Abtak Media Google News

વાંકાનેરની કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ફૂલ નવા દર્દીઓને મોરબી, રાજકોટ ખસેડાય છે 

બંન્ને સ્મશાનમાં અગ્નિદાહની સંખ્યા વધતા લાકડા ખૂટ્યા 

 

વાંકાનેરમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે અને શહેરની સરકારી કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ફુલ થઇ ગઇ હોવાનું અને નવા દર્દીઓને સારવાર માટે રાજકોટ કે મોરબી તરફ દોડ મુકવી પડે છે.બીજી બાજુ સરકારી હોસ્પિટલમાં કોવિડ કામગીરી સાથે સંકળાયેલા ડોકટર અને સ્ટાફ પણ અડધા ભાગનો બીમારીમાં સંપડાયો છે. અને ટુકા સ્ટાફ વડે ડોકટરો 70થી 72 કલાક સતત સેવા આપતા હોવાનું હોસ્પિટલના ફારેથી સાંભળવા માટે છે. અને આ ડોકટર અને સ્ટાફની દશા પણ દયનીય બની ગઇ છે.

તાત્કાલીક વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં સ્ટાફ વધારવાની તાતી જરૂરીયાત છે વાંકાનેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી જુદી જુદી બીમારીઓ સબબ દરરોજ 6થી 8 લોકોના મૃત્યુ થતા હોય બંન્ને સ્મશાન ગૃહ ઉપર અંતીમ વિધિ માટે મૃતદેહો આવતા હોવાથી આ બંન્ને સ્મશાન ગૃહમાં અગ્નિદાહ માટેના લાકડા પણ ખુટી ગયા છે અને લકાડા માટે ભાટીયા સોસાયટીના યુવાનો દોડધામ કરી રહ્યા છે. ત્યારે દાતા પરિવારોએ આ માટે સહયોગી બને અથવા સરકારી તંત્ર બંન્ને સ્માશાન ઉપર લાકડાની વ્યવસ્થા કરે તેવી પ્રજા માંથી ઉઠી છે.

શહેરમાં શરદી, તાવ, ઉધરસના દર્દીઓની હોસ્પિટલો ઉભરાઇ રહી છે અને ઘણા લોકો કોરોનાની ગંભીર બીમારીમાં પણ સપડાયા છે.બીજી બાજુ શહેરમાં નગરપાલિકા દ્વારા પીવા માટેનું જે પાણી વિતરણ થાય છે તે પણ ડહોળું અને દુર્ગધ વાળુ આવતુ હોવાની બુમરાણ પ્રજામાંથી ઉઠી છે.શહેરમાં પાલિકા દ્વારા ફોગીગ કામગીરી ચાલે છે તેને વધુ વેગવંતી બનાવવા શહેરભરમાં સેનેટાઇઝરીંગ કરવા ડી.ડી.ટી.નો છટકાવ વધુ  કરવાની તાતી જરૂરત છે.

ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાની બીજી લહેરથી ઘણા બધા ઘરોમાં પોઝિટીવ કેસો વધ્યા છે. આરોગ્ય ખાતા દ્વારા ઘોડા છુટયા પછી તબેલાને તાળા મારવા જેવા ઘાટ જોવા મળે છે.

ગ્રામ્ય વિસ્તારમાં કેસો વધતા ધન્વંત્રી રથો દોડતા જોવા મળી રહ્યા છે. તાલુકા હેલ્થ અધિકારી પણ કોરોનાની ઝપટે ચડી ગયા છે.કોરોના મહામારીને પગલે વાંકાનેરના બીયારણ અને એગ્રો બીજના વેપારીઓએ બપોર બાદ સ્વચ્છાએ ધંધા બંધ કરી લોકડાઉન જાહેર કર્યુ છે જો કે ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરેલા આ મહામારીને પગલે ગ્રામ્ય પ્રજા પણ વાંકાનેરમાં ઓછી આવે છે અને બપોરથી બજારો સુમસામ થવા લાગે છે.

વેપારીઓ પણ નવરા ઘુપ થઇને બેઠા જોવા મળે છે. વાંકાનેર માર્કેટીંગ યાર્ડ પણ તારીખ 18-4-21 સુધી બંધ રાખવામાં આવ્યું છે. વાંકાનેરના ધારાસભય જાવીદભાઇ પીરઝાદાએ પણ મોરબી જીલ્લા કલેકટરને પત્ર લખી વાંકાનેરને કોરોના માટેના જરૂરી ઇન્જેકશનો અને ઓકસિજન સિલિન્ડરનો જથ્થો પુરુ પાડવા પત્ર પાઠવી માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.