Abtak Media Google News

મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ ચી એ મંગળવારના રોજ પહેલી વખત રોહિંગ્યા સંકટ પર ચુપકીદી તોડી. સૂ ચી એ પોતાના સંબોધનમાં કહ્યું કે તેઓ જાણે છે કે આખી દુનિયાની નજર હાલ રખાઇન રાજ્યમાં ચાલી રહેલા હિંસા બાદ રોહિંગ્યા મુસ્લિમોના પલાયન પર ટકેલી છે. પરંતુ તેમણે આ હિંસા માટે પાછલા વર્ષોમાં રોહિંગ્યા ઉગ્રવાદીઓની તરફથી થયેલા હુમલાને પણ જવાબદાર ગણાવ્યા. સૂ ચી એ એમ પણ સ્પષ્ટતા કરી કે તેમણે સતત વધી રહેલ આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણથી ફરક પડતો નથી, તેઓ રાજ્યની સ્થિતિને સુધારવા માટે એક સ્થાનિક સમાધાન શોધવા માટે પ્રતિબદ્ધ છે. જો કે સૂ ચી એ દેશના નામ પર પોતાના સંબોધનમાં એ નિર્દોષ લોકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું, જેમણે પોતાના ઘર છોડવા માટે મજબૂર થવું પડ્યું.

Advertisement

પોતાના સંબોધનમાં સૂ ચી એ કહ્યું કે મુસ્લિમ ઉગ્રવાદી સમૂહોએ પોલીસ ચોકીઓને પોતાના નિશાન બનાવ્યા ત્યારબાદ ભડકેલી હિંસામાં લોકોના ઘર સુદ્ધાં સળગાવી દેવામાં આવ્યા. તેમણે કહ્યું કે તાજેતરમાં 25મી ઑગસ્ટના રોજ હિંસા ભડકી જ્યારે પોલીસ ચોકી પર ઉગ્રવાદી રોહિંગ્યાઓએ હુમલો કર્યો. આથી સરકારે અરાકન રોહિંગ્યા સાલવેશન આર્મીને આતંકી ગ્રૂપ જાહેરા કરી દીધું.

સૂ ચી એ કહ્યું, ‘અમે નથી ઇચ્છતા કે મ્યાનમાર એક એવો દેશ બને જે ધર્મ અને જાતિના આધાર પર વહેંચાય. જે લોકો પાછા ફરવા માંગે છે તેના માટે મ્યાન્માર રેફ્યુજી વેરિફિકેશન પ્રોસેસ શરૂ કરવા માટે તૈયાર છે. આપણે એ જોવાનું રહેશે કે આખરે આ પલાયન કેમ થઇ રહ્યાં છે. હું એ લોકો સાથે વાત કરવા માંગીશ જે રખાઇન છોડીને બાંગ્લાદેશ ભાગી ગયા છે.’ સૂ ચી એ આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે મ્યાનમારને આખા દેશની રૂપમાં જુઓ, નહીં કે માત્ર એક નાનકડા હિંસાગ્રસ્ત વિસ્તારના આધાર પર આંકવામાં આવે.

સૂ ચી એ કહ્યું કે સેનાને નિર્દેશ કરાયો છે કે રખાઇન રાજ્યમાં ચાલી રહેલા કાર્યવાહી દરમ્યાન કોઇપણ સામાન્ય નાગરિકને ઓછામાં ઓછું નુકસાન પહોંચે. તેમને કડક નિયમોનું પાલન કરવાની સૂચના અપાઇ છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે હિંસા બાદ બધાં જ મુસ્લિમ ગામડાંઓ ખાલી નથી થયા, હજુ પણ આ ગામડાંઓમાં મુસ્લિમ વસી રહ્યાં છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયના સભ્યોને આ ગામડાંઓની મુલાકાત કરવા માટે આમંત્રણ આપ્યું.

અમે બધા જ માનવાધિકારના દુરૂઉપયોગની નિંદા કરીએ છીએ. સુરક્ષાબળોને કડક શબ્દોમાં કોડ ઓફ કંડક્ટનું પાલન કરવાનો નિર્દેશ કર્યો છે અને નાગરિકોને ઓછામાં ઓછા નુક્સાન પહોંચાડવાનું કહ્યું છે. અમે એ તમામ પ્રત્યે દુ:ખની લાગણી વ્યક્ત કરીએ છીએ જે આ હિંસામાં ફસાયા છે અને બેઘર થયા છે. અમે શાંતિ બનાવી રાખવાની તમામ કોશિષ કરી છે.

સૂ ચી એ કહ્યું, ‘અમે ડૉકટર કોફી અનાનને એક કમિશનનું નેતૃત્વ કરવા માટે બોલાવ્યા છે જેથી કરીને રખાઇન રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકયા. આરોપ-પ્રત્યારોપ ચાલુ છે. અમે બધાનું સાંભળીશું. તમામ આરોપીઓને સજા મળશે પછી તે કોઇપણ ધર્મનો કેમ ના હોય. અમે રખાઇન રાજ્યમાં કાયદો વ્યવસ્થા સ્થાપિત કરવા અને વિકાસ કાર્યોને આગળ વધારવા માટે એક કેન્દ્રીય સમિતિની રચના કરી. રાજ્યમાં સ્થાયી શાંતિ સ્થાપિત કરવાનું અમારું લક્ષ્ય છે.’ આપને જણાવી દઇએ કે 25મી ઑગસ્ટના રોજ ભડકેલી હિંસા બાદ અત્યાર સુધીમાં 4 લાખથી વધુ રોહિંગ્યા પલાયન કરી ચૂકયા છે. સંયુક્ત રાષ્ટ્રે તેને વંશીય હુમલાનું સૌથી મોટું ઉદાહરણ સુદ્ધાં ગણાવી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.