Abtak Media Google News

33 કરોડ દેવી દેવતાઓને રઝળતા ક્યાં સુધી રખાશે ?

શહેરી વિસ્તારમાં હવે ઢોર રાખવા પણ લાયસન્સ લેવું પડશે, સરકાર ટૂંક સમયમાં લાવી રહી છે નવો કાયદો

અબતક, રાજકોટ : રાજ્યના મોટા ભાગના શહેરી વિસ્તારોમાં રખડતાં ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ઢોરને કારણે સર્જાતા અકસ્માતથી સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે રાજ્ય સરકાર હવે આ સમસ્યાના નિરાકરણ માટે નવો કાયદો લાવવા જઈ રહી છે. જે મુજબ શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકોને લાઇસન્સ અપાશે અને લાઇસન્સ નહીં હોય તેવા માલિકોને દંડની સાથે પશુ પણ જપ્ત કરાશે.

કાયદાની જોગવાઈઓ મુજબ મહાનગરોમાં ઢોર રાખી શકાતાં નથી. પરંતુ સ્થાનિક મહાનગરપાલિકાઓ દ્વારા તેના ચુસ્ત અમલીકરણ સામે પ્રશ્નો ઊભા થયા છે.  જેથી શહેરી વિસ્તારોમાં ઢોરનો પ્રશ્ન આયોજનબદ્ધ રીતે ઉકેલાય અને પશુપાલકોને શહેરની બહાર પણ ખસેડવા ન પડે તે પ્રકારનું આયોજન વિચારાઈ રહ્યું છે. આ માટે લાઇસન્સ આપવાની કામગીરી શરૂ કરાઈ છે. જે પશુપાલકો શહેરમાં પશુઓને રાખી શકાય તે માટેની યોગ્ય અને નિયમાનુસારની જગ્યા ધરાવતા હશે તેમને જ લાઇસન્સ ઇશ્યૂ કરી આપવામાં આવશે.

પશુપાલકો પાસે આ જમીન કાયદેસરની હોવી જોઈશે અને તેમાં પશુઓ મુક્ત રીતે હરીફરી શકે.  તેમના ઘાસચારાની વ્યવસ્થા થઈ શકે તેવી સુવિધા રાખવાની રહેશે. આસપાસના વસાહતીઓ અને ટ્રાફિકને અડચણ ન થાય તે સહિતની શરતો મૂકવામાં આવશે. શરતોના ભંગ બદલ કાયદામાં સજાની જોગવાઈ પણ કરવામાં આવશે. રાજ્યકક્ષાના મંત્રી વિનુ મોરડિયાએ કહ્યું કે, વિભાગના અધિકારીઓની બેઠક બોલાવીને વિસ્તૃત આયોજન કર્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

સરકાર ત્રણ- ચાર ગામ વચ્ચે એક જગ્યા નિયત કરી એનજીઓને ઢોર સાચવવાની જવાબદારી સોંપશે

ગ્રામ્ય કક્ષાએ પણ રઝળતા ઢોરના પ્રશ્નનું નિવારણ લાવવા સરકાર વિચારણા કરી રહી છે. તાજેતરમાં જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું હતું કે સરકાર આ મામલે વિચારણા કરી રહી છે કે ત્રણ ચાર જેટલા ગામ વચ્ચે એક જગ્યા નિયત કરવામાં આવે. આ જગ્યામાં ઢોરને સાચવવાની જવાબદારી એનજીઓને સોંપવામાં આવે. આ મામલે સીએમનું ધ્યાન દોર્યું હોવાનું પણ પાટીલે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.