Abtak Media Google News

બાંગ્લાદેશ સાથેના સંબંધો ‘ગાઢ’ બનતા હવે અસમ-ત્રિપુરા સહિતના પૂર્વોત્તર રાજ્યોના પરિવહન ચિતાગોંગ બંદરથી સહેલો થશે!!!

વિદેશ પ્રધાન એસ જયશંકર ગુરુવારે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશના મુખ્ય બંદર ચિત્તાગોંગ બંદર થકી ભારતના પૂર્વોત્તર રાજ્યો જેવા કે આસામ અને ત્રિપુરાને થકી બંને દેશો વચ્ચેના જોડાણ મજબૂત કરવા ઉપયોગી નીવડશે જેથી ભારત આ બંદરનો ઉપયોગ કરી શકે તેવું વડાપ્રધાને સતાવાર જણાવ્યું છે.

હવે બીજા પાસાની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દાયકાઓથી અફ્સપા(આર્મ ફોર્સ સ્પેશ્યલ પાવર્સ એકટ)માં રહેલા પૂર્વોત્તર રાજ્યો ક્યાંક અછૂતપણાનો સામનો કરી રહ્યા છે. જેના લીધે દુર્ગમ વિસ્તાર ધરાવતા આ રાજ્યોનો વિકાસ તો રૂંધાયો જ છે સાથોસાથ આતંકી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ આ વિસ્તારમાં વધતી હોય તેવા અહેવાલો અવાર નવાર સામે આવ્યા છે. તેવા સમયમાં હવે આ વિસ્તારોને અફસ્પામાંથી મુક્તિ આપવાનો સમય પાકી ગયો છે તેવું સૂચક નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું છે.

જેનો સીધો જ અર્થ છે કે, હવે દેશના અન્ય રાજ્યો સાથે પૂર્વોત્તર રાજ્યોની કનેક્ટિવિટી વધારી પૂર્વોત્તર રાજ્યોને અછૂતપણામાંથી બહાર કાઢવાનો માસ્ટર પ્લાન ઘડી લેવામાં આવ્યો છે જેના ભાગરૂપે હવે બાંગ્લાદેશના સૌથી મોટા બંદરનો ઉપયોગ કરી માલ-સામાનના પરિવહન માટે પૂર્વોત્તર રાજ્યોનો ઉપયોગ કરવામાં આવશે જેથી પૂર્વોત્તરના રાજ્યો સાથે દેશના તમામ છેડેથી કનેક્ટિવિટી થઈ જશે.

મુલાકાત બાદ વિદેશ મંત્રી જયશંકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ’વડાપ્રધાન શેખ હસીના દ્વારા ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્યક્તિગત શુભેચ્છાઓ. બંને નેતાઓના માર્ગદર્શન હેઠળ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો મજબૂતીથી  આગળ વધી રહ્યા છે.’

બેઠક દરમિયાન વડાપ્રધાન શેખ હસીનાએ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મુક્યો હતો. તેવું બાંગ્લાદેશના પ્રેસ સેક્રેટરી કરીમે જણાવ્યું છે. કરીમે કહ્યું કે, તેમણે જયશંકરને કહ્યું કે પરસ્પર લાભ માટે કનેક્ટિવિટી વધારવાની જરૂર છે, જ્યારે તે બાંગ્લાદેશના દક્ષિણપૂર્વ ચિત્તાગોંગ બંદર સુધી પહોંચવામાં ખાસ કરીને ભારતના ઉત્તરપૂર્વીય વિસ્તારોને સીધો જ લાભ મળશે. જો કનેક્ટિવિટી વધારવામાં આવે તો ભારતના પૂર્વોત્તર રાજ્યો જેમ કે આસામ અને ત્રિપુરાનો ઉપયોગ ચટ્ટોગ્રામના બંદર સુધી પહોંચવા માટે થશે. પરિણામે આ રાજ્યોમાં પરિવહનને લીધે રોજગારીથી માંડી અનેક તકો ઉભી થશે.

જ્યારે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાનનો ભાગ હતો ત્યારે વર્ષ 1965 થી બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના ક્રોસ-બોર્ડર રૂટને બંધ કરાયું હતું. જે બાદ ફરીથી રૂટ શરૂ કરવા માટે પહેલ કરવામાં આવી છે.

કરીમે કહ્યું કે, જયશંકર સાથે વડાપ્રધાન હસીનાની અડધા કલાકથી વધુ લાંબી બેઠક દરમિયાન અનેક દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું, ડો. મોમેન અને ડો. એસ.જયશંકરે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેઓએ બાંગ્લાદેશ-ભારતના ચાલી રહેલા સહકાર અંગે સંતોષ વ્યક્ત કર્યો અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો. ઉપરાંત શેખ હસીનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશની મુલાકાત માટે નિમંત્રણ પણ પાઠવ્યું છે.

પૂર્વોત્તર ક્ષેત્રથી આફસ્પાને સંપૂર્ણપણે હટાવવા કેન્દ્રના પ્રયાસ જારી: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પૂર્વોત્તર ક્ષેત્રમાંથી આફસ્પાને સંપૂર્ણપણે હટાવવાના પ્રયાસો ચાલુ છે.  ’શાંતિ, એકતા અને વિકાસ’ રેલીને સંબોધતા, તેમણે કહ્યું કે આ પ્રદેશના વિવિધ ભાગોમાંથી આફસ્પા પાછી ખેંચી લેવામાં આવી શકે છે કારણ કે છેલ્લા આઠ વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે. તેમણે કહ્યું હતું કે કાયદાના અમલીકરણથી ફેરફારો લાવવામાં આવતા વિસ્તારમાં હિંસામાં 75 ટકા ઘટાડો થવા સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે. તેમણે કહ્યું કે પહેલા ત્રિપુરામાં અને પછી મેઘાલયમાં આફ્સ્પા (એએફએસપીએ)  હટાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે છેલ્લા ત્રણ દાયકામાં, આસામની અગાઉની સરકારોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈ સુધારો ન થવાને કારણે આફસ્પાને વારંવાર લંબાવ્યો હતો.

છેલ્લા આઠ વર્ષમાં, સ્થિતિ નિયંત્રણમાં લાવવાના કારણે રાજ્યના મોટાભાગના ભાગોમાંથી આફસ્પા  હટાવી દેવામાં આવ્યો છે. અમે તેને બાકીના ભાગોમાંથી પણ પરત લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ કાયદો નાગાલેન્ડ, આસામ અને મણિપુરના કેટલાક વિસ્તારોમાં લાગુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.