Abtak Media Google News

રા.મ.ન.પા. કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માન: મ્યુનિ. કમિશનરના હસ્તે પુરસ્કાર એનાયત

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી દ્વારા તારીખ: ૧૨-૦૯-૨૦૧૯ના રોજ તેજસ્વી છાત્રોનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ ૧ થી ૧૨માં અભ્યાસ કરતા છાત્રો જેમનું પ્રથમ, દ્વિતીય અને તૃતીય કમાંક આવેલ હોય અને જે છોત્રીનું પરિણામ ૭૦%થી વધુ આવેલ હોય તેવા વિદ્યાર્થીઓનું મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના વરદ હસ્તે પુરસ્કાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દબાણ હટાવ શાખાના અધિકારી બી.બી. જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક અને સુરક્ષા અધિકારી આર.બી.ઝાલા, કારોબારી મેમ્બર  સુખદેવસિંહ જાડેજા અને દિલીપભાઈ તગત તેમજ મોટી સંખ્યામાં છાત્રો તેમજ વાલીઓ અને મંડળીના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

મ્યુનિ. કમિશનરે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની જરૂર હોય છે, બાળકને પ્રોત્સાહન મળવાથી વધુને વધુ મહેનત કરી લક્ષ્ય પાર કરવાની હિંમત મળે છે. એક વિદ્યાર્થીમાં વધુ સારું પરિણામ લાવવાની તાકાત અને આવડત હોય છે. માત્ર પ્રોત્સાહન અને હિમ્મત મળવાથી વિદ્યાર્થી પોતાનું ભવિષ્ય જાતે જ આંકી શકે છે.

તાજેતરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલ હોય તેવા કુલ ૫૫ છાત્રોનું ઈમાનો આપી હાર્દિક સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૩૩૩ છાત્રો કે જેમનું પરિણામ ૭૦% થી વધારે આવેલ છે તેમને આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર દિપ્તીબેન આગરિયાએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.