Abtak Media Google News

રાજકોટ જિલ્લો ઇ- શ્રમ કાર્ડની કામગીરીમાં રાજ્યમાં ત્રીજા ક્રમે

રાજકોટ જિલ્લામાં કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ ઇ શ્રમ કાર્ડ કાઢવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેને પગલે જિલ્લામાં 2 લાખ  ઇ- શ્રમ કાર્ડ ઇસ્યુ થયા છે. તંત્રએ કુલ 10 લાખ કાર્ડ કાઢવાનું લક્ષ્યાંક રાખ્યું છે. જે અન્વયે 54 જેટલા સરકારી વિભાગો વધુમાં વધુ શ્રમ કાર્ડ નીકળે તે માટે પ્રયાસો શરૂ કર્યા છે. જેને સફળતા મળી છે. રાજકોટમાં જિલ્લો ઇ શ્રમ કાર્ડની કામગીરીમાં ત્રીજા ક્રમે રહ્યો છે.

દૈનિક વેતન ઉપર મજૂરીથી લઇ હેયર ડ્રેસર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન,  રીક્ષા-થેલા ચાલકો જેવા મજૂરો અને વર્કર્સ માટે કેન્દ્રની મોદી સરકારે 26 ઓગસ્ટે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ કાર્ડના આધારે અસંગઠિત શ્રમયોગી કામદારો માટે સરકાર તરફથી ઘણી સુવિધાઓ આપવામાં આવશે. આ યોજના હેઠળ કામદારો ઇ શ્રમ કાર્ડ બનાવી શકે છે બાદમાં તેના આધારે જરૂરી લાભો આપવામાં આવનાર છે.

આ યોજના હેઠળ કરોડો કામદારોને નવી ઓળખ મળશે. ઇ-શ્રમ પોર્ટલ અસંગઠિત ક્ષેત્રના લગભગ 38 કરોડ મજૂરોને 12-અંકનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર અને ઇ-શ્રમ કાર્ડ આપશે. જે દેશભરમાં માન્ય રહેશે. ઇ-શ્રમ કાર્ડ દેશના કરોડો અસંગઠિત કામદારોને નવી ઓળખ આપશે. સ્થળાંતર કામદારોને ટ્રેક કરવામાં મદદ મળશે. મજૂરોનો ડેટા અને માહિતી એકત્રિત કરવામાં આવશે.

સરકાર વતી, દેશના તમામ કામદારોને ઓળખ કાર્ડ અને આધાર કાર્ડની તર્જ પર તેમના કામના આધારે કેટેગરીમાં વહેંચવામાં આવશે. આના માધ્યમથી તેમને સરકારી યોજનાઓનો લાભ મળશે તેમજ રોજગારીમાં મદદ મળશે. આ યોજનાનો વ્યાપ વધારવા કલેકટર અરુણ મહેશબાબુ સતત પ્રયત્નશીલ છે.

ઇ- શ્રમ કાર્ડ કોણ કઢાવી શકે?

ખેત શ્રમિકો, પશુ પાલન, આરોગ્ય સેવા, આશા વર્કર, આંગણવાડી વર્કર, મધ્યાહન ભોજન કામદાર, સફાઈ કામદાર, રમકડા બનાવનાર, વેલ્ડીંગ કામ કરનાર, બુટ પોલીસ કરનાર, હેર ડ્રેસિંગ, લોન્ડ્રિ કામ, માટી કામ, ઘરેલુ કામ, નાના ઉદ્યોગો, સુરક્ષા સેવા, રીક્ષા/ વાહન ચાલક, દરજી કામ, બાંધકામ કામદારો, ફેરિયા/ શાકભાજી વેચનાર, લારી- ગલ્લા જેવા તમામ વ્યવસાયો સાથે જોડાયેલ વ્યક્તિ ઇ શ્રમ કાર્ડ કઢાવી શકે છે.

આપની સાથે જે શ્રમિક જોડાયા હોય તેઓને ઇ-શ્રમ કાર્ડ કઢાવી આપો  :  કલેકટરની અપીલ

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે આપના ઘરે કે કામના સ્થળે અથવા આસપાસના વિસ્તારમાં જો કોઈ શ્રમિક હોય તો તેઓને ઇ શ્રમ કાર્ડ અંગે માહિતગાર કરી આ કાર્ડ કઢાવવા પ્રેરજો. આ કાર્ડ ઇસ્યુ થયા બાદ ભવિષ્યમાં તેઓ માટે જે કોઈ સરકારી યોજના આવશે. તેનો લાભ તેમને સરળતાથી મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.