Abtak Media Google News

રાયપુરમાં 24મીથી રાષ્ટ્રીય અધિવેશ, યોજાઈ તે પૂર્વે જ ઇડીની મોટી કાર્યવાહીથી કોંગ્રેસમાં સન્નાટો

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર કોંગ્રેસના 85માં રાષ્ટ્રીય અધિવેશન પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ કોંગ્રેસના 12 થી વધુ નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા છે.  ઇડીની ટીમ સવારે 5 વાગ્યાથી રાયપુરમાં કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓના ઘર અને ઓફિસ પર પહોંચી ગઈ છે. આ ટિમો દસ્તાવેજોની ચકાસણી અને તપાસ કરી રહી છે.

જેમાં છત્તીસગઢના રાજ્યકક્ષાના મંત્રી સન્ની અગ્રવાલના ટિકરાપાડાના ઘરે કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે કોર્પોરેશન મંડળના સભ્ય કોંગ્રેસના નેતા વિનોદ તિવારીના મોવા આવાસ અને અવંતિ વિહારમાં દસેનાના ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ સિવાય ઇડીએ કોંગ્રેસ નેતા આરપી સિંહ, ભિલાઈના ધારાસભ્ય દેવેન્દ્ર યાદવના બંને ઘરો પર દરોડા પાડ્યા છે.  ઇડીએ સેક્ટર-5માં ધારાસભ્યના ઘર અને હાઉસિંગ બોર્ડ પર દરોડા પાડ્યા છે.  ઇડીની ટીમ પણ ગિરીશના ઘરે પહોંચી ગઈ છે.  તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટીનું મહાઅધિવેશન છત્તીસગઢમાં થવા જઈ રહ્યું છે.  આ પહેલા રાજ્યમાં કોંગ્રેસના નેતાઓના ઘરો પર ઇડીના મોટાપાયે દરોડા ઘણા સવાલો ઉભા કરી રહ્યા છે.  કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા પ્રદેશ કોંગ્રેસના નેતાઓના ઘરો પર ઇડીના મોટા પાયે દરોડા રાજકીય દિશા તરફ ઈશારો કરી રહ્યા છે.

આ પહેલા પણ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું છે કે ભાજપ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.  તે આવું કરીને અમને ડરાવવા માંગે છે પરંતુ અમે ડરતા નથી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે ઈડીએ કોંગ્રેસના કોઈ નેતાના ઘરે સીધા દરોડા પાડ્યા હોય.  રાજ્યમાં કોલસા વસૂલાતના કેસમાં સતત કાર્યવાહી ચાલી રહી હતી, જેમાં કોલસા સાથે સંકળાયેલા ઘણા આઈએએસ અને વેપારીઓ જેલમાં ઈડી રિમાન્ડ પર છે.  આટલા મોટા પાયા પર કોંગ્રેસના નેતાઓના ઘરો અને કાર્યાલયોમાં દરોડા ક્યાંકને ક્યાંક કોલસા સંબંધિત કેસ તરફ ઈશારો કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.