Abtak Media Google News

 

શાળા-કોલેજોમાં, પોલીસ વિભાગમાં અને આર્મીમાં યુનિફોર્મ રાખવા પાછળ પણ મહત્વનું કારણ, યુનિફોર્મ એ જ્ઞાતિ- જાતિ અને આર્થિક ભેદભાવોને નાથવાનું શસ્ત્ર છે

અબતક, નવી દિલ્હી

કર્ણાટકમાં હિજાબનો વિવાદ દેશનો મુખ્ય મુદ્દો બન્યો છે. ત્યારે આ વિવાદમાં નિષ્ણાંતોનું માનવું છે કે પહેરવેશની પસંદગી- ના પસંદગી જાહેરમાં શક્ય નથી. શાળા-કોલેજોમાં, પોલીસ વિભાગમાં અને આર્મીમાં યુનિફોર્મ રાખવા પાછળ પણ મહત્વનું કારણ છે. યુનિફોર્મ એ જ્ઞાતિ- જાતિ અને આર્થિક ભેદભાવોને નાથવાનું શસ્ત્ર છે. હાઇકોર્ટે પણ આજ કારણે મહત્વનો આદેશ આપ્યો છે કે શાળા-કોલેજમાં ધાર્મિક વસ્ત્રો ન પહેરવા.

કર્ણાટકમાં હિજાબ વિવાદ ઉડુપીની એક કોલેજથી શરૂ થયો હતો. જાન્યુઆરીમાં અહીં હિજાબ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ કેસ પછી ઉડુપીની ભંડારકર કોલેજમાં પણ આવું જ કરવામાં આવ્યું હતું. હવે આ પ્રતિબંધ શિવમોગા જિલ્લાની ભદ્રાવતી કોલેજથી લઈને તમામ કોલેજોમાં ફેલાઈ ગયો છે. રેશમ ફારૂક નામના વિદ્યાર્થીએ આ મામલે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી છે.

Screenshot 17 6

તેમાં કહેવામાં આવ્યું છે કે હિજાબ પહેરવાનો ઇનકાર કરવો એ બંધારણની કલમ 14 અને 25 હેઠળના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. ભંડારકર કોલેજમાં હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓને કોલેજના પ્રિન્સિપાલે અંદર પ્રવેશવા દીધો ન હતો. તેમની દલીલ એવી હતી કે સરકારના આદેશ અને કોલેજની ગાઈડલાઈન મુજબ તેમણે ક્લાસમાં યુનિફોર્મમાં આવવું પડશે. જ્યારે વિદ્યાર્થીનીઓએ દલીલ કરી હતી કે તેઓ લાંબા સમયથી હિજાબ પહેરીને કોલેજ આવે છે. કર્ણાટક હાઈકોર્ટે રાજ્યની મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીઓની બેચને મોટી બેંચને મોકલી આપી છે.

બુધવારે રચવામાં આવેલી ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ જેએમ કાઝી અને જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિતની બનેલી ત્રણ જજોની બેંચે એમ પણ કહ્યું હતું કે તે ઇચ્છે છે કે આ મામલાને વહેલામાં વહેલી તકે ઉકેલવામાં આવે પરંતુ જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી શાંતિ અને સુમેળ જાળવવામાં આવે. આવે છે. ચીફ જસ્ટિસે કહ્યું, ‘મામલાનો નિકાલ ન થાય ત્યાં સુધી તમે લોકોએ આ બધી ધાર્મિક વસ્તુઓ પહેરવાનો આગ્રહ ન રાખવો જોઈએ.’ તેમણે એમ પણ કહ્યું, ‘અમે આદેશ પસાર કરીશું. શાળા-કોલેજ શરૂ થવા દો. પરંતુ જ્યાં સુધી મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી કોઈપણ વિદ્યાર્થીએ ધાર્મિક પોશાક પહેરવાનો આગ્રહ ન રાખવો જોઈએ.

હિજાબ વિવાદ પર હાઈકોર્ટના નિર્દેશોને પગલે, કર્ણાટક સરકારે ગુરુવારે 14 ફેબ્રુઆરીથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઈસ્કૂલોમાં અને ત્યારબાદ કોલેજો અને ડિગ્રી કોલેજોમાં વર્ગો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. સાથે જ કર્ણાટક હાઈકોર્ટે મીડિયાને નિર્દેશ આપ્યો છે કે અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ટિપ્પણી ન કરે. આ મામલે 14 ફેબ્રુઆરીએ સુનાવણી થશે. કોર્ટે કહ્યું કે ચુકાદો આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ ધાર્મિક વસ્ત્રો ન પહેરવા.

Screenshot 16 6

શાળા- કોલેજોમાં ધાર્મિક વસ્ત્રો ન પહેરવા હાઇકોર્ટનો આદેશ

મુખ્યમંત્રીએ પણ હાઇકોર્ટના આદેશને ટાંકીને વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક વસ્ત્રો ન પહેરવા તાકીદ કરી

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ જાહેરાત કરી છે કે સોમવારથી શાળાઓમાં ધોરણ 9 અને 10ના ધોરણો શરૂ થશે. જો કે, પૂર્વ યુનિવર્સિટીઓ અને ડિગ્રી કોલેજો આગામી આદેશ સુધી બંધ રહેશે. કર્ણાટક હાઈકોર્ટના આદેશનો ઉલ્લેખ કરતા સીએમએ કહ્યું કે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંસ્થામાં કોઈપણ ધાર્મિક વસ્ત્રો ન પહેરવા જોઈએ.

મુખ્યમંત્રીએ ગુરુવારે મીડિયાને કહ્યું કે હાઈકોર્ટની ત્રણ જજની બેન્ચે આદેશ આપ્યો છે કે શાંતિ જાળવવી જોઈએ. શાળા-કોલેજોમાં ધાર્મિક વસ્ત્રો ન પહેરવા જોઈએ. હકીકતમાં, રાજ્યમાં હિજાબનો વિવાદ વધ્યા બાદ તાજેતરમાં શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી હતી. આ વિવાદને કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા હતા.

દરમિયાન, સુપ્રીમ કોર્ટે ઉડુપીની એક મુસ્લિમ વિદ્યાર્થીનીની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે અરજીકર્તાને પહેલા કર્ણાટક હાઈકોર્ટના આદેશની રાહ જોવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં કપિલ સિબ્બલ દ્વારા દાખલ કરવામાં આવેલી તાત્કાલિક સુનાવણી માટેની અરજીને ફગાવી દેતા કહ્યું કે આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તેથી આ મામલો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવવો અયોગ્ય છે.

વાસ્તવમાં, કર્ણાટક હાઈકોર્ટની સંપૂર્ણ બેંચે વિદ્યાર્થીઓને કહ્યું કે જ્યાં સુધી મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસમાં લોકોને ઉશ્કેરતા હોય તેવા કપડાં પહેરવાનો આગ્રહ ન રાખો. કર્ણાટક હાઈકોર્ટમાં સોમવારે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.