Abtak Media Google News

માસિકધર્મ એટ્લે કે સ્ત્રીના જીવન સબંધિત એક મહત્વની બાબત. સામાન્ય રિતે 12 થી 14 વર્ષની વચ્ચે આ પ્રક્રિયા શરૂ થઈ જાય છે જેને પિરિયડ્સ તરીકે ઓળખવામાં આવે છે. પહેલીવાર આવતા માસિક ધર્મ  કોઈપણ યુવતી માટે એક ચિંતાનો વિષય બની શકે છે. છોકરીઓને લોહી અને તરલ પદાર્થ જોઈને  તણાવ અને ભયનો અનુભવ થઈ શકે છે.  સામાન્ય રીતે પિરિયડ્સનો સમયગાળો 28 થી 30 દિવસનો હોય છે.

આજે ભારત દેશનો વિકાસ કરી રહ્યો છે છતાં અમુક ગામડાઓમાં આજેપણ પિરિયડ્સને લઈને ઘણી યુવાતો તથા તેમના પરિવારમાં ખોટો ભય અને અંધશ્રદ્ધા જોવા મળી રહ્યા છે. પીરીયડસ દરેક યુવતીને કિશોરાવસ્થાથી શરુ થઈ જાય છે. ભારતમાં આજે પણ લોકો પિરિયડ્સ  વિશે ખુલીને વાત કરવામાં અચકાય છે. અને જો ભૂલથી આ બાબત પર ઘરવાળાની વચ્ચે વાત નીકળી જાય, તો લોકો તરત જ વાત બદલી નાખવામાં આવે છે.

સેનેટરી પેડ જેને પિરિયડ્સ દરમિયાન મહિલાઓ માટે સુરક્ષાકવચ ગણવામાં આવે છે ત્યારે ગામડાઓમાં સર્વે કરતા માલુમ થયું કે આજેપણ 81% મહિલાઓ માસિકધર્મ વખતે સેનેટરી પેડનો ઉપયોગ કરતી નથી અને તેઓ ખોટી માન્યતાઓ ધરાવે છે. સેનેટરી પેડ વાપરવા માટે સ્ત્રીને જાગૃત કરવી ખૂબ જરૂરી છે. સ્ત્રી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવી પણ જરૂરી છે. સ્ત્રીના શરીરમાં થતા કુદરતી શારીરિક ફેરફારને લગતો એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં કેટલી સ્ત્રીઓ સેનેટરી પેડ્સ નો ઉપયોગ કરે છે? અને કેટલી સ્ત્રીઓ આ પેડ્સનો ઉપયોગ નથી કરતી એ જાણવાની પ્રક્રિયા હાથ ધરાવામાં આવેલી છે.

ઓછું ભણેલા લોકો આને મહિલાઓને થતી અસાધ્ય બીમારી સમજી બેસે છે પરંતુ આ કોઈ બીમારી નથી પણ મહિલાઓના શરીરમાં થતી સામાન્ય પ્રક્રિયાનો એક ભાગ છે. પહેલા ભારતની ઘણી સ્ત્રીઓ પીરીયડસ દરમ્યાન એના માટે મળતા સેનેટરી પેડ વાપરવાની જગ્યાએ સાદા કપડાનો ઉપયોગ કરતી હતી.પણ હવે ભારત દિવસે ને દિવસે આધુનિક થયા લાગ્યો છે, તો ઘણી મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ કરવાં લાગી છે. આ સેનેટરી પેડ કપડાની સરખામણીએ ઘણા સુરક્ષિત હોય છે. આમ તો તેમાં પણ થોડી ખામીઓ જરૂર છે. દાખલા તરીકે દરેક સ્ત્રીઓ એને ખરીદી નથી શકતી. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા દોશી અને ડો.ડિમ્પલ રામાણીએ 1323 બહેનોને રૂબરૂ મળીને માહિતી એકથી કરેલ.  અમુક સ્ત્રીઓને ગામડાઓમાં પૂછવામાં આવેલ પ્રશ્નો નીચે મુજબ હતા

 

1) માસિક સ્ત્રાવ વખતે તમે સેનેટરી પેડનો ઉપયોગ કરો છો?

જેમાં 81% સ્ત્રીઓ આ પેડનો ઉપયોગ કરતી નથી.

2) માસિક સ્ત્રાવના દરમિયાન તમારા મૂડ કે વર્તનમાં કોઈ ફેરફાર જણાય છે?

જેમાં 72% સ્ત્રીઓના વર્તન કે મૂડમાં પરિવર્તન જોવા મળે છે એવું જાણવા મળ્યું છે.

 

3) સેનેટરી પેડ વિશેની જાણકારી છે?

36% ગ્રામ્ય સ્ત્રીઓને પેડ વિશેની જાણકારી જં નથી.

4) પિરિયડ્સ દરમિયાન આપની સાથે ઘરના લોકોનો વ્યવહાર કેવો હોય છે?

45% મહિલાઓએ જણાવ્યું કે આ દિવસોમાં અમને રસોડામાં પ્રવેશ હોતો નથી. કોઈ ખૂણામાં બેસી રહીએ કેમ કે અમે બીજાને અડીએ તો આભડછેટ લાગે. પાંચ દિવસ અમે જાણે કેદી હોઈએ એવો અહેસાસ થતો હોય છે. અમારી બનાવેલ રસોઈ પણ ઘરના કોઈ જમે નહીં.

5) આ સમયમાં સૂતક પાળવું જોઇએ એવું તમે માનો છો?  54% સ્ત્રીઓ જં પિરિયડ દરમ્યાન સૂતક પાળવાના પક્ષે છે. 27% સ્ત્રીઓએ જણાવ્યું કે અમે તો નથી માનતા એવામાં પણ મારા સાસુ સસરા કહે તેમ કરવું પડે છે.

 

  1. સેનેટરી પેડ્સ શા માટે નથી વાપરતા?

– મોંઘા હોય તો કેમ લેવા

– દિવસમાં 4થી 5 વાર બદલવા ન પોસાય
– એવી વસ્તુ ઘરમાં ન રાખીએ માતાજીને સૂતક લાગે

– આ કુદરતી પ્રક્રિયા છે એમાં માનવીની બનાવેલી વસ્તુ શું કામ વાપરવી?

– અમારે તો ઉપયોગમાં લેવા હોય પણ ઘરનાનું માનવું એવુ કે કોથળામાં સુવાનું હોય આખો દિવસ ક્યાં બહાર જવું હોય કે તમારે આવા કપડાનો ઉપયોગ કરવો જોઈએ.

– આવું નવું નવું નીકળ્યા કરે બધું થોડું લેવા બેસાય?

– પહેલા તો આવુ કશું નહોતું લોકો કપડાનો ઉપયોગ કરે છે અને કરતા જ તો ત્યારે તો કશું ન થતું હવે જ રોગ થાય?

– અમારા ગ્રામ્ય વિસ્તારમાં પેડસનો ઉપયોગ કરતા જોવે તો કોઈ અમને બોલાવે નહિ, અને ઘરે પણ ન આવવા દે અને નિકાલ માટે કોઈ ઉપાય નથી, ગંદુ કહે એટલે ઉપયોગમાં લેતા વિચાર આવે.

– કોઈ જોવે  અને લેવા જતા શરમ આવે.

-પેડ્સ બહાર ફેંકવાથી તે પર્યાવરણને નુકસાન કરે છે એવુ કહી ઉપયોગ કરવા દેતા નથી.

– પેડસનો ઉપયોગ કરવાથી કોઈ રોગ થશે એવો ડર લાગે છે.

– તે પ્લાસ્ટિકનું બનેલું હોવાથી પ્રાઇવેટ પાર્ટસને નુકસાન પહોંચાડે એવુ વલણ

– ક્યાંક ગર્ભ ન રહે એનું ચેપ લાગી જાય તો શું કરવું?

 

સેનેટરી પેડ્સ ઉપયોગ કરવાના ફાયદા

– સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો છે કે તેનાથી કપડાં બેદાગ રહે છે. અને વારંવાર કપડાં ચેક કરવા પડતા નથી. શરમનો અનુભવ કરવો પડતો નથી.

-વર્કિંગ વુમનની કામ કરવાની ક્ષમતા ઘણી વધી જાય છે.

-કપડાંની સાથે ઇન્ફેક્શનનો ખતરો બનેલો રહે છે. જેના કારણે આગળ જતાં ગર્ભાશયમાં સોજો કે કેન્સર થવાની શકયતા ખૂબ વધી જાય છે.

-સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવાથી શરીરમાંથી કોઈ દુર્ગંધ આવતી નથી જેને કારણે તમારો મૂડ પણ સારો રહે છે.

– કોઈ પણ પ્રકારના ઇન્ફેકશનનો ડર ઓછો થઈ જાય છે.

– આ નેપકીન શરીરમાંથી થતા રક્તસ્ત્રાવને સૂકવવાનું કામ કરે છે.જેથી ભીનાશનો અનુભવ કરવા દેતું નથી.જેથી છોકરીઓનું ધ્યાન એ તરફ રહેતું નથી.

–  આરામ દાયક હોય છે જેથી બહેનોનેવધુ ટેંશન રહેતું નથી.

આ પેડસનો ઉપયોગ કરવાથી વારંવાર કપડાં ધોવા કે એવી કોઈ માથાકૂટ રહેતી નથી. ડાયરેક્ટ કચરાપેટીમાં જ નાખવાનું રહે છે.

– શારીરિક અને માનસિક રીતે હળવાશ અનુભવીએ છીએ.

–  ડાઘા કે કપડાં બગડવાનો તણાવ રહેતો નથી.

– બીજા કોઈપણ કામ સરળથી થઇ શકે છે.

– બહાર આવાન જાવનમાં કોઈ તકલીફ કે સમસ્યા લાગતી નથી. સરળતાથી બહાર ફરી શકીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.