Abtak Media Google News

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામમાં ગઈકાલે તૃણમુલ કોંગ્રેસનો વિજય થયો હતો પરંતુ પક્ષ માટે ગઢ આવ્યો પણ સિંહ ગયો જેવી પરિસ્થિતિમાં 2/3 બહુમતિ મેળવવામાં સફળ થયેલ તૃણમુલ કોંગ્રેસને આ જીતની કિંમત મમતા બેનર્જીના પરાજયથી ચૂકવવી પડી હોય તેવી સ્થિતિમાં રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અને અમીત શાહના નેતૃત્વએ જે રીતે પશ્ર્ચિમ બંગાળનો ગઢ જીતવા મહેનત કરી હતી તેમાં ભાજપની પરિસ્થિતિ સુધરી છે પરંતુ સત્તા પ્રાપ્ત કરવામાં સફળતા નથી મળી. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસ માટે આ વિજય આનંદના બદલે મમતા બેનર્જીના પરાજયથી કડવો ઘુંટડો બની રહ્યું છે.

પશ્ચિમ બંગાળના રાજકારણમાં સતત ત્રણ ટર્મથી દિગ્વિજય રહેલા મમતા દીદીએ આ વખતે વ્હીલચેર પર બેસીને પ્રતિષ્ઠાના જંગ બનેલી ચૂંટણીમાં 2016ની પરિસ્થિતિને સુધારી 211 બેઠકો મેળવવામાં સફળતા મેળવી છે. ભાજપ અને કોંગ્રેસ જેવા દિગ્ગજ હરીફો અને રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરીના દબાણ છતાં મમતા બેનર્જીએ જીત મેળવામાં સફળતા મેળવી છે. મમતા બેનર્જીએ પશ્ર્ચિમ બંગાળમાં તો તામિલનાડુમાં એમ.કે.સ્ટાલીનની ડીએમકે, કેરળમાં વિપક્ષ સામે લાંબા સમયની લડતનું પરિણામ આ વખતે મળ્યું હોય તેવું દેખાય રહ્યું છે.

સીપીએમના પીનારાયજી વિજયનનો વિજય પણ એક નવો અધ્યાય બન્યો છે. આ વખતે ચૂંટણીઓમાં ધૃવિકરણની એક મર્યાદા બંધાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. આસામમાં ભાજપે અવેધ રીતે થયેલી હિજરત અને સીએએને ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો પરંતુ તેમાં સફળતા મળી નથી. પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ પોતાની સ્થાનિક છબીનો ઉપયોગ કરી મુસ્લિમ મતો પર પ્રભુત્વ મેળવ્યું હતું. આ ચૂંટણીમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસ માટે પણ મતોના ધૃવિકરણની પરિસ્થિતિ માફક આવી નથી. પશ્ર્ચિમ બંગાળમાં રાષ્ટ્રવાદ અને કેરળમાં કોંગ્રેસનો બિનસાંપ્રદાયિકવાદ ચાલ્યો નથી.

ચૂંટણીમાં સ્થાનિક નેતાઓની પ્રતિષ્ઠા કામમાં આવી છે. મમતા બેનર્જી, નવીન પટનાયક, જગનમોહન રેડ્ડી, સ્ટાલીન, પિનારાયજી વિજયન જેવા સ્થાનિક નેતાઓના પ્રભાવથી પોત-પોતાના પક્ષને ફાયદો થયો હતો. ઉત્તરપ્રદેશમાં જોવા જઈએ તો 2022ની ચૂંટણી બાદ 2024માં લોકસભામાં ભાજપ માટે જે સ્થિતિ ઉભી કરવાની જરૂર છે તેનો એક રોડ મેપ તૈયાર થઈ ગયો છે. આ ચૂંટણીમાં કોરોનાની બીજી લહેર, સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો બહુ મોટો પ્રભાવ જોવા મળ્યો છે. પશ્ર્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકાર દ્વારા સેવવામાં આવતી પક્ષપાતની નીતિ અને રાજકારણે ભાજપને તૃણમુલ કોંગ્રેસ સામે પછડાટ અપાવી છે. ભાજપને આ એક મોટો ફટકો બની રહ્યો હતો. ભાજપે એક નવો ઈતિહાસ પણ બનાવ્યો છે તેણે પોતાના સહયોગીઓનો સહારો વિશેષપણે લીધો હતો.

કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષે આસામમાં જે રીતે કામ કર્યું હતું તે તેને ફળ્યું હતું. તામિલનાડુ અને કેરળમાં સીપીએમનો પ્રભાવ જોવા મળ્યો હતો. ટીએમસીએ માત્રને માત્ર મમતા બેનર્જી અને સ્થાનિક નેતાઓની સાંખ પર જ આખી ચૂંટણી લડી હતી. આસામમાં તરૂણ ગોગોઈએ મોટુ પરિબળ કામ કર્યું છે. અત્યારના આવેલા પરિણામમાં પશ્ર્ચિમ બંગાળમાં જે રીતે મમતા બેનર્જીની મહેનત રંગ લાવી છે. ત્યારે મમતા બેનર્જીના પરાજયથી આ ઘુંટડો કડવો બનાવી દીધો છે.

મોદી-મમતા રમ્યા, રમત તો ‘કિશોર’ની જ ચાલી

મહાભારતનું યુદ્ધ જીતવામાં પાંડવોને સફળતા મળી હતી તેના કારણમાં અર્જૂનને સારથી તરીકે ભગવાન શ્રીકૃષ્ણનો સાથ મળ્યો હતો. કોઈપણ યુદ્ધમાં સારથી અને સલાહકાર નિપૂર્ણ હોય તો પરિણામ જુદુ આવી શકે છે. તાજેતરની ચૂંટણીઓમાં વધુ એકવાર રાજકીય સલાહકાર પ્રશાંત કિશોરની ચૂંટણી ચાણક્ય નીતિનો વિજય થયો છે. મોદી અને મમતા રમ્યા પણ રમત તો પ્રશાંત કિશોરની જ ચાલી છે.

મમતા બેનર્જીએ ચૂંટણી પ્રચાર અને વ્યૂહરચનાની ચાવી પ્રશાંત કિશોરને સોંપી હતી. ભાજપે કેસરીયો મુદ્દો છેડ્યો તો પ્રશાંત કિશોરના હેલ્લો એ કમાલ દેખાડી. મમતાની સાથે સાથે પ્રશાંત કિશોરે તામિલનાડુમાં સ્ટાલીનને પણ મદદ કરી હતી. 2014માં પ્રશાંત કિશોરે નરેન્દ્ર મોદીને મદદ કરી હતી. નીતિષકુમારને 2015માં જીત અપાવી હતી. આ વખતે પણ પ્રશાંત કિશોરનું પાનુ પશ્ર્ચિમ બંગાળમાં ચાલ્યું હતું. પ્રશાંત કિશોરની રાજકીય કુટનીતિ અને પક્ષને સુત્ર આપવાની કેફીયતથી પરિણામો ફરી જાય છે. પ્રશાંત કિશોરે આ વખતે દીદી કે બોલો, દ્વારે સરકાર જેવી રણનીતિ અને ચૂંટણી કમ્પેઈન આપીને ભાજપના સ્ટાર પ્રચારકોની મહેનત સામે મતદારોને મમતા બેનર્જીના કરેલા કામો પર વિચારતા મજબુર કરી દીધા હતા. બિહારમાં સફળ ચૂંટણી રણનીતિ બાદ પ્રશાંત કિશોરે પંજાબમાં પણ કામ કર્યું હતું. આ વખતે પણ પ્રશાંત કિશોરનું કામ રંગ લાવ્યું.

લેફટ-રાઈટ બન્ને ફેઈલ

ડાબેરીઓ અને કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો

પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશની ચૂંટણીઓમાં ડાબેરીઓ અને જમણેરીઓ બન્ને લોકોનો જનાધાર મેળવવામાં નિષ્ફળ પુરવાર થયા હોય તેમ કોંગ્રેસ સતત ને સતત દરેક ચૂંટણીમાં હાસીયામાં ધકેલાતું જાય છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની મહેનત પણ કામ આવતી નથી. કોંગ્રેસને કેરળમાં ફાયદો થયો પરંતુ યુડીએફ અને એલડીએફને સફળ થવામાં મુશ્કેલી ઉભી થઈ છે. રાજ્યમાં એન્ટી ઈન્કમબન્સી મતોથી શાસકને મોટુ નુકશાન ભોગવવું પડ્યું છે. આસામમાં પણ ભાજપ અને તેના સહયોગીઓ માટે કોંગ્રેસનો બદરુદ્દીન અઝમલ જેવા સાથે હાથ મેળવવાનું પરિબળ કામ કરી ગયું.

કેન્દ્ર શાસીતમાં કોંગ્રેસ અને તેના સહયોગીઓના જાકારાના મતદાને પરિણામ આખુ અલગ ઉભુ કર્યું છે. પશ્ર્ચિમ બંગાળમાં કોંગ્રેસ ક્યારેય તક મેળવવામાં સફળ થયું નથી. પ્રદેશ અધ્યક્ષ અધીન રંજન ચૌધરીએ અબ્બાસ સીદીકી સાથે હાથ મિલાવવાની કિંમત પક્ષને ચૂકવવી પડી છે. પશ્ર્ચિમ બંગાળમાં ડાબેરી-જમણેરીઓ કોઈ ચાલ્યું નથી. ભાજપે નરેન્દ્ર મોદી, અમિત શાહ જેવા દિગ્ગજોની શાખ દાવ પર લગાવી છતાં પરિણામ મળ્યું નથી. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં કોંગ્રેસની પરિસ્થિતિ સંતોષજનક પણ નથી. ભાજપે મધ્યપ્રદેશમાં 65 માંથી 62 લોકસભાની બેઠકો જીતી હતી. કોંગ્રેસ માત્ર 2 બેઠકો અને છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં 1-1 બેઠક જીતી હતી. કોંગ્રેસ સત્તા તો શું પરંતુ અસ્તિત્વ ટકાવવામાં પણ નિષ્ફળ નિવડી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. કર્ણાટકમાં પણ તેનું પુનરાવર્તન થયું છે. આ ચૂંટણીમાં ડાબેરી અને જમણેરીઓનો સફાયો થઈ ગયો છે.

 

3 થી 76 પહોંચેલ ભાજપને 2024ની લોકસભામાં ફાયદો કરી દેશે

પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં 3 થી 76એ પહોંચેલ ભાજપ માટે 2024ની લોકસભાની ચૂંટણી માટે રોડમેપ તૈયાર થઈ ગયો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. વડાપ્રધાન મોદીના સુશાસન અને અમિત શાહ સહિતના પક્ષના મોવડીઓ દ્વારા કરવામાં આવતા સતત લોકસંપર્ક અને મહેનતનો રંગ આવ્યો હોય તેમ દરેક રાજ્યમાં ભાજપની પરિસ્થિતિ સુધરી છે અને 3 માંથી 76એ પહોંચેલી ભાજપની પરિસ્થિતિ લોકસભાની આગામી ચૂંટણીમાં ખુબજ માફક આવી જશે.

મમતાને ‘માહલ્યા’ની હરિફાઈ ભારે પડી

પશ્ચિમ બંગાળમાં તૃણમુલ માટે ગઢ આવ્યો પણ સિંહ ગયો જેવી પરિસ્થિતિમાં નંદીગ્રામમાં મમતા બેનર્જીને તેનો જ એક જમાનાનો વિશ્ર્વાસુ સુવેન્દુ અધિકારી નડી ગયા હતા. એક જ બેઠક પરથી ચૂંટણી લડવાની જીદ અને પોતાનો જ વિશ્ર્વાસુ હરિફ બનીને સામે આવ્યાની પરિસ્થિતિમાં વાઘણને મ્હાત ખાવી પડી છે.

સમાજ સેવકને મત માગવા નિકળવું ન પડે

કેરળમાં મુખ્યમંત્રીથી પણ વધુ માર્જીનથી સેલજાનો વિજય

કેરળમાં આરોગ્ય મંત્રી કે કે સેલ્જાએ સૌથી વધુ 61035 મતો મેળવીને કેરળના રાજકીય ઈતિહાસમાં સૌથી વધુ મતો મેળવવાનો ઈતિહાસ રચ્યો હતો. મતનુરમાંથી ચૂંટણી લડેલા પૂર્વ આરોગ્ય પ્રધાને 61035 મતો મેળવીને ઈતિહાસ રચ્યો છે. મુખ્યમંત્રી પિનારાયજી વિજયનને પણ 50,000 મતોની લીડ મળી હતી. ગઈ ટર્મમાં સેલ્જા 12291ની લીડથી જીત્યા હતા. પરંતુ કોરોના વાયરસ અને અગાઉ આવેલા નિપા વાયરસ જેવી મહામારીમાં સેલ્જા દેવીએ કરેલુ કામ તેમની લોકપ્રિયતામાં કર્યું કામ બોલે તેમ નિપા અને કોરોનામાં કરેલા કામોએ સેલ્જાને વિજય અપાવ્યો હતો.

મોરવાહડફ સાથે 99 થી 112એ પહોંચેલુ ભાજપ

ગુજરાતમાં મોરવાહડફ પેટા ચૂંટણીમાં ભાજપના વિજયે વિધાનસભામાં ભાજપની સંખ્યા 112એ પહોંચી છે. 182ની વિધાનસભામાં વિપક્ષ પાસે 77 બેઠક હતી. 2017માં 65ની સંખ્યા સામે ભાજપ 99એ પહોંચ્યું હતું. 2017માં આ પરિસ્થિતિ સામે અત્યારે ભાજપની સંખ્યા 112એ પહોંચી છે. અન્ય પક્ષોમાં છોટુ વસાવા, ડીટીપીના 2 ધારાસભ્યો, એનસીપીના 1 અને અપક્ષ જીગ્નેશ મેવાણીની પરિસ્થિતિએ ભાજપ અત્યારે 112ના આંકે પહોંચી ચૂક્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.