Abtak Media Google News

રાજકોટમાં કાળજું કંપાવતી ઘટના

બાળકોને ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ માતાએ ગળાફાંસો ખાઈ લીધો: પતિની ધરપકડ

પરિણીતાએ ફેસબુકમાં બાળકોના મૃતદેહ બતાવી પોતાની આપવીતી વર્ણવતો વિડિયો કર્યો વાયરલ

રાજકોટમાં ગઇ કાલે રાત્રીના એક કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. જેમાં પતિના આડાસંબંધ અને પજવણીના કારણે પોતાના બે ફૂલ જેવા બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પરંતુ તે પહેલાં પરિણીતાએ ફેસબુક પર બાળકોના મૃતદેહ બતાવી પોતાની આપવીતી વર્ણવતો વિડિયો વાયરલ કર્યો હતો. પોલીસે તુરંત કાર્યવાહી કરી પતિની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતી મનીષાબેન સાગરભાઈ પરમાર (ઉ.વ.૩૦) નામની પરિણીતાએ પોતાના ફૂલ જેવા બાળકો ભાર્ગવ પરમાર (ઉ.વ.૩) અને છ માસની પુત્રી ઈશિતા પરમારને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. આ અંગે જાણ થતાં માલવિયા નગર પોલીસ મથકના પીઆઈ અશોકસિંહ જાડેજા અને પીએસઆઈ એમ.એસ. મહેશ્વરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યાર બાદ પોલીસે પંચનામુ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મનીષાબેન પરમારે આપઘાત પહેલા ફેસબુકમાં એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણીએ પતિ સાગર પરમારના ત્રાસથી કંટાળી પોતાના બંને બાળકોની હત્યા કરી પોતે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનું જણાવ્યું હતું. પરિણીતાએ ફેસબુકમાં પોતાની આપવીતી વર્ણવી વિડિયો પોસ્ટ કર્યો હતો.

આ વીડિયો પાડોશીએ સ્ટેટ્સમાં જોતા તુરંત ઘરે દોડી ગયા હતા અને દરવાજો તોડીને જોતા પરિણીતા મનીષાબેન પરમારનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે બાળકો બેશુદ્ધ હાલતમાં દેખાતા તુરંત ૧૦૮માં જાણ કરવામાં આવી હતી. પરંતુ ૧૦૮ના સ્ટાફે માતા અને બંને સંતાનોને મૃત જાહેર કરતા અરેરાટી મચી ગઇ છે. પોલીસે ત્રણેય મૃતદેહ પીએમ અર્થે ખસેડી રાતોરાત જ તેના પતિ સાગર પરમારને ઉપાડી લીધો હતો.

નશાખોર પતિના ત્રાસના કારણે એક પરિવારનો માળો પિખાય ગયો હતો. જ્યારે પતિ સાગર પરમાર પણ અગાઉ હત્યાની કોશિશ અને મારામારી જેવા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જ્યારે તેનો ભાઈ હિરેન પરમાર હાલ હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો છે.

હું મરી જવ છું, જેનો જવાબદાર મારો પતિ સાગર પરમાર છે: મૃતકનો વિડિયો વાયરલ

આંબેડકરનગરમાં એસ.ટી. વર્કશોપ પાછળ મનીષાબેન પરમાર નામની પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી બંને બાળકોને હત્યા કરી પોતે આપઘાત કરી લીધો હતો. તેની પહેલા તેણીએ ફેસબૂક પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં મનિષાબેન પરમાર કહ્યું હતું કે, ‘ હું મરી જાઉં છું જેનો જવાબદાર મારો પતિ સાગર પરમાર છે તે બધી છોકરીઓને મારકૂટ કરી હેરાન કરે છે અને તેમની પાસેથી પૈસા પડવે છે. સાઈબાબા ચોકમાં સરકારી દવાખાના ઉપર રહેતો સાગર પરમાર આ ઘટનાનો જવાબદાર છે

. મારા માતા પિતા આ બાબતે કોઈ જવાબદાર નથી. મે મારા બાળકોને પણ મારી નાખ્યાં છે. થોડા દિવસો પહેલા સાગર પરમાર સાથે છૂટાછેડા લેવા માટે માલવનગર પોલીસ સ્ટેશનને ગયા હતા જ્યાં તેઓએ છૂટું ન કરીને સમજાવીને મોકલી દીધા હતા.’ પોતાની આપવીતી ફેસબુક સ્ટેટસમાં વર્ણવીને પરિણીતાએ જીવાદોરી ટૂંકાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.