Abtak Media Google News

ભારત અને પાકિસ્તાનનો સરહદને લઈને વિવાદ આઝાદી સમયથી ચાલ્યો આવે છે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે યુદ્ધ પણ થયા છે. યુદ્ધ સિવાય પણ આતંકવાદીઓ અથવા પાકિસ્તાન સેન્ય દ્વારા ભારિતય બોર્ડર પર અવાર નવાર હુમલો કરવામાં આવે છે. આ બધી સમસ્યાનો અંત લાવવા બંને દેશો વચ્ચે શાંતિ કરાર કરવામાં આવ્યો હતો. જેને આજે 100 દિવસો પૂર્ણ થયા છે.

LOC બોર્ડર પર ભારત અને પાકિસ્તાની સૈન્ય વચ્ચેનો સંઘર્ષ વિરામ થયો તેને 100 દિવસો પૂર્ણ થયા. સેનાના ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે બુધવારથી બે દિવસ માટે બોર્ડરની સ્થતિ અંગે શ્રીનગરની મુલાકાત લેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે નવીનતમ યુદ્ધવિરામ કરાર ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં બંને સૈન્યના લશ્કરી કામગીરીના ડિરેક્ટર જનરલો વચ્ચેની વાતચીત બાદ કરવામાં આવ્યો હતો. તે કરાર બાદ બંને દેશ તરફથી બોર્ડર પર અવલોકન કરવામાં આવે છે.

સેનાના સૂત્રોએ ANI સાથે વાત કરતા કહ્યું, ‘સેના પ્રમુખ આજે શ્રીનગરમાં 15 ટોચના લશ્કરી કમાન્ડરો સાથે બોર્ડરની પરિસ્થિતિની સમીક્ષા કરશે. આ સાથે એ પણ ધ્યાન રાખવામાં આવશે કે ત્યાં કોઈ ઘૂસણખોરી કે બાળવાખોરી જેવી કાર્યવાહી ના થાય.’ તેમણે કહ્યું કે, ‘જનરલ ચીફ ખીણની આગળની પોસ્ટ્સની પણ મુલાકાત લેશે. આતંકવાદીઓ દ્વારા સંભવિત કોઈપણ ઘૂસણખોરીને પહોંચી વળવા સૈન્યની ઓપરેશનલ સજ્જતાની સમીક્ષા કરશે.’

Indianarmy
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલએ સંઘર્ષ વિરામ સમજોતામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. જેના પરિણામરૂપી પાછળના ઘણા વર્ષોથી બોર્ડર પર બંને દેશોના સેન્ય દ્વારા શાંતિનો માહોલ સર્જવામાં આવ્યો છે. આર્મી ચીફ જનરલ નરવને પણ આ સમજૂતીનું સંપૂર્ણ પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે સેનાઓને સ્પષ્ટ સૂચના આપી છે. આ સાથે LOC પાર કરીને આવતા આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસ સામે કડક દેખરેખ રાખવાની સૂચના આપવામાં આવી છે.

સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘બંને ડીજીએમઓએ 23 ફેબ્રુઆરીએ યુદ્ધવિરામ કરારની વિગતવાર ચર્ચા કરી હતી અને તેનો અમલ એક દિવસ પછી શરૂ થયો હતો. પાકિસ્તાની સેના ભારતમાં આતંકવાદીઓને ઘુસાડવા માટે અથવા બીજા અન્ય કારણોસર ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કરતી હતી, પરંતુ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછીથી આવું થયું નથી.’

25 મી ફેબ્રુઆરીએ બંને સૈન્ય દ્વારા જારી કરેલા સંયુક્ત નિવેદનમાં યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. બંને દેશોએ અગાઉ 2003માં યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ પાકિસ્તાન દ્વારા તેનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવતું હતું.

વર્ષ 2016માં ભારત અને પાકિસ્તાની સરહદ પર ઉચ્ચ તણાવનો માહોલ જોવા મળ્યો હતો. તે પછી વર્ષ 2019 માં આતંકવાદીઓ દ્વારા પુલવા અને ઉરી પર હુમલો કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.