Abtak Media Google News

વરસાદની સિઝન શરૂ થતા જિલ્લામાં વાવેતર કરેલ પાકને જરૂરીયાત મુજબ જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતરની જરૂરીયાત રહેતી હોય છે જેમાં ઘણીવાર ખેડૂતો ભળતા નામ વાળી દવાઓ તથા ખાતરની ખરીદી કરતા નુકશાની વેઠવાનો વારો આવે છે. જેને ખેડુતોને ખાસ કાળજી રાખવા વિનંતી કરવામાં આવી છે. જંતુનાશક દવા, બિયારણ તથા રાસાયણિક ખાતરની ખરીદી હંમશા તેના અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠત વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાની બોટલ/ટીન તથા બિયારણની થેલી સીલબંધ છે કે કેમ ? તેની ખાતરી કરવી તથા કોઇ પણ સંજોગોમાં મુદત પુરી થયેલ જંતુનાશક દવા અથવા તો બિયારણની ખરીદી કરવી નહીં .

ત્રણેય ઇનપુટના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પુરેપુરા નામ/સરનામા તથા તેની સહીવાળા બીલમાં ઉત્પાદકનું નામ/લોટ નંબર/બેચ નંબર તથા જંતુનાશક દવા અને બિયારણના કિસ્સામાં તેની ઉત્પાદન અને મુદત પુરી થયા તારીખ વગેરે તમામ વિગતો દર્શાવતું પાકુ બીલ મેળવી લેવું અને બીલમાં દર્શાવેલ વિગતોની ખરાઇ થેલી/ટીન/લેબલ સાથે અવશ્ય કરી લેવી. ખાતરની થેલી/બારદાન ઉપર યથા પ્રસંગ ફર્ટીલાઇકઝર, બાયોફર્ટીલાઇઝર, ઓર્ગેનિક ફર્ટીલાઇઝર અથવા તો નોન-એડીબલ ડી-ઓઇલ્ડ કેક ફર્ટીલાઇઝર એવો શબ્દ લખેલ ન હોય તો તેવી થેલીમાં ભરેલ પદાર્થ ખરેખર ખાતરને બદલે કોઇ ભળતો પદાર્થ હોઇ શકે અને આવા પદાર્થોની ખાતર તરીકે ખરીદી ન કરવી.

વૃધ્ધિ કારકો (ગ્રોથ હોરમોન) સહિત જંતુનાશક દવાના લેબલ ઉપર સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ દ્વારા આપવામાં આવેલ તેનો સી.આઇ.બી. રજીસ્ટેશન નંબર તથા ઉત્પાદન લાયસન્સ નંબર લખેલ ન હોય તેમજ તેના લેબલ ઉપર ૪૫ ॰ ના ખુણે હીરાના આકારમાં મુકેલ ચોરસમાં બે ત્રિકોણ પૈકી નીચેના ત્રિકોણમાં ચળકતો લાલ, પીળો, વાદળી, કે લીલો રંગ જ્યારે ઉપરના ત્રિકોણમાં તેના ઝેરીપણા અંગેની નિશાની/ચેતવણી લખેલ ન હોય તે વૃધ્ધિકારકો/જંતુનાશક દવાની બોટલ/પાઉચ/પેકેટ/થેલીમાં રહેલ વૃધ્ધિકારકો/ જંતુનાશક દવાની ગુણવત્તાની કોઇ ખાતરી ન હોવાથી આવા વૃધ્ધિકારકો/જંતુનાશકોની ખરીદી કોઇ પણ સંજોગોમાં ન કરવી.
આ ઉપરાંત ખાતર, બિયારણ અને જંતુનાશક દવાની ગુણવત્તા અંગે કોઇ શંકા કે સંશય હોય તો આપના જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ), મદદનીશ ખેતી નિયામકશ્રી (ગુ.નિ), ખેતીવાડી અધિકારીશ્રી/વિસ્તરણ અધિકારીશ્રી/ગ્રામ સેવકનો સપર્ક કરવો તથા આ અંગે નાયબ ખેતી નિયામક(વિ.), હિંમતનગરની કચેરીના ટેલીફોન નં:૦૨૭૭૨-૨૪૦૯૯૩ તેમજ [email protected] ઉપર પણ કચેરી સમય દરમ્યાન આપની રજુઆત / ફરીયાદ કરવા નાયબ ખેતી નિયામક(વિ.) શ્રી પી.બી.ખીસ્તરીયા દ્વારા ખેડૂતોને અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.