Abtak Media Google News

તળાવોને પુન:જીવિત કરવા માટે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા જિલ્લા કલેક્ટર સાથે એમ.ઓ.યુ. કરાયા

જામનગરની જૈન સંગઠન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જામનગર જિલ્લાના 418 ગામોમાં તળાવને સરકારના સાથે રહી લોકોને જનજાગૃતિ કરી પુન:જીવિત કરવા માટે જવાબદારી સ્વીકારવામાં આવી છે, અને જામનગરના જિલ્લા કલેકટર બી.એ.શાહ સાથે તે અંગેના જરૂરી એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા છે.

ભારતીય જૈન સંગઠન (બીજેએસ), પુના દ્વારા મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજયમાં ગત વર્ષોમાં જળસંચયના કાર્યોથી પ્રભાવિત થઇ કેન્દ્ર સરકારના નીતિ આયોગ અને જળશકિત મંત્રાલય દ્વારા સમગ્ર દેશ માંથી 100 જિલ્લાઓને પાણીદાર બનાવવા માટે જન-જાગૃતિનું કાર્ય કરવાની જવાબદારી ત્રણ વર્ષ માટે સોંપી હતી. અને તે સબબ એમ.ઓ.યુ. કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાતમાં પણ ત્રણ જિલ્લાઓ આ જળસંચયની પ્રવૃતિ માટે પસંદ કરવામાં આવેલ છે.અને જામનગર જિલ્લો તે ત્રણ જિલ્લાઓ પૈકીનો એક છે. જેના અનુસંધાને જામનગર ચેપ્ટર – જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગર દ્વારા જામનગર જિલ્લા કલેકટર  બી.એ.શાહ સાથે  એમ.ઓ.યુ. સહી કરવામાં આવ્યા હતા., અને જામનગર જિલ્લાના 421 ગામોમાં જન-જાગૃતિ લાવી જળ-આંદોલન શરૂ કરવામાં આવશે.

દેશભરમાં પાણીની કટોકટી દિવસે-દિવસે વધી રહી છે. પાણી એ જીવન છે. દરેક ગામને પીવા માટે, ખેતી તેમજ પ્રાણીઓને સતત પાણીની જરૂર પડે છે. આબોહવા ઝડપથી બદલાઇ રહી છે. વરસાદ અનિયમિત બન્યો છે. આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે દરેક ગામ પાણી માટે સ્વાવલંબી બને તેવું આયોજન કરવું જરૂરી છે.

દરેક ગામ / તાલુકામાં પાણીના સંગ્રહ માટે કુવાઓ, ગામ-તળાવો, તેમજ નાના-મોટા તળાવો અને ડેમ છે. ઘણી જગ્યાએ તળાવોમાં કાંપ ભરાઇ ગયો છે. કાંપ ભરાવાથી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટે છે. ગામને જળ સક્ષમ કરવા આ તમામ જળાશયોમાંથી ખોદકામ કરી કાંપ દુર કરવો, તેમની કાયમી જાળવણી કરવી, પાણીનો બગાડ ટાળવો વિગેરે વિશેષ જાણકારી અને જાગરૂકતા કેળવવી અત્યંત જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓને યોગ્ય તાલીમ આપી સશકત બનાવી સરકારની મદદથી જામનગર જિલ્લાના તમામ તળાવોને જળ-સમૃદ્ઘ કરી ગામડાઓને પાણીમાં આત્મનિર્ભર  બનાવવા માટે ગામે ગામ પ્રચાર રથ ફેરવી જન-જાગૃતિ આણી ગ્રામ પંચાયતો તરફથી માંગણીની અરજી કરાવી તે કાર્યોને બનતી ત્વરાએ પુરા કરાવવા માટે બીજેએસ જામનગર ચેપ્ટર-જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના સભ્યો દ્વારા સંનિષ્ઠ પ્રયાશો કરવામાં આવશે.

તદુપરાંત આવતા શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં વિદ્યાર્થીઓને પાણીનું જીવનમાં મહત્વ, તેનો યોગ્ય ઉપયોગ કરવા અંગે અને પાણીનો બગાડ કેમ અટકાવવો તે વિષે જાગૃત કરી આવનારી પેઢીને પણ જળ-અંદોલનમાં સામેલ કરવામાં આવશે.આમ જનતાના ભવિષ્યને સુરક્ષિત કરવાના આ ઉમદા કાર્યમાં જૈન સમાજ જોડાયો તે અન્ય દરેક સમાજ માટે પણ પ્રેરણાદાયક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.