Abtak Media Google News

વ્યાજંકવાદને નાથવા રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં 600 જેટલા લોક દરબારનું આયોજન કરી પાંચેય જિલ્લામાં 112 જેટલા ગુના નોંધી 188 વ્યાજખોરોની ધરપકડ કરી છે, વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પિડીતોને સરળ હપ્તે અને ઓછા વ્યાજે લોન મળી રહે તે માટે 108 જેટલા લોન મેળાનું રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે આયોજન કરાયું છે.

આ ઝુંબેશ દરમિયાન રાજકોટ રેન્જના તાબા હેઠળ આવતા જિલ્લાઓમાં લોકો કાયદાથી અવગત થાય અને તેઓમાં વ્યાજખોરી અંગે જાગૃતી કેળવાય તેમજ વ્યાજખોરી કરતા ઇસમોને કાયદાનો પાઠ ભણાવી શકાય તેવા હેતુને લક્ષ્યમાં રાખી અત્યાર સુધીમાં સમગ્ર રેન્જમાં કુલ – 600 થી વધુ સ્થળો ઉપર લોકદરબારનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સ્થળ ઉપર રજુઆત કરવાથી માંડી ફરીયાદ લેવા સુધીની તમામ સુવિધા ઉભી કરવામાં આવેલ હતી. ફીલ્ડ ટીમોને સ્ટેન્ડબાય રાખી જરૂર જણાયે ત્વરીત આરોપીની ધરપકડ તથા સર્ચ ઓપરેશનો હાથ ધરવામાં આવેલ હતા.

રાજકોટ રેન્જના પોલીસ મહા નિર્દેશક અશોકકુમાર યાદવના તાબાના જિલ્લાઓમાં નાયબ પોલીસ અધિક્ષક તથા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારનું આયોજન કરવામાં આવેલુ જે પૈકી દેવભુમિ દ્વારકા જિલ્લામાં 68, જામનગર જીલ્લામાં 106, મોરબી જિલ્લામાં 217, રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 164 તથા સુરેન્દ્રનગ જિલ્લામાં 73 મળી કુલ-628 લોક-દરબારનુ આયોજન કરવામાં આવ્યું હતું.

લોક દરબાર દરમ્યાન વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલ લોકોમાં દેવભુમિ દ્વારકા જિલ્લામાં 13, જામનગર જિલ્લામાં 21, મોરબી જિલ્લામાં 14, રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 13 તથા સુરેન્દ્રનગર જીલ્લામાં 13 મળી કુલ-74 રજુઆતો મળેલ હતી. જે 74 રજુઆતો પૈકી 46 રજુઆતોમાં ત્વરીત ગુનાઓ નોંધી કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ અને અન્ય 28 રજુઆતોની હાલ તપાસ ચાલુ છે.

ગેરકાદેસર નાણાં ધીરધાર ધારા 2011 અંગે લોકોમાં જાગૃતી કેળવાય, વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલા લોકો નિર્ભીક પુર્વક કાયદાનો આશરો લેવા માટે સામે આવે, સરળતાથી પોતાની મુશ્કેલીને સમજી તે અંગે ચોકકસ કયા અને કેવા પ્રકારે રજુઆત કરી શકાય? તેની જાગૃતી કેળવાય તેવા આશયથી સોશિયલ મીડીયાના અલગ-અલગ પ્લેટફોર્મ ઉપર 650 થી પણ વધુ પોસ્ટ કરવામાં આવી છે.

વધુમાં રાજકોટ રેન્જના જિલ્લાઓના લોકોને સરળતાથી લોન મળી રહે અને તેઓ વ્યાજખોરીના દુષણનો ભોગ ન બને તે હેતુસર બેંકોના અધિકારીઓ તથા કર્મચારીઓને સાથે રાખી દેવભુમિ દ્વારક જિલ્લામાં 15, જામનગર જીલ્લામાં 26, મોરબી જીલ્લામાં 6, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં 47 તથા સુરેન્દ્રનગર જિલ્લામાં 14 મળી કુલ-108 લોન ધીરાણ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતું. તેમજ આગામી દિવસોમાં પણ લોનધીરાણ કેમ્પના કાર્યક્રમો સતત ચાલુ રાખવામાં આવશે.

ઉપરોક્ત મહાઅભિયાન ઝુંબેશ દરમ્યાન દેવભુમિ દ્વાજા જિલ્લામાં 14 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જે પૈકી 12 આરોપીઓ હાલે જેલ હવાલે છે, જામનગર જિલ્લામાં 29 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ  36 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જે પૈકી 13 આરોપીઓ હાલ જેલ હવાલે છે, મોરબી જીલ્લામાં 21 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ 39 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જે પૈકી 03 આરોપીઓ હાલે જેલ હવાલે છે, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં 27 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ  60 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જે પૈકી 13 આરોપીઓ હાલ જેલ હવાલે છે, સુરેન્દ્રનગર જિલ્લામાં 21 ગુનાઓ દાખલ કરવામાં આવી છે જેમાં કુલ 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

રાજકોટ રેન્જ જિલ્લાઓમાં કુલ-112 ગુનાઓ દાખલ કરવામાં આવેલ હતા, જે ગુનાઓમાં સંડોવાયેલ – 188 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જેમાં 41 આરોપીઓ હાલ જેલ હવાલે છે. તેમજ ઝુંબેશ દરમિયાન દાખલ થયેલ ગુન્હાઓમાં 31-ગુન્હાઓમાં ઇન્કમટેક્ષ વિભાગને, 10-ગુન્હાઓમાં ઇ.ડી. વિભાગને, 40- ગુન્હાઓમાં રજીસ્ટ્રારને રીપોર્ટ કરવામાં આવેલ હતો.

વધુમાં રાજકોટ રેન્જના અશોકકુમાર યાદવ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે  વ્યાજખોરીના ભોગ બનેલા લોકોએ કોઇપણ જાતના ભય વગર પોલીસનો સંપર્ક કરવો તેમજ રાજકોટ રેન્જના જીલ્લાઓમાં પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ લોન / ધીરાણ કેમ્પનો વધુમાં વધુ લાભ મેળવી વ્યાજખોરીનું દુષણ ડામવામાં પોલીસને મદદરૂપ થાવ અને વ્યાજખોરી સામે શરૂ કરેલી આ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા માટે તેમજ છેવાડાના ગામો સુધી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તમામ જનતાને પોલીસને સહયોગરૂપ થવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.