Abtak Media Google News

જસદણના વીરનગર ગામ પાસે મધરાતે કાર પલટી મારી જસદણ ભજનમાં જતા ચાર મિત્રોમાંથી એકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતના પગલે આટકોટ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે જસદણ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ, રાજકોટ-ભાવનગર હાઈવે પર વીરનગર ગામ પાસે ટાટા નેક્સોન કારના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, આથી કાર રોડ પર પલ્ટી મારી ગઈ હતી અને બાજુના ખેતરમાં ફંગોળાઈને પડી હતી. આ અકસ્માતમાં રાજકોટમાં બાબરીયા કોલોનીમાં રહેતા મહેક ભાવેશભાઈ મકવાણા (ઉં.વ. 32)નું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે સાથેના મિત્રો પાર્થ રાજનાથસિંહ, હરદીપસિંહ અને ધ્રુવરાજસિંહને ગંભીર ઈજા પહોંચતાં જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ  આટકોટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.પી. મહેતાને થતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક મહેક તેના પરિવારનો એકનો એક પુત્ર હતો. અને તે ડ્રાયવિંગનું કામ કાજ કરતો હતો.આ ચારેય મિત્રો જસદણ ભજનમાં આવતા હતા ત્યારે વીરનગર પાસે અકસ્માત નડ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.