Abtak Media Google News
  • ભારતીય રેલવેને આ નર્ક જેવી સ્થિતિમાંથી બહાર કાઢવા માટે એક ઈચ્છા શક્તિની જરૂરિયાત હતી અને તે ઈચ્છાશક્તિ અમારી સરકારે બતાવી
  • પહેલાના લોકોએ જે ભોગવ્યું તે આજના યુવાનો અને આગામી પેઢીને નહીં ભોગવવું પડે તે મોદીની ગેરંટી છે : અમદાવાદમાં મોદી ખીલ્યાં

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમદાવાદ ખાતે દેશમાં 85 હજાર કરોડ રૂપિયાથી વધારેના પ્રોજેકટ, શિલાન્યાસ તેમજ ભારતની એક્સ્પ્રેસ ટ્રેનો સહિત અન્ય રેલ સુવિધાઓને લીલી ઝંડી આપવામાં આવી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રિય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.

નરેન્દ્ર મોદી સાહેબે સંબોધન કરતાં જણાવ્યુ કે, આજનો રેલ્વેનો આ કાર્યક્રમ દેશના ઇતિહાસના 100 વર્ષમાં સૌ પ્રથમ વાર થઈ રહ્યો છે. રેલ્વેને પણ આ ભવ્ય આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન.

ભારત એક યુવાન દેશ છે. આ દેશમાં સૌથી વધારે યુવાનો રહે છે. આજે જે લોકાર્પણ થયું છે તે તમારા વર્તમાન માટે છે અને જે શિલાન્યાસ થયા છે તે તમારા ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે. આઝાદી પછીની સરકારોએ રાજનીતિક સ્વાર્થ માટે પ્રાથમિકતા આપી અને તેનો સૌથી મોટો શિકાર ભારતીય રેલ રહી છે. પાછળના 2014 પહેલાના 25 થી 30 રેલ્વે બજેટ પર નજર કરીએ અને જો આ પ્રકારેના વિચારો 21મી સદીમાં હોત તો દેશનું શું થતું?. રેલ્વેને આજે અલગ બજેટમાંથી હટાવીને તેને ભારત સરકારના બજેટ સાથે જોડી દેવામાં આવ્યું અને આજે ભારત સરકારના બજેટમાંથી રેલ્વેના કાર્યોના વિકાસ માટે આવતા થયા છે.

My Life Began On The Railway Tracks: Modi
My life began on the railway tracks: Modi

પહેલાના સમયમાં લોકો સ્ટેશન પર જઈને ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવવાની છે એ નહોતા જોતાં એ જોતાં કે ટ્રેન કેટલી લેટ છે. પહેલા સ્વચ્છતા, સુરક્ષા, સવલતની સમસ્યાઓ દરેક વસ્તુઓ યાત્રાળુઓ પર છોડી દેવામાં આવતી હતી. આજથી 10 વર્ષ પહેલા એટ્લે કે, 2014માં દેશમાં નોર્થ ઈસ્ટના 6 રાજ્યો એવા હતા કે ત્યાની રાજધાની આપણી રેલ્વે સાથે જોડાયેલી ન હતી. 2014માં દેશમાં 10 હજારથી વધારે એવા ફાટકો હતા જ્યાં કોઈ વ્યક્તિઓ ન હતા અને સતત અકસ્માતના બનાવો બનતા હતા જેના કારણે દેશના નાગરિકો, યુવાનો, બાળકોને ગુમાવતાં હતા. પહેલાની સરકારોમાં રેલ લાઈનોને બમણી કરવાની તેમની પ્રાથમિકતા રહી જ ન હતી.

આ પરિસ્થિતીમાં આપણાં દેશમાં સામાન્ય માણસ, મધ્યમ વર્ગનો પરિવાર, ભારતનો નાનો ખેડૂત, ભારતના નાના ઉધ્યોગકારો પિસાતા હતા. મારા જીવનની શરૂઆત રેલના પાટાઓ પર થઈ હતી, ભારતીય રેલ્વેને આ નર્ક જેવી સ્થિતિમાંથી બહાર કાઢવા માટે એક ઈચ્છા શક્તિની જરૂરિયાત હતી અને તે ઈચ્છાશક્તિ અમારી સરકારે બતાવી છે. આજે રેલ્વેનો વિકાસ સરકારની પ્રાથમિકતાઓમાં સર્વોચ્ચ સ્થાને છે.

આગામી 5 વર્ષમાં રેલવેની એવી કાયાપલટ થશે કે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યુ કે, ભારત સરકારે છેલ્લા 10 વર્ષમાં સરેરાશ રેલ બજેટને 2014 પહેલાની તુલાનામાં 6 ઘણું વધારે બનાવ્યું છે. હું આજે દેશને ગેરંટી આપું છું કે, આગળના પાંચ વર્ષમાં ભારતીય રેલ્વેની એવી કાયાપલટ કરવામાં આવશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આજનો આ દિવસ આ જ ઈચ્છાશક્તિનું જીવતો જાગતો પુરાવો છે. દેશનો યુવાન નક્કી કરશે કે કેવો દેશ જોઈએ, કેવી રેલ્વે જોઈએ.

રેલવે મારફત ક્ષેત્રિય સંસ્કૃતિ અને આસ્થાથી જોડાયેલા પર્યટનોને પણ પ્રોત્સાહન

વડાપ્રધાને કહ્યું કે મને આનંદ છે કે ભારતીય રેલ્વે આજે વિરાસત પણ અને વિકાસ પણ આ મંત્રને સાકાર કરતાં ક્ષેત્રિય સંસ્કૃતિ અને આસ્થાથી જોડાયેલા પર્યટનોને પણ પ્રોત્સાહન આપી રહી છે. અત્યાર સુધી 350 આસ્થા ટ્રેનો ચાલી છે અને એના માધ્યમથી લગભગ 4.5 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા છે. ભારતીય રેલ આધુનિકતાની રફતાર પર આજ રીતે આગળ વધતી રહેશે અને આ મોદીની ગેરંટી છે. દેશવાસીઓના સહયોગથી વિકાસનો આ ઉત્સવ પણ નિરંતર ચાલુ રહેશે.

વિેતેલા 10 વર્ષ તો માત્ર ટ્રેલર, પિક્ચર હવે ચાલુ થશે

વડાપ્રધાને કહ્યું કે પહેલાના 10 વર્ષના કામ માત્ર ટ્રેલર છે, મારે તો હજુ આગળ વધવાનું છે. આજે દેશના ઘણા રાજ્યોને વંદેભારત ટ્રેનનો લાભ મળતો થયો છે. વંદે ભારત ટ્રેનોનું નેટવર્ક દેશના 250 થી વધારે જીલ્લાઓમાં પહોંચી ચૂક્યું છે. દુનિયામાં કોઈપણ જગ્યાએ નજર કરીએ તો જે દેશ સમૃદ્ધ થયા, ઔધ્યોગિક રૂપથી સક્ષમ થયા તેમાં રેલ્વેની સૌથી મોટી ભૂમિકા રહી છે. રેલ્વેનો કાયાપલટ પણ વિકસિત ભારતની ગેરંટી છે. ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ પોલિસી મુજબ કાર્ગો ટર્મિનલ નિર્માણમાં ગતિ લાવવામાં આવી રહી છે.

વિકાસ કાર્યો સરકાર બનાવવા માટે નહીં પરંતુ દેશ બનાવવા માટેનું મિશન

વડાપ્રધાને કહ્યું દેશના ટ્રાન્સપોર્ટેશન સેક્ટરને મજબૂત કરવા માટે રેલ્વે મંત્રાલય હેઠળ ગતિશક્તિ વિશ્વ વિધ્યાલયની સ્થાપના કરવામાં આવી છે. આજે ટ્રેન અને સ્ટેશનો જ નહીં પરંતુ મેડ ઇન ઈન્ડિયાનું એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બની રહ્યું છે. અમારા આ પ્રયાસોને ઘણા લોકો ચૂંટણીના ચશ્માંથી જોઈ રહ્યા છે. અમારા માટે આ વિકાસ કાર્યો સરકાર બનાવવા માટે નહીં પરંતુ દેશ બનાવવા માટેનું મિશન છે. પહેલાના લોકોએ જે ભોગવ્યું તે આજના યુવાનો અને આગળના ભવિષ્યને નહીં ભોગવવો પડે તે મોદીની ગેરંટી છે.

ભારતીય રેલ લોકલ ફોર વોકલનું સશક્ત માધ્યમ

મોદીએ જણાવ્યુ કે, ભાજપ સરકારના વિકાસ કાર્યોનું એક ઉદાહરણ, પૂર્વ અને પશ્ચિમી ડેડીકેટ કોરિડોર પણ છે. ઘણા દશકોથી માંગણી કરવામાં આવતી હતી કે માલગાડીઓ માટે એક અલગથી ટ્રેક હોવો જોઈએ. ખેતી, ઉદ્યોગ, એક્સપોર્ટ, વ્યાપાર, કારોબાર માટે ગતિ લાવવી જરૂરી હતી. પહેલાની કોંગ્રેસ સરકારમાં આ પ્રોજેકટ લટકતો, ભટકતો અને અટકતો રહ્યો. ભારતીય રેલ્વેને આત્મનિર્ભર ભારતનું પણ એક નવું માધ્યમ બનાવી રહ્યા છીએ. હું લોકલ ફોર વોકલનો પ્રચારક છું, ભારતીય રેલ લોકલ ફોર વોકલનું સશક્ત માધ્યમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.