Abtak Media Google News

પંચાયત સેવા હેઠળના ૩૫ હજાર આરોગ્ય કર્મચારીઓએ વિવિધ ૧૩ પડતર પ્રશ્ર્નોના ઉકેલ સાથે આંદોલન છેડયું, વહીવટી સેવા બાદ હવે આરોગ્ય સેવા પણ ખોરવાશે

મહેસુલી કર્મચારીઓનું આંદોલન સમેટાઈ ગયું છે. ત્યાં આજથી પંચાયત સેવાના આરોગ્યકર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. જેમાં રાજ્યભરના ૩૫ હજારથી વધુ કર્મચારીઓ જોડાવાના છે. જેના લીધે સમગ્ર રાજ્યમાં આરોગ્ય સેવા ખોરવાઈ જવાની ભીતિ સેવાઇ રહી છે.

તાજેતરમાં મહેસુલી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી હતી. આ હડતાલમા ગઈકાલે આઠમા દિવસે સરકાર સાથે મહામંડળના હોદ્દેદારોની મંત્રણા સફળ રહી હતી. જેમાં સરકાર દ્વારા તમામ માંગણીઓ દિવસ ૬૦મા સંતોષવાની ખાતરી આપવામાં આવી હતી. જેના પગલે મહેસુલી કર્મચારી મહામંડળે આંદોલનને ગઈકાલે જ સમેટી લીધું હતું. આ હડતાલને પગલે ૮ દિવસથી મહેસુલી કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી. હડતાલના સુખદ અંતથી અરજદારોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

જો કે આ એક હડતાલ સમેટાઈ છે ત્યાં આજથી બીજી હડતાલ શરૂ થઈ ગઈ છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અગાઉ વિવિધ ૧૩ માંગણીઓ સાથે વિરોધ દર્શક કાર્યક્રમો આપવામા આવ્યા હતા. જેમાં વિશાળ રેલી પણ કાઢવામાં આવી હતી.

7537D2F3 13

ગુજરાત રાજ્યના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે ગત ફેબ્રુઆરી માસ દરમિયાન ૧૩ દિવસની સફળ હડતાલ પછી તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ સમાધાન બેઠકમાં ૧થી ૧૩ જેટલા નાણાકીય અને વહીવટી પ્રશ્નો અંગે ટૂંક સમયમાં તબક્કાવાર નિરાકરણ લાવી આપવા સરકાર તરફથી લેખિત બાહેંધરી આપી હતી. તે મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૧થી ૧૩ પડતર પ્રશ્નોની દરખાસ્ત નાણા વિભાગને રજૂ કરી હતી. પરંતુ રજૂ કરેલ દરખાસ્ત નાણા વિભાગે અસ્વીકાર કરી કોઈ પણ કારણ આપ્યા વગર બે વખત તા. ૮ મેં ૨૦૧૯, ૧૦ મેં ૨૦૧૯ અને ૧૪ મે ૨૦૧૯ની તારીખોએ પરત કરવામાં આવતા આરોગ્ય કર્મચારીઓ સાથે સરકારે કરેલ અન્યાયથી રાજ્યભરમા આક્રોશ સાથે રોષ ભભૂકી ઉઠતા આરોગ્ય કર્મચારી મહાસંઘે ફરી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા, મહામંત્રી વી.પી. જાડેજા અને મુખ્ય ક્ધવીનર સુરેશ ગામિતના જણાવ્યા પ્રમાણે આંદોલન સમયે થયેલા સમાધાન મુજબ એક પણ પ્રશ્નનો નિકાલ ના આવતા ફરીથી સરકારમાં લેખિત, મૌખિક અને વારંવારની રજૂઆતોમાં સરકારે નનૈયો ભણતા આંદોલન અંગેના કાર્યક્રમો જાહેર કર્યા હતા.

જેમાં ગત તા. ૨૮ નવેમ્બરના રોજથી તમામ કેડરના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. પરંતુ ઓનલાઈન કે ઓફલાઇન કોઈ પણ રિપોર્ટ વડી કચેરીએ આપવાનું બંધ કરી દેવાયુ છે. ઉપરાંત ગત શનિવારના રોજ મહિલા હેલ્થ વર્કરો અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોએ મોબાઈલ સ્વીચ ઓફ કરી તાલુકા હેલ્થ કચેરીઓમાં જમા કરાવી દીધા હતા. તા. ૯ ડિસેમ્બરના રોજ ગુજરાતના તમામ જિલ્લા મથકોએ એક દિવસના ધરણા, રેલી કરી સરકાર સામે સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા. આ વિરોધ દર્શક કાર્યક્રમો આપવા છતાં સરકારે નોંધ ન લેતા મહાસંઘ દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના ૬ કેડરના જેમકે ફાર્માસીસ, લેબ ટેક્નિશિયન, મેલ હેલ્થ સુપરવાઈઝર, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર, ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર મળી કુલ ૭૦૦ જેટલા કર્મચારીઓ જોડાવાના છે. જ્યારે રાજ્યભરમાં ૩૫ હજારથી વધુ કર્મચારીઓ જોડવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.