Abtak Media Google News

છેલ્લા ત્રણ દિવસથી કોવિશિલ્ડનો જથ્થો ન ફાળવાતા 33 સેશન સાઈટ પરથી માત્ર કો-વેક્સિન જ અપાઈ

છેલ્લા 2 મહિનાથી રાજકોટને જરૂરીયાત મુજબ વેક્સિનનો જથ્થો ફાળવવામાં ન આવતો હોવાથી વેક્સિનની કામગીરી પર અસર પડી રહી છે. વેક્સિનના ધાંધીયા સતત ચાલુ છે. છેલ્લા ત્રણ દિવસથી કોવિશિલ્ડનો જથ્થો ફાળવવામાં આવતો ન હોવાના કારણે આજે 33 સેશન સાઈટ પરથી માત્ર કો-વેક્સિનની જ રસી આપવામાં આવી હતી. જે લોકોને કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો છે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

કોરોનાને નાથવા માટે એકમાત્ર હાથવગુ હથિયાર વેક્સિનેશન છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનને પુરતા પ્રમાણમાં જથ્થો ફાળવવામાં આવતો ન હોવાથી છેલ્લા 2 મહિનાથી વેક્સિનેશનની કામગીરી ધાર્યા મુજબ થતી નથી. જેના કારણે લક્ષ્યાંકો સિદ્ધ કરી શકાતા નથી.છેલ્લા ત્રણ દિવસથી રાજકોટને કોવિશિલ્ડના ડોઝ ફાળવવામાં આવ્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

જેના કારણે આજે 31 સેશન સાઈટ પરથી કો-વેક્સિન રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે બે સેશન સાઈટ પરથી માત્ર બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 67 હજારથી વધુ લોકોને બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો હોવા છતાં તેઓ વેક્સિન લેવા આવતા ન હોવાના કારણે માત્રને માત્ર બીજા ડોઝ માટે 3 સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે કોવિશિલ્ડનો ડોઝ ફાળવવાનો બંધ કરી દેવાતા વધુ મુશ્કેલી ઉભી થવા પામી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ ચોક્કસ એવું જણાવી રહ્યાં છે કે, આજથી ફરી કોવિશિલ્ડનો જથ્થો ફાળવી દેવામાં આવશે પરંતુ તેવી શકયતા ખુબજ નહીંવત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.