Abtak Media Google News

લાઈટ મામલે વાત કરવા જતા જુના મનદુઃખ મામલે
ઝગડો કરી ભાઈનું ભાઈએ ઢીમ ઢાળી દીધું

મોરબીના સામાકાંઠા વિસ્તાર સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગરમાં બે ભાઈઓ વચ્ચે લાઈટ બાબતે વાત કરતી વખતે અગાઉના મકાનના પ્લોટના ભાગ બાબતનો ઝઘડો ઉગ્ર બનતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. ઉશ્કેરાયેલા મોટાભાઈએ લોખંડના પાઇપ તેમજ ઇટોના ઘા ઝીકી નાના ભાઈની હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્રએ હત્યાની ફરિયાદ નોંધાવતા આરોપી પોલીસની હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે.

વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તાર સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગરની મેઈન શેરીમાં રહેતા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ.૨૮) એ ચામુંડાનગરમાં જ રહેતા તેમના ભાઈજી અમરશીભાઈ જેઠાભાઈ સોલંકી સામે પોતાના પિતા પ્રેમજીભાઈ જેઠાભાઈ સોલંકીની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ ફરિયાદીના પિતા પ્રેમજીભાઈ જેઠાભાઈ સોલંકી અને આરોપી અમરશીભાઈ જેઠાભાઇ સોલંકી બન્ને સગાભાઈ થતા હોય અને બન્ને ભાઈઓ વચ્ચે મકાનના પ્લોટના ભાગ બાબતે મનદુ:ખ ચાલતું હોય ત્યારે લાઈટનું મીટર મોટાભાઇ અમરશીભાઈના ઘરમાં હોય તેથી નાનાભાઈ પ્રેમજીભાઈ ગત તા.૧૪ના મોટાભાઈ અમરશીભાઈના ઘરે ફળિયામાં લાઈટ બાબતે વાત કરવા ગયા હતા.

ત્યારે જુના મનદુઃખનો ખાર રાખીને મોટાભાઇ અમરશીભાઈ સોલંકીએ ગાળો બોલી ઉશ્કેરાય જઈને છુટા ઇંટોના ઘા તેમજ લોખંડના ફરમાના અને લાકડાના ઘા નાનાભાઈ પ્રેમજીભાઈના માથામાં અને શરીરે મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આથી ગંભીર હાલતમાં તેઓને સારવાર અર્થે પ્રથમ મોરબી અને રાજકોટ બાદ અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.૧૭ના મોડી રાત્રે પ્રેમજીભાઈ સોલંકીનું મોત નિપજતા બનાવ હત્યામાં ફેરવાયો હતો. આ બનાવ અંગે પોલીસે મોટાભાઇ સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.