Abtak Media Google News

આપણા અલૌકિક અને અતુલ્ય દેશમાં કેટલાક વિભૂતિઓ એવા થઈ ગયા જેમનાં વિશે ન ક્યારેય સાંભળ્યા મળ્યું કે ન વાંચવા! સૌએ સ્ટીવ જોબ્સની સક્સેસ-સ્ટોરી વાંચી હશે, માર્ક ઝકરબર્ગનાં સંઘર્ષો વિશે માહિતી મેળવી હશે. પરંતુ બંનેનાં જીવનનો સૌથી કપરો સમય ભારતમાં વીત્યો છે એ વાતની જાણ બહુ ઓછા લોકોને છે. જ્યારે એપલ કંપનીની શરૂઆત પણ નહોતી થઈ એ સમયે સ્ટીવ જોબ્સ ભારત-યાત્રાએ આવેલા. એમની વાત નીકળે ત્યારે ઘણા લોકોનું કહેવું એમ પણ છે કે સ્ટીવ જોબ્સે ભારતમાં કશાક આધ્યાત્મિક તત્વની શોધ આરંભી હતી. મહિનાઓ સુધી તેમણે અહીંયા રહીને સાધના કરી હોવાનાં દાવા પણ થઈ રહ્યા છે.

1974ની સાલમાં ભારત આવેલા સ્ટીવ જોબ્સે બાબા નીમ કરોલીનાં આશ્રમની મુલાકાત લીધી. તેમને બાબાનો આધ્યાત્મિક સહવાસ તો પ્રાપ્ત ન થયો પરંતુ ભારતમાંથી તેઓની આધ્યાત્મિકતાની ખોજ અહીં આવીને પૂરી થઈ. એવું કહેવાય છે કે, છેલ્લી ક્ષણ સુધી સ્ટીવ જોબ્સે બાબા નીમ કરોલીનો ફોટો પોતાનાં ઓશીકા નીચે રાખ્યો હતો. જીવ્યા ત્યાં સુધી તેમની આસ્થા-ભક્તિ-શ્રદ્ધા બાબામાં અટલ રહી.

2004માં ફેસબૂક સ્થપાયું અને માર્ક ઝકરબર્ગ વિશ્વભરમાં છવાઈ ગયા. પરંતુ ત્રણેક વર્ષ પછી એક સમય એવો આવ્યો, જ્યારે ફેસબૂકનું પતન નિશ્ચિત લાગી રહ્યું હતું. સિલિકોન વેલીની દરેક મોટી કંપનીઓ ફેસબૂકને ટેક-ઓવર કરી લેવા માંગતી હતી. માર્ક ઝકરબર્ગ માટે એ સમય સૌથી વધારે કષ્ટદાયક પૂરવાર થયો. જીવથી પણ વધારે જતન કરીને ઉભી કરેલી કંપની ફેસબૂકને વેચવાની એમની કોઇ ઇચ્છા તો નહોતી પણ બીજો કોઇ વિકલ્પ નજર સમક્ષ પણ નહોતો દેખાતો. અંતે, પોતાનાં મેન્ટર સ્ટીવ જોબ્સ પાસે જઈને એમણે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીને સાવ નવું ફ્રેશ-સ્ટાર્ટ કઈ રીતે કરી શકાય એ અંગે સલાહ માંગી.Dhnaghera: સ્ટીવ જોબ્સ, ઝકરબર્ગ અને નીમ કરોલી બાબા

સ્ટીવ જોબ્સે એમને ભારત જવાનું કહ્યું. અને 2008માં માર્ક ઝકરબર્ગે લગભગ એક મહિનાની ઇન્ડિયા-વિઝિટ પ્લાન કરી. જેમાં એક આખો દિવસ બાબા નીમ કરોલીનાં આશ્રમ માટે ફાળવેલો હતો. આશ્રમનાં ટ્રસ્ટી શ્રી વિનોદ જોશીને આજે પણ એ મુલાકાત યાદ છે. ઘૂંટણમાંથી થોડુંક ફાટેલું જીન્સ (એ સમયે ટોર્ન જીન્સની ફેશન નવી-સવી ટ્રેન્ડમાં આવી હતી) પહેરેલા એક નવયુવાને આશ્રમમાં પગ મૂક્યો. તે પોતાની સાથે ફક્ત એક પુસ્તક લાવ્યો હતો. અન્ય કોઇ કપડાં કે સામાન નહીં. તેણે 24 ને બદલે 48 કલાક આશ્રમમાં મહારાજજીનાં બ્રહ્મલીન સ્વરૂપ સાથે વિતાવ્યા. ત્યારબાદ ચહેરા પર અપ્રતિમ પ્રસન્નતા અને સંતોષ સાથે આશ્રમમાંથી વિદાય લીધી.

માર્ક ઝકરબર્ગે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે આશ્રમમાંથી શીખેલો આધ્યાત્મિક પાઠ તેઓ છેલ્લા દસ વર્ષથી અનુસરી રહ્યા છે. ફેસબૂકને આગળ લાવવા પાછળ ભારતની આધ્યાત્મિકતા ઘણા મોટા પ્રમાણમાં અસર કરી ગઈ છે.

“એપલ”નો પાયો નાંખવા પાછળ ભારતની આધ્યાત્મિક સફર કારણભૂત, નીમ કરોલી પરિસરમાં સ્ટીવ જોબ્સને એવો તે શું થયો હતો અનુભવ ?

આ વાત ફક્ત સ્ટીવ જોબ્સ, માર્ક ઝકરબર્ગ પૂરતી જ સીમિત ન રહીને જુલિયા રોબર્ટ્સ જેવી હોલિવૂડ અભિનેત્રી સુધી વિસ્તરી ગઈ. આજની તારીખે પણ સિલિકોન વેલીથી શરૂ કરીને હોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ઘણા માંધાતાઓ બાબા નીમ કરોલીનાં ફોલોઅર્સ છે. અહીં સ્વાભાવિક રીતે જ એક સવાલ થાય કે, આટલા પ્રખ્યાત હોવા છતાં બાબા નીમ કરોલીનું નામ કેમ લોકોની જબાન પર નથી?! એનું કારણ એ છે કે બાબા નીમ કરોલી ક્યારેય પોતાની પબ્લિસિટી કરાવવામાં નહોતાં માનતાં.

તેમની કોઇ ઓટો-બાયોગ્રાફી લખાઇ નહોતી. રામ દાસ નામનાં એક અમેરિકન ભક્તે બાબા નીમ કરોલીનાં ચમત્કારો વિશેનાં કિસ્સા જણાવતી એક પુસ્તક પ્રકાશિત કરી છે, જેમાં તેમનો જીવન-અંશ સમાવવામાં આવ્યો છે. પરંતુ 73 વર્ષનું તેમનું આખું આયુષ્ય આજસુધી કોઇ ફિલ્મી-પડદે કે ટચૂકડા પડદે કંડારાયુ નથી! તેમનાં ભક્તો પણ હંમેશા લો-પ્રોફાઇલ રહેવામાં માને છે. વાતચીત દરમિયાન તેઓ દર વખતે મંદિરનો ઉલ્લેખ કરે છે, બાબા નીમ કરોલીનો નહીં!

વાઇરલ કરી દો ને
આ માર્કભાઈ હોય કે સ્ટીવભાઈ કે પછી પેલા બારી વાળા બિલભાઈ, બધાએ હિમાલયનો આંટો તો લઈ જ લીધો છે હો!

તથ્ય કોર્નર
આધ્યાત્મમાં વિજ્ઞાન પણ સમાયેલું છે. શું તમે જાણો છો કે 3 દિવસ ઉપવાસ કરવાથી તમારું શરીર નવી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી શકે છે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.