. તહેવારોને ધ્યાને રાખી ગત શુક્રવાર નૂતન વર્ષના દિવસે પણ ઝૂ મુલાકાતીઓ માટે શરૂ રાખવામાં આવેલ હતું.

નિયમીત રીતે ઝૂ દર શુક્રવારે વિકલી મેઇન્ટેનન્સ માટે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે નુતન વર્ષના દિવસે શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓની સગવડતા માટે અને મુલાકાતીઓ નુતન વર્ષના દિવસે પાર્કની મુલાકાત લઇ શકે તે હેતુથી શુક્રવારના દિવસે ઝૂ શરૂ  રખાતા આ દિવસે 14,849 મુલાકાતીઓ આવ્યા હતાં.

તહેવારનાં દિવસોમાં મુલાકાતીઓની વિશેષ ભીડ રહેતી હોવાથી તંત્ર દ્વારા અગાઉથી જ મુલાકાતીઓને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવેલ. જેમાં ટીકીટ બુકીંગ માટે લાંબી કતારો ન લાગે તે માટે 06 ટીકીટ બુકીંગ કાઉન્ટર શરૂ કરવામાં આવેલ, મુલાકાતીઓ માટે હેન્ડ સેનીટાઇઝર, થર્મલ ગન તથા ફર્સ્ટ એઇડ સુવીધા, વાહન પાર્કીગમાં મુશ્કેલી ન પડે તે માટે વધારાના સીક્યુરીટી ગાર્ડની વ્યવસ્થા, બેટરીકાર માટેનું અલગ સ્ટેન્ડ, માઇકીંગ સીસ્ટમ, સમગ્ર ઝૂ પરીસરમાં વહેલી સવારથી જ દૈનીક સફાઇ વ્યવસ્થા વિગેરે કરવામાં આવી હતી. તંત્ર દ્વારા અગાઉથી જ તમામ તૈયારીઓ કરાતા મુલાકાતીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ પડેલ નથી અને મુલાકાતીઓ તરફથી એકપણ ફરીયાદ મળી નથી.

હાલ રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે જુદી જુદી 57 પ્રજાતિઓનાં કુલ 456 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્યપ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. દિવાળી તહેવારમાં માત્ર 1,436 નાગરિકોએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.

ભાઇબીજે 22,836 બહેનોએ મફ્તમાં માણી સિટી બસ-બીઆરટીએસની સવારી

“ભાઇબીજ” નિમિત્તે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવાનો વધુ ને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ-સ્ત્રીઓ માટે “ભાઇબીજ” નિમિત્તે “ફ્રી બસ સેવા” પુરી પાડવા નક્કી કરવામાં આવેલ હતું. જે અંતર્ગત સિટી બસમાં 15,563 અને બી.આર.ટી.એસ.માં 7,273 એમ કુલ મળીને 22,836 મહિલાઓએ નિ:શુલ્ક મુસાફરી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.