Abtak Media Google News

પાલિકા રખડતા ઢોરને  પકડવા  નિષ્ક્રિય: પ્રજાજનોમાં રોષ

રાજ્યમાં નાના-મોટા તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વરકી રહ્યો છે. વરસાદી સીઝનમાં જાહેર રોડ-રસ્તાઓ પર રખડતા ઢોર અડ્ડો જમાવીને બેસતા હોય છે. જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં રખડતા પશુઓના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરની મુખ્ય શાકમાર્કેટ તરફના રસ્તા પર પશુઓના અડિંગાથી રાહદારીઓ, વાહનચાલકો તેમજ વેપારીઓને પણ પારવાર હાલાકી સહન કરી રહ્યા છે. નગરપાલિતાનું તંત્ર રખડતા ઢોરને પકડવામાં નિષ્ક્રિય સાબિત થયું છે.

Advertisement

સુરેન્દ્રનગર શહેરમાં રખડતા પશુઓના કારણે લોકોને અકસ્માતે જીવ ગુમાવવાના કિસ્સાઓ અગાઉ પણ બની ચૂક્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર દિવસે દિવસે આવા પશુઓનો વધારો થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. શહેરના જાહેર રોડ પર ઝગડતા આખલાઓ રાહદારીઓને પણ અડફેટે લેતા હોય છે.

રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટે નગરપાલિકાના સત્તાધિશોને અનેકવાર રજુઆતો કરવા છતાંયે કોઈ પગલાં લેવામાં આવતા નથી.

સુરેન્દ્રનગર શહેરના હેન્ડલૂમથી ટાવર તરફના રસ્તાની વચ્ચે મુખ્ય શાકમાર્કેટ આવેલી છે. જ્યાં શહેરી તેમજ ગ્રામ્ય પંથકના લોકો પણ ખરીદી કરવા આવતા હોય છે. પરંતુ આ રસ્તા પર રખડતા પશુઓના અડિંગાથી અને વારંવાર પશુઓ સામસામે આવી જતા કેટલીકવાર તો લોકોમાં પણ અફરાતફરી મચી જાય છે. આ ઉપરાંત આંબેડકર ચોક, મેગામોલ, આર્ટસ કોલેજ સહિતના માર્ગો પર પશુઓ સામસામે આવી જાય છે. આથી રાહદારીઓ, વાહનચાલકો સહિતના લોકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે.

આથી આ માર્ગ પરથી રખડતા પશુઓની અવરજવર તેમજ અડીંગાઓ દૂર કરાવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.