Abtak Media Google News

ખેડૂતો સાથેની મીટીંગમાં પ્રમુખે અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી હવે ચલાવી નહી લેવાય એવી ચીમકી પણ આપી

જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં દર વર્ષે ક્ષાર નીયંત્રણ કચેરી દ્વારા 14 લાખનું કામ કરવામાં આવે છે. પરંતુ આ કામ માત્ર પાંચ લાખમાં આટોપી લઈ 9 લાખનો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારાએ આક્ષેપ લગાવ્યો છે. કૃષિ મંત્રી સાથે જોડિયા પંથકના ખેડૂતોની યોજાયેલી મીટીંગમાં પ્રમુખે અધિકારીઓની હાજરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી હવે ચલાવી નહી લેવાય એવી ચીમકી પણ આપી હતી.

Advertisement

દર વર્ષે આજી અને ઊંડ ડેમના પાણી જોડિયા પંથકમાં ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકસાની પહોંચે છે. આ વર્ષે તો અતિવૃષ્ટિ થતા ખેતરોના ખેતરો ધોવાઈ ગયા હતા. જોકે, દર વર્ષે ચોમાસા દરમિયાન થતી ખુવારી પાછળ તંત્રની નીતિઓ જવાબદાર હોવાનો ખેડૂતો અવારનવાર આક્ષેપ કરતા હતા. જેને લઈને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે સ્થાનિક જિલ્લા પંચાયત તથા તાલુકાને સલગ્ન અન્ય કચેરીઓના અધિકારીઓની હાજરીમાં ખેડૂતો સાથે મીટિંગનું આયોજન કર્યુ હતું.

આ મીટિંગ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારાએ ક્ષાર નિયંત્રણ કચેરીના અધિકારીઓ સામે સણસણતો આક્ષેપ લગાવ્યો હતો. દર વર્ષે ખેડૂતો જે વરસાદી પાણીનો ભોગ બને છે તેમાં ક્ષાર નીયંત્રણ કચેરીના અધિકારીઓનો ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ કર્યો હતો. કચેરી દ્વારા દર વર્ષે 14 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવે છે જોકે, માત્ર પાંચ લાખનું કામ કરવામાં આવતું હોવાનો તેઓએ આક્ષેપ લગાવ્યો હતો. આ સમયે ક્ષાર નીયંત્રણ કચેરીના અધિકારીઓ પણ હાજર હતા. તેઓને પ્રમુખે ચીમકી પણ આપી છે કે, હવે આવું નહિં ચલાવી લેવાય, પ્રમુખના તેવર જોઈને હાજર ખેડૂતોએ તેઓને તાળીઓના ગળગળાટથી વધાવી લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.