Abtak Media Google News

રાજકોટમાં કેન્દ્ર સરકારની યોજના હેઠળના ‘આયુષ્યમાન ભારત કાર્ડ’ કાઢી આપવાને નામે વ્યકિત દીઠ રૂ.૮૦૦ (રૂ.૩૦ ચાર્જ, ૭૦ અન્ય ખર્ચ, ૭૦૦ એકસ્ટ્રા) ના ઉઘરાણાનું કૌભાંડ ઝડપાયુ છે.

મહાપાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે રવિવારે સવારે ૧૧:૩૦ કલાકે એક બોગસ કેમ્પમાં મીડિયાને સાથે રાખી લાઈવ રેડ કરતાં અફડાતફડી મચી ગઈ હતી.

વોર્ડ નં.૭ના સદરમાં આવેલી લાલબહાદૂર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના પરિસરમાં વણિક જ્ઞાતીના લાભાર્થીઓ માટે આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવાનો એક કેમ્પ યોજાયો હોવાની આરોગ્ય સમિતિ ચેરમેનને ગત રાત્રે બાતમી મળતા તેમણે સરકારી તંત્રમાં તપાસ કરતા આવો કોઈ કેમ્પ સરકાર યોજતી નથી તથા આ રીતે આ કાર્ડ કાઢી આપવામાં આવતુ ન હોવાનું સામે આવતા સંબંધિત અધિકારીઓને સાથે રાખી કેમ્પ પર દરોડો પાડયો હતો.

જે સાથે કેમ્પ યોજનારાઓએ મુદામાલ સંકેલી ઉચાળા ભરવા પ્રયાસ કર્યો હતો. ટ્રસ્ટ સંચાલિત શાળાના પટાંગણમાં મંડપ, ખુરશી નાંખી કેમ્પ યોજાયો હતો અને શાળાના એક રૂમમાં લાભાર્થીઓના લેપટોપની મદદથી ફિંગરપ્રિન્ટ લઈ કાર્ડની પ્રક્રિયા કરાતી હોવાનું સ્થળ તપાસમાં સામે આવ્યું હતુ.

કેમ્પ પૂર્વે શ્રી ન્યુ દશા સોરઠીયા વણિક મહાજન-રાજકોટને નામે વોટસએપ મેસેજ વાયરલ કરી જ્ઞાતિભાઈઓ જેઓ આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવવા ઈચ્છતા હોય તેઓને જરૂરી દસ્તાવેજો સાથે શાળા સામે આવેલી સંસ્થાની ઓફિસનો સંપર્ક કરવા અપીલ કરાઈ હતી.

રવિવારે કેમ્પ યોજાતા બહોળી સંખ્યામાં અરજદારો ઉમટયા હતા જેમના દસ્તાવેજો, ફોટો લઈ નામ-ઠામ સાથેની એન્ટ્રી કરાતી હતી. વ્યકિત દીઠ રૂ.૭૦૦ અને વધારાના રૂ. ૧૦૦ લેવાતા હોવાની કોઈ રશીદ અપાતી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.