Abtak Media Google News

0 થી 3 વર્ષ બાળક ઘરના વાતાવરણમાંથી શીખે છે: 3 થી 5 વર્ષ પ્રારંભિક પાયાની સમજ સાથેનું પ્રિપ્રાયમરી શિક્ષણ મેળવે છે: 6 થી 9 વર્ષનો તેનો શિખવાનો શ્રેષ્ઠ ગાળો ગણવામાં આવે છે

નાના બાળકોને તેની વયકક્ષા મુજબ તેના રસ-રૂચી વલણો જાણીને ગીત-સંગીત, બાળવાર્તા, ચિત્રો જેવા વિવિધ માધ્યમોથી જોયફૂલ લર્નીંગ આપવું જરૂરી

વિદેશો અને ભારતની શિક્ષણ પધ્ધતીમાં ઘણો ફેર જોવા મળે છે. વિદેશોમાં મા-બાપો શિક્ષણ પ્રત્યે જાગરૂક હોવાથી તેના પાયાના સંર્વાંગી વિકાસ માટે સક્રિય રસ લે છે. આથી સાવ ઉલ્ટું આપણાં દેશમાં છે. મા-બાપોને તેના સંતાનો માટે સમય જ નથી. આર્થિક મુશ્કેલીને કારણે સવારથી સાંજ કમાવવા જવાનું હોવાથી બાળકો ભગવાન ભરોસે શેરી વાતાવરણમાં ઉછરે છે, બાલ મનોવિજ્ઞાન પણ કહે છે કે પાંચ વર્ષે બાળક ઘણું શીખી જાય છે.

નાના બાળકોના શિક્ષણ માટે આનંદમય શિક્ષણ પધ્ધતી સૌથી શ્રેષ્ઠ ગણાય છે. નાના બાળકના તબક્કાવારનાં વિકાસમાં તેની વયકક્ષા મુજબ તે શીખે છે. જેમાં 0 થી 3 વર્ષ તો ઘરનું વાતાવરણ સાથે પરિવાર સાથે બાળકોનો વિકાસ થાય છે. 3 થી 6 વર્ષ ઘર અને શાળા બંને વચ્ચે બાળકનો વિકાસ થાય છે. એ જ રીતે 6 થી 10 વર્ષને 10 થી 14 વર્ષનો વિકાસ થાય છે. જેમજેમ બાળક મોટું થાય તેમતેમ તેનામાં સમજ ખીલતી જતી હોવાથી તે વર્ગખંડમાં વાતચીત-વ્યવહારો સાથે ઘણું શિખતો હોય છે. શિશુ-કિશોરને તરૂણોના વિકાસમાં શિક્ષકો ઘર, પરિવાર, મા, બાપોનું પણ વિશેષ મહત્વ હોય છે.

નાના બાળકના શિક્ષણમાં વયકક્ષા મુજબ અને તેના રસ-રૂચિ-વલણોને ધ્યાને લઇને શિક્ષકે શિક્ષણ કાર્ય કરાવવું અતિ જરૂરી છે. જો કે નાના ધોરણમાં મહિલા શિક્ષક હોય તો તેવા વર્ગના બાળકોનો ઝડપી વિકાસ થતો જોવા મળ્યો છે. નાના બાળકોને ગીત, સંગીત, રમતગમત, ચિત્રો, બાળવાર્તા જેવું વધુ ગમતું હોવાથી તેને સાંકળીને જોયફૂલ લર્નીંગ આપવાથી ઘણો ફાયદો જોવા મળે છે. બાળકના શારીરીક વિકાસ સાથે માનસિક અને સામાજીક વિકાસ પણ શિક્ષણ લેતાલેતા જ થતો હોવાથી શિક્ષક અને મા-બાપ બંનેની જવાબદારી વધી જાય છે.

નાનપણથી જ સારા-નરસાની પરિભાષા સમજાવવી જરૂરી બને છે અને તેનાથી જ તેનામાં ઘણી સારી બાબતોનું સિંચન થાય છે. બાળક બાળક દ્વારા શીખતું હોવાથી ઘણા બધા ગુણો તમો સામુહિક રીતે પણ શીખવી શકો છો. મૂલ્યાંકન વખતે વ્યક્તિગત તમે તેની વિશેષ કેર કરી શકો છો. ધો.1 થી 4 કે બાલમંદિરમાં વિવિધ પ્રવૃતિ દ્વારા જ્ઞાન આપવાથી તે ચિરંજીવી બને છે. બાળકોમાં રહેલી છૂપી કલાઓને શિક્ષક જ શોધીને પ્રોત્સાહન આપી શકે છે. ઘણા બાળકો નાનપણથી બહુ જ હોંશિયાર હોય છે. સહઅભ્યાસિક પ્રવૃતિઓ-ઇત્તર પ્રવૃતિઓ દ્વારા તમો શિક્ષણને જોડી શકો છો. મા-બાપે પણ ઘણી વસ્તુઓ ધ્યાન રાખવાની સાથે તેના સંતાનો માટે સમય આપવાની જરૂર છે.

નાના બાળકોની જીજ્ઞાસાવૃતિ તીવ્ર હોવાથી તે પ્રશ્ર્નો બહુ જ પૂછે છે ત્યારે ગુસ્સે નહીં થવાનું તેની સમજ ઓછી હોવાને કારણે અને નવું-નવું જાણવાની જિજ્ઞાસાને કારણે તેના મનમાં ઉઠતા પ્રશ્નો શિક્ષકો, મા-બાપોને કરે છે. નાના બાળકોનો શિક્ષક સારો કાઉન્સીલર હોવા ઉપરાંત બાળ માનસનો અભ્યાસું હોવો જોઇએ. પાયાથી જો તેને સારી ટેકનીકથી માર્ગદર્શન મળે તો તેને ભણવાની પ્રેરણા અને સ્વઅધ્યયન કરવા પ્રેરાય છે. બાળ વાર્તા કે બાળ ગીતોથી તેની પરિકલ્પના સાથે મૌખિક અભિવ્યક્તિ ખીલતી હોવાથી શિક્ષક, મા-બાપે, આ વિશે જાગૃત રહેવું પડે. બાળકને શાળાએ આવવુ, બેસવું ને ભણવું ગમે તેવું વાતાવરણ શાળા કે વર્ગખંડમાં નિર્માણ થાય તો બાળક ક્યારે વર્ગમાં રડશે નહીં અને અધવચ્ચેથી શાળા છોડશે નહીં. આજે ડ્રોપ આઉટની સમસ્યા ઘણી જોવા મળે છે. આપણે 100 ટકા નામાંકન તો કરીએ છીએ પણ ધો.7 કે 8 સુધી કેટલા ટકે છે એ ખૂબ જ જરૂરી છે.

શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો માટે માતાનું સ્થાન વિશેષ હોય છે. ઘરનું વાતાવરણ પણ બાળકના ઘડતરમાં મહત્વનો ફાળો ગણાય છે. બાળક વધારે પ્રેમ, હૂંફ અને લાગણી મેળવે તો પણ તેનામાં ઘણો બદલાવ આવે છે. નાનું બાળક ભણતું હોય ત્યારે માતાએ સતત તેની સાથે રહેવું અતિ આવશ્યક છે. વર્કિંગ વુમનને આ વિશે ઘણી તકલીફો પડે છે. બાળકના ભાષા વિકાસ કે કૌશલ્ય વિકાસમાં પણ માતાની હૂંફ મહત્વની બની રહેતી હોવાનું સંશોધકો કહે છે.

નાના બાળકોનો શિક્ષક ‘બાળમિત્ર’ હોવો જોઇએ જો કે આજે શાળામાં ક્યાંય આવું જોવા મળતું નથી. બાળકો માટે તેનો શિક્ષક મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક હોવો જોઇએ. બાળકને અનુભવજન્ય શિક્ષણ આપવું જરૂરી છે. આજે તો શાળામાં વાલી મિટિંગો થાય છે પણ તેમાં માર્ગદર્શન દેનારા એટલા નિષ્ણાંત હોતા નથી. મીટીંગોમાં શાળાકીય લાભ સિવાય બીજી વાતો થતી જ નથી. બાળકોના રક્ષણ માટે પણ શિક્ષક ઘણું કરી શકે છે. તેને પર્યાવરણની સમજ સાથે તેના હક્કોની સમજ પણ શિક્ષકે જ આપવી જોઇએ.

નાનો બાળક વાંચતા-લખતાને ગણતો થઇ જાય તો પણ તે સ્વઅધ્યયન કરવા લાગશે. આજે સૌથી નબળાઇ અહિં જ જોવા મળે છે. અંગ્રેજી માધ્યમના શોખીન મા-બાપો હાથે કરીને બાળકની જીંદગી બગાડે છે. માતૃભાષામાં ભણતો બાળક બીજી ભાષા હિન્દી, અંગ્રેજી ઝડપથી શિખતો હોવાનું સંશોધનો જણાવે છે. બાળકોના ગેરવર્તન વખતે શિક્ષકની ખરી કસોટી થતી હોય છે. સુટેવોનું ઘડતર પણ ભાવી નાગરિક ઘડતરનો એક ભાગ છે.

પ્રારંભિક બાળ શિક્ષામાં શરીર વિજ્ઞાન સાથે તેના આરોગ્ય વિષયક જાણકારી અને તેના કાર્યોની સમજ હસતા-હસતા આપવી જરૂરી છે. ટેણીયાના વર્ગમાં શિક્ષણમાં અનુબંધ ખૂબ જ જરૂરી છે જેમ કે તમે કોઇ વાત તેને શીખવી રહ્યા છો ત્યારે વરસાદ આવે તો ત્રણ ઋતુ, બાર મહિના, પાણીનું મહત્વ વરસાદ કેમ પડે જેવી વિગતો વિષય સાથે સાંકળીને શીખવી શકો છો.

પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું

આજે ત્રણ-ચાર વર્ષના બાળકને એબીસીડી, વન ટુ ફિફ્ટી જેવું ગૃહકાર્ય અપાય છે જે ખોટું છે. રમતા-રમતાં શિક્ષણ મેળવવાની ઉંમરે તમે પોપટીયું કે ગોખણીયું શિક્ષણ ન કરાવો. આજના મા-બાપો જ અંગ્રેજી માધ્યમ પાછળ દોડી રહ્યાં છે. મોટા ભાગના વાલીઓને પોતાને અંગ્રેજી આવડતું હોતુ નથી પણ બાળકને અંગ્રેજી ગીતો જોવો છે. પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું 100 ટકા જરૂરી છે, જો કે નવી શિક્ષણ નીતીમાં એ આવી જ રહ્યું છે. ધો.5 પછી અન્ય હિન્દી, અંગ્રેજી અભ્યાસ સાથે જ તેને શિખવા મળી જ જશે. બાળક તેની વ્યથા રજૂ કરી શકે એવી ક્ષમતા શિક્ષકે કેળવવી જ પડે છે. કેળવણી એટલે જ બાળકોને સારીને શ્રેષ્ઠ રીતે  કેળવીને શ્રેષ્ઠ ભાવી નાગરિકનું ઘડતર કરવું. પ્રારંભે આંગળાની સ્કિલ ડેવલપ કરવા પેન કેમ પકડવી કે ચિત્રમાં રંગ કેમ પૂરવો શિખવવું જ પડે છે. ધો.1-2માં સરકારી શાળામાં ચાલતો ‘પ્રજ્ઞા’ અભ્યાસક્રમ ખૂબ જ સરસ છે. રસ ધરાવતા મા-બાપે એકવાર જોવો ને તેની માહિતી મેળવીને તેના બાળકોને તે રીતે ભણાવવું- માર્ગદર્શન આપવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.