Abtak Media Google News

મકરસંક્રાંતિના દિવસે સૂર્યનું તેજ અન્ય દિવસોની સરખામણીએ ખૂબ જ વધુ: સૂર્યના કિરણો ત્વચા, શરીર અને હાડકામાં ઉતરીને શરીરને ઉર્જાવાન બનાવે છે અને રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે

શા માટે ૧૪મી જાન્યુઆરીએ જ મકર સંક્રાતિ ઉજવવામાં આવે છે કેમ કે સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત-દિવસ સરખા એટલે કે ૧૨-૧૨ કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે. એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે. આ ઉપરાંત ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહે છે. આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે. સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. ૧૪ જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે માટે આ તહેવારને મકરસંક્રાંતિ પણ કહેવાય છે. ઉતરાયણ પર મોટેભાગે ત્રણેય ઋતુનું સંગમ થતું જોવા મળે છે. વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો અહેસાસ જ્યારે બપોરે ગરમી નો અનુભવ થાય છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્યનું તેજ અન્ય દિવસોની સરખામણીએ ખૂબ જ વધુ: સૂર્યના કિરણો ત્વચા, શરીર અને હાડકામાં ઉતરીને શરીરને ઉર્જાવાન બનાવે છે અને રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.

મકરસંક્રાંતિ એ ભારતનો કૃષિક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઇ.સ.૨૦૧૬નાં જાન્યુઆરી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકરસંક્રાંતિ ૧૪ જાન્યુઆરીના બદલે ૧૫ જાન્યુઆરીના દિવસે હતી.

આજની વાત કરીએ તો આજે ચીનથી લઈને કોરિયા સુધી અને સમગ્ર એશિયામાં પણ જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત થઈ છે અને પતંગ ઉડાવવા પાછળના વિવિધ સાંસ્કૃતિક હેતુઓ પણ જોડાવા લાગ્યા છે. પતંગ આજે ભલે મોજ-શોખ માટે ચગાવવામાં આવતો હોય પણ તેની શોધ આ માટે થઈ નથી. પતંગની શોધ ખરેખર તો ગંભીર વિચારધારા પર થઈ છે. તેનો ઉપયોગ પહેલાં હંમેશાં કટોકટી, યુદ્ધ કે સંશોધન માટે થતો રહ્યો છે. પતંગનો આવો ઉપયોગ જાણી તમને કદાચ નવાઈ લાગશે.

ઉતરાયણ માત્ર આનંદ નહીં પરંતુ પૂણ્યનું ભાથુ બાંધી લેવાનો અવસર

મકરસંક્રાંતિ પર સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. પહેલા લોકો શેરડીના સાઠા, બોર સહિતનું દાન કરતા જો કે જેમ જેમ સમય ગયો તેમ તેમ દાનની સરવાણી બદલાઈ. ખાસ તો આ દિવસે અબોલજીવો માટે દાનનું અનેરૂ મહત્વ હોય છે. આ દિવસે કરેલું દાન આ જન્મ સાથે બીજા જન્મમાં પણ કરોડો ગણું બની અને કામ આવે છે. દાન કરવાથી મનને પ્રસન્નતા મળે છે માન્યતા એવી પણ છે કે આ દિવસે જે પણ દાન કરો તે અક્ષયફળ આપનાર સાબિત થાય છે. મકર સંક્રાંતિ પર હવન, અભિષેક, યજ્ઞ કરવા અને નદીમાં સ્નાન કરવાનું મહત્વ છે. આ અવસર પર ખિચડી, તલ, ગોળ, ચોખા, લીંબૂ, મૂળા, અડદની દાળ અને દ્રવ્યનું દાન કરવું જોઈએ. આ દિવસે સૂર્યને આરાધ્ય માની અને પિતૃઓને તલનું દાન કરવું પુણ્યકારી માનવામાં આવે.

મકરસંક્રાંતિ પર પવનની ગતિ સતત બદલતી રહે છે

મકરસંક્રાંતિએ પવનની દિશા બદલાય છે અને એ જ દિવસને ગુજરાતમાં ઉત્તરાયણનો બે દિવસનો ઉત્સવ પણ શરૂ થાય છે. આ તહેવારની મજા લેવા લોકો વહેલી સવારથી જ ધાબા પર ચડી જાય છે, પણ પવન સાથે જોડાયેલા આ તહેવારમાં પવનની દિશા અને ગતિ કેવી રહેશે એના પર પતંગરસિયાઓનો મૂડ બનતો હોય છે.મનુષ્યના જીવનમાં પવનનું અનેરૂ મહત્વ છે ત્યારે દર વર્ષે મકરસંક્રાંતિ પર સવારે પવનની ગતિ મંદ હોય છે તેનું મુખ્ય કારણ એ જ છે કે ૧૪ જાન્યુઆરીએ પવનની ગતિ સતત ફર્યા કરે છે જેના કારણે અવરોધ ઉભો થાય છે અને ગતિ મંદ પડે છે જો કે બપોર બાદ પવનની ગતિ સ્થિર થતા પવનનું જોર વધે છે.સવારના સમયે ઉત્તર દિશામાં પવનની ગતિ થતા ધીમે ધીમે પવનનું જોર વધે છે. ત્યારે મોટાભાગે બપોર સુધી ઠુમકા મારવા જેવી સ્થિતિ સર્જાતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.