Abtak Media Google News

શહેરમાં અપમૃત્યુના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં ગોકુલધામમાં રહેતી યુવતી માનસિક બિમારીથી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનું જયારે કલ્યાણનગરમાં રહેતી પરિણીતાએ પારિવારીક તણાવને કારણે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બંને પરીવારોમાં શોકનું મોજુ છવાઈ ગયું છે.

પોલીસમાંથી મળતી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં ગોકુલધામ પાસે હરીદ્વાર પાર્ક-૨માં રહેતી ક્રિષ્નાબેન રાજેશભાઈ મણવર નામની ૨૨ વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મૃતક ક્રિષ્નાબેન માનસિક બિમાર હોય જેના કારણે આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસ ઘટના સ્થળ પર જઈ તપાસ કરતા સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં યુવતીએ મમ્મી પપ્પા મને માફ કરજો એવા અંતિમ શબ્દ લખ્યા હતા. આપઘાત કરતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

જયારે એચ.જે.દોશીની બાજુમાં કલ્યાણનગરમાં રહેતી મનીષાબેન જીતુભાઈ રાઠોડ નામની ૨૩ વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પાંચ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર મૃતક મનીષાબેનને ૨ પુત્રી હોય અને માતાએ આપઘાત કરતા પરીવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે. પારીવારીક તણાવથી કંટાળી પરિણીતાએ પોતાના ઘરે કોઈ હાજર હોય નહીં ત્યારે દુપટ્ટાથી પંખા વડે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પોલીસે બંને બનાવોની ઘટના સ્થળ પર જઈ તપાસનો દૌર શરૂ કર્યો છે. સાથે બંને મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.