Abtak Media Google News

ભાજપ સરકાર યુનિવર્સિટી પર સિધ્ધુ જ નિયંત્રણ કરવા ઈચ્છે છે: કોંગ્રેસ

યુનિવર્સિટી કોમન એકટની અમલવારી કરી ભાજપ સરકાર રાજયની આઠ યુનિવર્સિટીઓની 50 હજાર મિલકત જમીન વેંચી મારવાનો  કારસો રચી રહી છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓની એકેડેમીક અને નાણાંકીય સ્વાયતતા આ કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થવાથી  ખતમ થઈ જશે. યુનિવર્સિટીમાં જાહેર જીવનના પ્રતિનિધિઓ – શિક્ષણવીદો  – વિદ્યાર્થી પ્રતિનિધિઓ – શિક્ષક  – પ્રોફેસરો – આચાર્યોના પ્રતિનિધિઓ, સેનેટ સીન્ડીકેટ સભ્યો ને સ્થાન ન મળતા ગુજરાતની સરકારી – ગ્રાન્ટ ઈન એઈડ યુનિવર્સિટીઓમાં લોકશાહી ખતમ થઈ જશે. એરપોર્ટ વેચ્યાં, બંદરો વેચ્યાં, પી.એસ.યુ. વેચ્યાં એમ હવે યુનિવર્સિટીઓની કરોડો રૂપિયાની જમીન – મિલકતો પર ભાજપ સરકારનો ડોળો છે.

ગુજરાતની આઠ યુનિવર્સિટીના અંદાજીત 50 હજાર કરોડ કરતા વધુ રકમની મિલકતો, જમીનો વેચી કાઢવાનો કારસો ભાજપ સરકાર રચી રહી છે. હાલમાં યુનિવર્સિટીઓ – કોલેજોમાં મોટા ભાગે સ્ટાફ ખાલી છે ત્યારે ભરતી પ્રક્રિયાનો કેન્દ્રીય કરણ થશે જેથી ભરતી પ્રક્રિયામાં વધુ વિલંબ અને ભ્રષ્ટાચાર થશે. આ કાયદામાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં એસ. સી., એસ.ટી., ઓ.બી.સી. કે ઈ.ડબ્લ્યુ.એસ.ને કોઈપણ પ્રતિનિધિત્વ નહી મળે જેથી ગુજરાતના શોષીત, વંચિત સમાજના લોકો – વિદ્યાર્થીઓનો અવાજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સુધી પહોંચશે નહીં.

રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલ કોમન યુનિવર્સિટી બીલની વિવિધ જોગવાઈઓમાં શિક્ષણ વ્યવસ્થાને થતા નુકસાન અંગે  રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ડો. ઈન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ કાયદામાં પ્રવેશ પરિક્ષા પરિણામ વિશે કોઈ ઉલ્લેખ નથી. ભાજપ સરકાર માત્રને માત્ર યુનિવર્સિટીઓ પર સીધુ નિયંત્રણ કરવા ઈચ્છે છે. યુનિવર્સિટીઓ પાસે રહેલી શૈક્ષણીક સ્વાયતતા પણ આ કાયદાથી દુર થવા જઈ રહી છે. આ એક્ટમાં યુનિવર્સિટીની પ્રોપર્ટી ભાડે આપી શકાય, વેચાણ કરી શકાય અને ટ્રાન્સફર કરી શકાય તેવા પ્રાવધાન છે.

દેશના શૈક્ષણિક ઈતિહાસમાં ક્યારેય ન લેવાયેલ આ નિર્ણય છે. વિશ્વ વિદ્યાલયોની સ્થાવર – જંગમ મિલકત વેચવાનો વિચાર જ શિક્ષણના અધ:પતન માટે પુરતો છે. જે શિક્ષણના ખાનગીકરણની ભાજપ સરકારની દાનત સ્પષ્ટ કરે છે. યુનિવર્સિટીના સર્વોચ્ચ આદેશ એટલે કે કુલપતિના નિયુક્તીમાં રાજ્ય સરકારે પસંદગી સમિતિમાં સરકારના શિક્ષણ વિભાગના સચિવને મુકવાનો નિર્ણય કર્યો છે. જે દર્શાવે છે કે રાજ્ય સરકારની નિયત માત્ર યુનિવર્સિટીઓનું નિયંત્રણ કરવાની છે. આ કાયદામાં બોર્ડ ઓફ ગવર્નન્સમાં લગભગ તમામ સભ્યો કુલપતિ અથવા રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવશે તેવી જોગવાઈ છે. તે દર્શાવે છે કે, સત્તા મંડળના સભ્યોમાં સરકાર એવા લોકો ઈચ્છે છે કે જે ચર્ચાથી નિર્ણય ન કરે પણ સરકારના આદેશનું પાલન કરે.

ગાંધી વિચાર પર ચાલતી ગુજરાત વિદ્યાપીઠ પર જે રીતે કબજો કરીને મનફાવે તેવા નિર્ણય કરવાની જેમ જ કોમન યુનિવર્સિટી બીલ લાવી ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ પર કબજો કરવાની ભાજપા સરકારની નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓનો કેન્દ્રીયકરણ કરી મનફાવે તે રીતે નિર્ણય કરવાની સત્તા ભાજપ સરકાર મેળવવા માંગે છે. વિવિધ યુનિવર્સિટીઓમાં 55 ટકા થી વધુ અધ્યાપકોની, 45 ટકાથી વધુ વહિવટી કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે જ્યારે આ એક્ટને કારણે કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સીંગ વધશે. આ એક્ટના અમલવારથી શિક્ષણ વધુ મોંઘુ થશે અને શિક્ષણનું વેપારીકરણ વધશે. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત વિશ્વ પ્રસિધ્ધ ગાંધી વિચારની ગુજરાત વિદ્યાપીઠ ભાજપ સરકારે કાવાદાવા કરીને બહુમતિના જોરે આંચકી લીધી છે.

યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ થવાથી રાજ્યની યુનિવર્સિટીઓ ઉચ્ચ શિક્ષણ કચેરીના એક્ટેન્શન સેન્ટર બની જશે. જેનાથી ઉચ્ચ શિક્ષણની વધુ અધોગતિ થશે અને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને મોંઘા શિક્ષણ મેળવવા ફરજ પડશે.યુનિવર્સિટી કોમન એક્ટના વિરોધમાં આજરોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં એન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-ક્ધવીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, કોંગ્રેસ પ્રવક્તાશ્રી હિરેન બેંકર, શ્રી પાર્થિવરાજસિંહ કઠવાડીયા, ડો. અમિત નાયક અને પૂર્વ સીન્ડીકેટ સભ્યશ્રી અલ્પેશ પુરોહિત ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.