Abtak Media Google News

ગુજરાતમાં કોરોના હવે કાબૂમાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ સંક્રમણ હવે નિયંત્રણમાં છે. ત્યારે લોકોમાં એવી આશા બંધાઈ છે કે આ વર્ષે 12 જુલાઈએ તો ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. મંદિર તરફથી રથયાત્રા કાઢવા માટે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવશે. એ ઉપરાંત સરકાર તરફથી જે રીતે મંજૂરી અપાશે એવી રીતે રથયાત્રા કાઢવા મંદિર તરફથી તૈયારી દર્શાવાઈ છે. જ્યારે બીજી બાજુ મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપતાં કહ્યું હતું કે રથયાત્રા માટે યોગ્ય સમયે નિર્ણય લઈશું.

રથયાત્રા કાઢવા મુદ્દે મક્કમ રહેલા મંદિર દ્વારા તમામ તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ, મંજૂરી મળશે કે કેમ તેના ઉપર પ્રશ્નાર્થ

મુખ્યમંત્રીએ કહ્યું હતું તે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે યોગ્ય સમયે નિર્ણય લેવાશે. હજી પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ છે. ત્યારે પ્રજાની સાવચેતી અને સલામતી માટેની જવાબદારી બને છે. આપણે લોકડાઉન વિના જ કોરોનાને હરાવ્યો છે. સ્થિતિ હવે નિયંત્રિત થઈ રહી છે, પરંતુ રથયાત્રા કાઢવા યોગ્ય સમયે જ નિર્ણય લેવાશે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે રથયાત્રાની તૈયારીઓને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. રથયાત્રાને લઈ મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ

આજે સવારે જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે વેક્સિનેશન કેમ્પના ઉદઘાટન બાદ સેકટર 1 જેસીપી રાજેન્દ્ર અસારીએ જગન્નાથ મંદિરમાં દર્શન કર્યાં હતાં. દર્શન કર્યાં બાદ સેક્ટર 1 જેસીપી રાજેન્દ્ર અસારી, ડીસીપી ઝોન 3 મકરંદ ચૌહાણ , એસીપી અને પીઆઇ સાજીદ બલોચે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે ચર્ચાવિચારણા કરી હતી. પોલીસ કમિશનરની વીડિયો-કોન્ફરન્સ બાદ આજે જેસીપીએ મુલાકાત લેતાં હવે રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આજે ખલાસી ભાઈઓએ પણ મીટિંગ કરી હતી અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવતું હોય છે. અખાત્રીજના દિવસે સવારે સાડાનવ વાગ્યાની આસપાસ જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રથનું પૂજન કર્યું હતું. માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી.

 

ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પહેલીવાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી. કોરોનાને કારણે રથયાત્રા છેલ્લે સુધી કાઢવા મામલે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી. હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી. બાદમાં છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. ભગવાન જગન્નાથજીના રથને પહિંદવિધિ કરી અને મંદિરના ગેટ સુધી જ લઈ જવાયો હતો. ત્યાર બાદ ત્રણેય રથને મંદિરમાં જ ફેરવવામાં આવ્યા હતા અને ભક્તોનાં દર્શન માટે મૂકવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.