Abtak Media Google News

પ્રવીણકાકાની સ્મૃતિમાં ગ્રંથ વિમોચન બાદ વ્યાખાનમાળા કાર્યક્રમ યોજાશે: અપૂર્વભાઈ મણીઆર

 

Advertisement

અબતક, રાજકોટ

શિક્ષણ, સમાજ, સંઘ પરિવાર અને રાષ્ટ્રના સેવાર્થી પૂ. પ્રવીણભાઈ મણીઆર – પ્રવીણકાકાની આજે પાંચમી પુણ્યતિથિ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બાલ્યકાળથી સ્વયંસેવક, સંસ્કારલક્ષી ઊચ્ચ શિક્ષણનાં પ્રણેતા, શિક્ષણવિદ્દ સાથે સરસ્વતી શિશુમંદિરથી લઈ વી.વી.પી. કોલેજ જેવી અનેક નામાંકિત શૈક્ષણિક-સેવાભાવી સંસ્થાઓના સ્થાપક-સભ્ય પ્રવીણભાઈ મણીઆર – પ્રવીણકાકાની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર તેમજ સરસ્વતી શિશુમંદિરનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, પ્રવીણભાઈ મણીઆર – પ્રવીણકાકા રાજકોટ સહિત સમગ્ર રાષ્ટ્રનું ગૌરવશાળી વ્યક્તિત્વ છે. તેમના કર્તૃત્વએ તેમને સૌના માનીતા અને ચહિતા બનાવ્યા છે. આજે પણ શિક્ષણ, સંઘ, ધર્મ, રાજકારણ જેવા ક્ષેત્રોના કેટલાંક મહાનુભાવો પ્રવીણકાકાએ કંડારેલા રાષ્ટ્રવાદ, હિંદુત્વ, ભારતીય સંસ્કૃતિના ગૌરવપ્રદાન પથ પર અગ્રેસર છે.

કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ લાગતા-વળગતા લોકો એ મૃતક વ્યક્તિને ભૂલી જતા હોય છે પરંતુ પ્રવીણકાકા એક એવી વ્યક્તિ છે જેમના મૃત્યુના અડધા દાયકા પછી પણ તેઓ લોકહદયમાં વસેલા છે. લોકોમાનસમાં તેમની સ્મૃતિ અકબંધ છે. સદાયને માટે પ્રવીણકાકાનું વ્યક્તિત્વ જીવંત રહેવાનું છે. પ્રવીણકાકાએ સમાજ અને દેશને જે આપ્યું તે બદલ તેમનું ઋણ ચૂકવી શકાય તેમ નથી આમ છતાં વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા સ્વૈચ્છિક રીતે પ્રવીણકાકાની યાદમાં વાર-તહેવાર નિમિત્તે ભાવવંદના કરવી અને સેવાદિવસની ઉજવણી થવી એ પ્રસંશનીય બાબત છે.

સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે અંતમાં જણાવ્યું હતું કે, પ્રવીણકાકાના વ્યક્તિત્વ અને કર્તૃત્વ આધારિત પુસ્તકનું વિમોચન હાલમાં જ કરવામાં આવ્યું છે. પ્રવીણકાકા પર આધારિત પુસ્તકને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રવીણકાકા પરનો સ્મૃતિગ્રંથ પ્રવીણકાકાનું પ્રતિબિંબ છે. આ પુસ્તક ખરા અર્થમાં લોકપયોગી – સમાજપયોગી સાબિત થઈ રહ્યું છે. હવે આવનારા સમયમાં પ્રવીણકાકાની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળાનું પણ આયોજન કરવામાં આવશે. ફક્ત પુસ્તક વિમોચન કે વ્યાખ્યાનમાળા જ નહીં પરંતુ પ્રવીણકાકાનાં વ્યક્તિત્વ અને કર્તૃત્વમાંથી પ્રેરણા લઈ દરેક વ્યક્તિ નેતૃત્વ મેળવી રાષ્ટ્રને સમર્પિત કર્તવ્યનિષ્ઠ નાગરિક બની શકે તે માટેના વિવિધ કાર્યક્રમો કરવા સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ તથા મણીઆર પરિવાર વિવિધ આયોજન કરી રહ્યું છે એવું અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.