Abtak Media Google News

કાઠિયાવાડી સંસ્કૃતિમાં મેળાનું મહત્વ છે ત્યારે સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાના મેળા મશહુર છે: તરણેતરનો મેળો વિશ્વભરમાં પ્રખ્યાત છે: શ્રાવણ મહિનાનો સાતમ-આઠમ મેળો દરેકના બાળપણના દિવસો યાદ કરાવે

ગુજરાતમાં સમગ્ર વર્ષ દરમિયાન 1521 જેટલા મેળા યોજાઇ છે, જેમાં સૌથી વધુ મેળા 159 સુરત જિલ્લામાં યોજાય છે તો સૌથી ઓછા 7 મેળા ડાંગ જિલ્લામાં યોજાય છે

આજથી પાંચ દાયકા પહેલા શ્રાવણ મહિનો આવે તે પહેલા તેની તૈયારીઓ થઇ જતી. શહેર કે ગામમાં એક મોટી જગ્યાએ ભરાતો રાંધણ છઠ્ઠથી ચાલુ થઇ જતોને દશમ સુધી ચાલતો. બદલાતા યુગ સાથે આપણાં જીવનમાં ઘણું બદલાયું સાથે આપણાં ભાતીગળ મેળા પણ બદલાય ગયા છે. પહેલા જેવી મઝા આજના મેળામાં ક્યારેય આવતી નથી તેમ સૌ વડિલોની ફરિયાદ હોય છે. આપણી કાઠિયાવાડી ભાતીગળ સંસ્કૃતિમાં લોકમેળાનું મહત્વ શિરમોર છે. લોકોના મનોરંજન માટેનો મેળો એટલે લોકમેળો અને હા આ શ્રાવણ માસનો મેળો જ તન-મનમાં ઉલ્લાસ લાવે છે. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનું મહત્વ છે તેટલું ક્યાંય જોવા મળતું નથી, ને અહિં તો પાંચ દિવસનો મહાઉત્સવ જોવા મળે છે એજ કાઠિયાવાડનું ગૌરવ છે.

આજથી પાંચ દાયકા પહેલાના મેળાની મજા કંઇક ઔર જ હતી, લાકડા-પતરાના રમકડાં સ્વર્ગ સમુ સુખ આપતા: ચકરડીની મજા સાથે ટાઢુ ખાવાની મજા તો જીવનભર ભૂલાતી નથી

સમગ્ર વર્ષ દરમ્યાન દિવાળી, હોળી, રક્ષાબંધન, નવરાત્રી જેવા ઘણા તહેવારો આવે છે પણ આ શ્રાવણી પર્વના સાતમ-આઠમના ઉજવણીનું અનેરૂ મહત્વ તેના મેળાના કારણે સવિશેષ છે. અન્ય તહેવારોમાં મેળા હોતા નથી માત્ર સાતમ-આઠમનો તહેવાર ગમતાનો ગુલાલ જેવો છે. સૌરાષ્ટ્રના તરણેતર, ભૂચરમોરી જેવા વિવિધ સ્થળોએ મેળા ભરાય છે પણ રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ જેવા સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં તેની રંગત ઔર હોય છે. તરણેતર જેવા આપણા ઘણા મેળાઓ સમગ્ર દુનિયામાં જાણિતા બન્યા છે.

1 1

પ્રાચિનકાળથી ચાલી આવતી લોકમેળાની પ્રથા અર્વાચિન યુગમાં હવે વેકેશન મેળાએ લઇ લીધી છે. શિયાળું અને ઉનાળું વેકેશનમાં એક મહિના સુધી આવા ખાનગી મેળા શરૂ થઇ જાય છે, પણ લોકોને આનંદ આપતો અને જોડી રાખતો મેળો એટલે સાતમ-આઠમનો મેળો જ છે, તેનું મહત્વ ક્યારેય નહિં વિસરાય. આજથી પાંચ દાયકા પહેલાના મેળામાં છોકરા ખોવાય જતાના બનાવો બનતા. મેળામાં ચકરડીમાં બેસવાની મજા સાથે પતરાના દેડકાનો અવાજથી મેળો ગુંજી ઉઠતો હતો.

જુના મેળામાં પાતળા સળીયા ઉપર સ્પ્રીંગમાં ઉપર નીચે થતો વાંદરો બધાને આનંદ આપતો. લાકડાના અને પતરાના રમકડાં આખુ વર્ષ ચાલતા એવા સક્ષમ હતા. વાંસળી, ઢીંગલી, નાના દૂરબીન, બંદૂક, બેટ-દડો, મોટો દડો, કેરમ જેવા વિવિધ રમકડા સાથે વિવિધ પપુડા કે બ્યૂગલ, સિસોટી પણ મોજ કરાવી દેતી હતી. નાગ પાંચમથી સમગ્ર પરિવાર ઉજવણી શરૂ થઇ જતી તો રાંધણ છઠ્ઠમાં પુરી, લાસા લાડવા, માંડવી પાક, ટોપરા પાક જેવી વિવિધ વાનગીઓ સૌ બનાવતા હતા. શિતળા સાતમની કુલર ખાવાની તો મજા પડી જતી હતી. રાયતું તો થેપલા ખાવાની બહું જ મઝા પડી જતી હતી. લોકમેળામાં બાળથી મોટેરા અનેરા આનંદોત્સવ જોડાતા, આવો ઉમંગ આજે અદ્યતન મેળામાં પણ જોવા મળતો નથી.

1 1 1

બદલાતા યુગમાં રમકડાં પણ બદલાયા પ્રથમ ચાવીવાળા, સેલવાળા, ઇલેક્ટ્રોનીક અને સેન્સર વાળા રમકડાં આવવા લાગ્યા. રીમોટ કંટ્રોલથી ચાલતા રમકડાંની આજના યુગમાં બોલબાલા હતી. આજથી પાંચ દાયકા પહેલા માણસનો એક મહિનાના પગારની રકમ કરતાં પણ આજના મોંઘાદાટ રમકડાંની કિંમત છે. આઠમમાં ગોકુલનો ઉત્સવ સાથે શહેર-ગામમાં અનેરો શણગાર પણ કરાતો હતો. લોકો પરિવાર સાથે આસપાસના કુદરતી સ્થળે ફરવા જતા નદીએ ન્હાવા જતા હતા, એક વાત નક્કી કે નાસ્તો કે જમવાનું તો બધા ઘરેથી લઇ જતાં હતાં.

જૂના મેળામાં ચકરડી, ફજર ફાળકા, મોતનો કુવો, જાદુગર સાથે વિવિધ સ્ટોલો, પ્રદર્શનો, રમકડાંના સ્ટોલ સાથે નવું-નવું મેળામાં જોવા મળતું. મેળામાં લીધેલા રમકડાં શાળાએ લઇ જતાં તો સાંજે શેરીમાં લઇને ભાઇબંધો સાથે રમતા હતા. ડાગલાવાળી નાનકડી બોલપેન પણ શેર લોહી ચડાવી દેતી એવો આનંદ મળતો હતો. આજે તો લોક મેળાના વિવિધ નામો રાખે છે પણ મેળો તો ‘લોકમેળો’ જ કહેવાય છે. આપણાં ગુજરાતમાં કારતકથી આસો માસ સુધી ક્યાંકને ક્યાંક મેળો યોજાતો હોય છે.

1 2

ગુજરાતમાં વરસ દરમ્યાન 1521 જેટલા મેળા યોજાય છે. જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 159 મેળા તો સૌથી ઓછા 7 મેળા ડાંગ જીલ્લામાં યોજાય છે. ગુજરાતમાં 280 જેટલા આદિવાસી મેળા યોજાય છે, જે પૈકી સૌથી વધુ પંચમહાલ જીલ્લામાં 89 મેળા યોજાય છે. ગુજરાતની સાંસ્કૃતિક એકતાના મુળ લોક ઉત્સવો અને લોકમેળામાં પડેલા છે. દરેક મેળાના સ્વરૂપો અને પ્રવૃત્તિ અલગ હોય છે પણ તેનો મૂળ ઉદ્ેશ્ય આપણી સંસ્કૃતિને જતન કરવાનો હતો.

પ્રાચિનકાળમાં મેળાનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં જોવા મળે છે. સામાન્ય રીતે મેળા નદી કિનારે, પર્વતીય પ્રદેશ, વન વિસ્તારમાં કે ધાર્મિક સ્થળોએ લોકો ભેગા મળીને પ્રસંગની ઉજવણી કરતાં હતા. આજ સ્થળેથી જીવન જરૂરી ચીજવસ્તું ખરીદતાને એકબીજાને મળતા હતા, આમ મેળાની શરૂઆત થઇ હશે. નદી-કિનારે કે સાગર કિનારે મેળા વિશે યોજાતા હતા. સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો, નર્મદાકાંઠે શુક્લ તીર્થનો મેળો, જૂનાગઢની તળેટીમાં ભવનાથનો મેળો અને શત્રુંજયનો મેળા જેવા દેશના ખૂબ જ પ્રસિધ્ધ મેળાઓ છે. સામાન્ય રીતે મેળા વર્ષમાં એકવાર ભરાય છે. જેનો સમય એક દિવસ લઇને અઠવાડીયા સુધીનો હોય શકે છે. આદિવાસી વિસ્તારના મેળા ‘હાટમેળા’ તરીકે ઓળખાય છે.

આ છે, ભારતના પ્રખ્યાત 10 મેળા
  • – કુંભ મેળો : પ્રયાગ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વાર
  • – સોનેપુર મેળો : સોનેપુર, બિહાર ખાતે યોજાતો વિશ્ર્વનો એકમાત્ર પશુમેળો
  • – પુષ્કર મેળો : રાજસ્થાનના પ્રાચિન શહેર પુષ્કર ખાતે
  • – હેમિસ ગોમ્યા મેળો : લદ્ાખ પાસે પર્વત પર બૌધ્ધ સમુદાયનો ધાર્મિક મેળો
  • – કોલયાત મેળો : રાજસ્થાન બિકાનેર
  • – ચંદ્રભાગા મેળો : ઓરિસ્સા
  • – ગંગાસાગર મેળો : બંગાળ
  • – અંબુબાસી મેળો : આસામ-ગુવાહાટી
  • – બાનેશ્ર્વર મેળો : રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.