Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે સંસદ અથવા વિધાનસભાઓમાં રાજકીય વિરોધીઓ વિરુદ્ધ અપરાધિક ષડયંત્રના ભાગરૂપે અપમાનજનક નિવેદનો જાહેર કરવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગૃહની અંદર ઉચ્ચારવામાં આવેલા શબ્દો બદનક્ષીનું કૃત્ય ગુનો નથી. સુપ્રીમ કોર્ટ સમક્ષના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે સંસદ અને વિધાનસભાઓમાં અપમાનજનક નિવેદનો સહિત દરેક પ્રકારના કામને કાયદામાંથી મુક્તિ આપવામાં ન આવે. જેથી ગુનાહિત કાવતરા હેઠળ આવું કરનારાઓ સામે દંડાત્મક કાયદાનો અમલ કરી શકાય. અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટે જેએમએમ ધારાસભ્ય સીતા સોરેન વિરુદ્ધ ’વોટના બદલામાં લાંચ’ના આરોપ સાથે સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

સાંસદ અને ધારાસભ્યોને ગૃહમાં બોલવાની સંપૂર્ણ સ્વતંત્રતા: સર્વોચ્ચ અદાલતનું અવલોકન

સીતા સોરેને આ કેસમાં પોતાને નિર્દોષ જાહેર કરવાની દલીલમાં કહ્યું હતું કે તેમને બંધારણના અનુચ્છેદ 194 (2) હેઠળ ગૃહમાં ’કંઈ પણ કહેવા અથવા મત આપવા’ માટે પ્રતિરક્ષા છે. વરિષ્ઠ ધારાશાસ્ત્રી રાજુ રામચંદ્રને જણાવ્યું હતું કે જો ગૃહમાં મતદાન અથવા ભાષણ સંબંધિત કોઈપણ કૃત્ય કાયદાકીય કાર્યવાહીથી મુક્ત નથી, તો સભ્યોને ગૃહની અંદર બદનક્ષીભર્યા ભાષણો કરીને અન્ય સભ્યોને બદનામ કરવાનું કાવતરું કરવા બદલ દોષી ઠેરવવામાં આવશે.

એડવોકેટ રાજુ રામચંદ્રને કહ્યું કે જો આવું ન થાય તો ગૃહના ફ્લોર પર અપમાનજનક ભાષણો અંગે સંભવિત ષડયંત્રની તપાસ કરવામાં આવશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ, જસ્ટિસ પીએસ નરસિમ્હા, જસ્ટિસ જેબી પારડીવાલા, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી સાત જજોની બેંચે પોતાના અવલોકનમાં જણાવ્યું હતું કે, લોકસભા અને વિધાનસભામાં જે શબ્દો ઉચ્ચારવામાં આવે છે તે બદનક્ષીભર્યું કૃત્ય ગણી શકાય નહીં. ગૃહના સભ્યોને વાણી સ્વતંત્રતા આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.