Abtak Media Google News

રાજુલાના બાબરિયાધારની ઉતાવળી નદીમાં ભર ઉનાળે ઘોડાપુર: લાલપુરના હરીપર ગામે ભાગવત સપ્તાહનો મંડપ ધરાશાયી: ગોંડલની બજારોમાં પાણી ફરી વળ્યા

આજે રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, અરવલ્લી, તાપી અને ડાંગમાં પડશે કમોસમી વરસાદ

 

રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જગતાતને પારાવાર નુકશાની સહન કરવી પડી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 49 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. આજે રાજ્યના 9 જિલ્લામાં માવઠુ વરસશે. આવતીકાલે પણ મેઘાવી માહોલ યથાવત રહેશે. કમોસમી વરસાદના કારણે યાર્ડમાં પડેલી જણસીને ભારે નુકશાની થવા પામી છે. રાજુલાના બાબરિયાધાર પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે ઉતાવળી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. લાલપુરના હરિપર ગામે ભાગવત સપ્તાહનો મંડપ ધરાશાયી થઇ ગયો હતો. ગોંડલની બજારોમાં પણ પાણી ભરાયા હતા. રાજકોટમાં પણ રવિવારે બપોરે વિજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર ઝાપટુ વરસી ગયુ હતું.

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ કચ્છ ઉપરાંત રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, અરવલ્લી, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલથી માવઠાનું જોર ઘટશે. રાજ્યના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે. બુધવારથી સુર્યનારાયણ આકાશમાંથી અગ્નીવર્ષા કરશે.

ગઇકાલે રાજુલા અને લાલપુર પંથકમાં વૈશાખ માસમાં અષાઢી માહોલ સર્જાયો હતો. ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. રાજુલાના બાબરિયાધારની ઉતાવળી નદીમાં ભર ઉનાળે ઘોડાપુર આવ્યા હતા. લાલપુરના હરીપર ગામે ભારે પવન સાથે વરસાદ ભાગવત સપ્તાહનો ડોમ ધરાશાયી થઇ જતા ભાવિકોને સામાન્ય ઇજા થવા પામી હતી. ગોંડલના રાજમાર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેમ માવઠાના પાણી વળ્યા હતા.

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 49 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. વાળોદ, ડોલવાણ, પલાસણા, માતર, મહેસાણા, બોટાદ, ચોટીલા, ઉંઝા, સિધ્ધપુર, રાધનપુર, સુઇગામ, માલપુર, કોટડા સાંગાણી, મહેમદાવાદ, નખત્રાણા, સાવરકુંડલા, તળાજા, લીંબડી, ઘોઘા અને જેસરમાં વરસાદ પડ્યો હતો.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામે ચાલતી ભાગવત સપ્તાહમાં હવામાન પલટો અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા કથા મંડપના ડોમ ને ભારે નુકસાન થયું હતું. તોફાની પવનના કારણે ડોમના પડદા અને માચડો વગેરે ઉડ્યા હતા. જેથી ભારે ભાગદોડ મચી ગઈ હતી. કથા શ્રવણ કરવા માટે આવેલા છ શ્રોતાગણોને નાની મોટી ઈજા થઈ છે, અને તેઓને લાલપુરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.