Abtak Media Google News
  • સેલા ટનલ મારફત હવે સેના કોઈ પણ પરિસ્થિતિમાં 8 કલાકમાં ઇટાનગરથી તવાંગ પહોંચી શકશે : 13700 ફૂટની ઊંચાઈએ આવેલ આ ટનલના નિર્માણ માટે રૂ.800 કરોડનો ખર્ચ

અરુણાચલ પ્રદેશમાં ચીન સરહદ નજીક સેલા ટનલને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી મૂકી છે. રૂ. 800 કરોડ રૂપિયાના ખર્ચે 13,700 ફૂટની ઊંચાઈ પર નિર્માણ પામેલી આ ટનલ તવાંગ એલએસીને જોડે છે. તવાંગથી એલએસી 8થી 10 કિમી દૂર પર છે. શિયાળામાં ભારે બરફવર્ષાને લીધે આ વિસ્તાર 7 મહિના સુધી દેશથી સંપર્કવિહોણો રહે છે. અત્યારે કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિમાં અહીં હવાઈ માર્ગે જ પહોંચી શકાય છે પરંતુ હવે સેલા ટનલના નિર્માણ બાદ રસ્તો 12 મહિના સુધી ખુલ્લો રહેશે. હાલ સેનાને તેમનાં સાધનો અને જવાનોને રોડ માર્ગે તવાંગ લઈ જવામાં 9થી 10 કલાર જેટલો સમય લાગે છે પરંતુ, ટનલ દ્વારા માત્ર 8 કલાકમાં ઇટાનગરથી 427 કિમી દૂર તવાંગ પહોંચી જવાશે. સેલા ટનલના નિર્માણથી પ્રવાસીઓ આખા વર્ષમાં ગમે ત્યારે ચીન સરહદે જઈ શકશે.

અરુણાચલની 1,080 કિમી લાંબી સરહદ 520 કિમી લાંબી ચીન, મ્યાનમાર અને 217 કિમી લાંબી સરહદ ભૂતાન સાથે જોડાયેલી છે. આ વિસ્તારોમાંથી ચીનની સેના વર્ષ 1962ના યુદ્ધ વખતે ભારતમાં પ્રવેશ કરી આસામના તેજપુર શહેર નજીક પહોંચી ગઈ હતી. ગલવાન અથડામણ પછી ભારત સરકારે અરુણાચલના સરહદી વિસ્તારોમાં ચીનની વધતી ગતિવિધિઓને રોકવા માટે ઘંણા નક્કર પગલાં લીધાં છે. સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ લાગુ કરવામાં આવ્યા હતા.

ચીન પર સરહદ નજીકનાં ડઝનેક ગામોને પોતાની તરફે વસાવવાનો આરોપ છે. શિયાળાની ઋતુમાં જ્યારે હિમવર્ષાને કારણે તવાંગ ભારતથી સંપર્કવિહોણું બને છે ત્યારે ચીનની ગતિવિધિઓ તેજ થાય છે. હવે સેલા ટનલ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત થશે.

આ ટનલ ભારત માટે એક મોટી વ્યૂહાત્મક સિદ્ધિ છે. વાસ્તવમાં આ ટનલ દ્વારા આસામના સોનીતપુર જિલ્લાના તેજપુરમાં સ્થિત આર્મી કોર્પ્સના મુખ્યાલય અને સરહદી શહેર તવાંગ વચ્ચેનું અંતર માત્ર એક કલાક ઓછું થઈ જશે પરંતુ આ રોડ 12 મહિના સુધી ખુલ્લો રહે તો તેનું મહત્ત્વ સમજી શકાય તેમ છે. હાલમાં તવાંગથી તેજપુર અથવા ઇટાનગરને જોડતો રસ્તો સેલા નજીકથી પસાર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.