Abtak Media Google News

નફો-નુકશાન નહીં પણ પ્રજાનું હિત વિચારી સરકાર ઝંપલાવશે તો વોડાફોન-આઈડિયા નાદારીથી બચી શકે; 27 કરોડ ગ્રાહકો મુસિબતમાંથી ઉગરશે

વીઆઈમાં 27 ટકાનો હિસ્સો ખરીદવાની કુમાર મંગલમ બીરલાની અપીલ સરકાર સ્વિકારશે??

ટેલિકોમ ક્ષેત્રની ત્રીજા ક્રમની ટોચની કંપની વોડાફોન આઈડિયા મરણ પથારીએ પડી છે. કંપની પર વિસર્જનનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે. કંપનીના બંધ થવાથી આશરે 27 કરોડ જેટલા ગ્રાહકો પ્રભાવિત થશે અને મોટી મુસબીતમાં સપડાશે. પણ જો સરકાર આમા હસ્તક્ષેપ કરી કંપનીને ડૂબતી બચાવવાનો પ્રયાસ કરે તો જરુરથી 27 કરોડ ગ્રાહકો પરથી મુસીબત ટળશે

કહેવાય છે ને કે, જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી… જો  સરકાર અહીં આ પ્રકારનો રૂખ ન રાખે અને વેપારીની જેમ નફો-નુકસાન નહીં પણ 27 કરોડ પ્રજાનું હીત વિચારે તો કંપનીને ફરી બેઠી કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે ગત પખવાડિયે કંપનીના તત્કાલીન ચેરમેન કુમાર મંગલમ બિરલાએ સંસદીય સચિવ રાજીવ ગૌબાને પત્ર લખ્યો હતો અને વોડાફોન આઈડિયા કંપનીનો 27 ટકા હિસ્સો ખરીદી લેવા અપીલ કરી હતી. જેથી કરી કંપનીનું રોકડ ભંડોળ વધે અને નાણાંકીય પારદર્શકતા આવે.

જો કે બીજી તરફ વોડાફોન ગ્લોબલ સીઈઓ નિક રિડે આ અંગે અગાઉ જાહેરાત કરી હતી કે વોડાફોન આઇડિયા હાલ માંદગીના બિછાને છે. રૂપિયા 1.8 લાખ કરોડના દેવાંમાં ડૂબેલી આ કંપનીમાં હવે વોડાફોન ગ્રુપ નવા રોકાણ કરશે નહીં. આ બાદ ચેરમેન મંગલમ કુમાર બિરલાએ પણ રાજીનામુ આપી દીધું હતું. કંપનીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં વિઆઈ કંપની સરકારને તેની લાયસન્સ ફી ભરવામાં પણ નિષ્ફળ નીવડી છે. વોડાફોન આઈડિયા આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લગભગ 150 કરોડ રૂપિયાની સંપૂર્ણ લાયસન્સ ફી ચૂકવવામાં નિષ્ફળ રહી છે.

કંપનીના પોતાના મૂલ્યાંકન મુજબ, નાણાકીય 2021-22ના એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે તેની ટેલિકોમ લાયસન્સ ફી આશરે 690 કરોડ રૂપિયા હતી. જોકે, તે માત્ર 540 કરોડ રૂપિયા જ ચૂકવાઈ છે. લાયસન્સ નિર્ધારિત સમયગાળા દરમિયાન ઓપરેટરની એડજસ્ટેડ કુલ આવકના 8% પર ચાર્જ કરવામાં આવે છે, અને કોઈપણ વિલંબ ખઈકછ (ફંડ આધારિત માર્કેટિંગ કોસ્ટ આધારિત લેન્ડિંગ રેટ) વત્તા 4% પર વ્યાજ દંડ વસૂલવામાં આવે છે.

સરકાર પણ એવા ઉકેલ માટે કામ કરી રહી છે જે વોડાફોન આઈડિયાને સક્ષમ બનાવે, અને નાદારી તરફ ન જાય. નહિતર સરકારી તિજોરીને સૌથી મોટો ફટકો પડશે કારણ કે

27 કરોડ ગ્રાહકો ધરાવતી ત્રીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયા, સરકારને વિલંબિત સ્પેક્ટ્રમ ચુકવણી બાકી તરીકે 96,300 કરોડ રૂપિયાનું દેવું છે. જ્યારે એજીઆરના 61,000 કરોડ ચૂકવવાના બાકી છે. આમ, આ કરોડો રૂપિયાની સરકારની રકમ પર પણ જોખમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.