Abtak Media Google News
કારખાનાથી ચા પીવા કેબીને જતી વેળાએ શ્રમિકને કાળ ભેટ્યો: પરિવારમાં આક્રંદ
શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતના બનાવો વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઇ કાલે ૮૦ ફૂટ રોડ પર સત્યમપાર્ક પાસે કારના ચાલકે અડફેટે લેતાં રાહદારી વૃદ્ધનું મોત નિપજ્યું હતું. કારખાનાથી સામે ચા પીવા જતી વેળાએ શ્રમિકને કાળ ભેટ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર હુડકો ક્વાટરમાં રહેતા અને ૮૦ ફૂટ રોડ પર આવેલા હિન્દુસ્તાન મેન્યુફેકચર નામના કારખાનામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા નાનાલાલ મનજીભાઈ લંગારિયા નામના ૬૫ વર્ષીય વૃદ્ધનું અકસ્માતમાં મોત થયું હતું. ઘટના અંગે જાણ થતાં થોરાળા પોલીસ મથકના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક નાનાલાલ લંગારિયા ગઇ કાલે બપોરના સમયે કારખાનાની સામેની બાજુ ચા પીવા જતા હતા ત્યારે જીજે ૧૮ એએમ ૩૬૨૬ નંબરની આઇ -૨૦ના ચાલકે અડફેટે લીધા હતા. જેથી ઘવાયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ વૃદ્ધનું મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.