Abtak Media Google News

નિ:શુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે દેશની સૌથી મોટી સંસ્થાને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના અનેક એવોર્ડ એનાયત

અત્યાર સુધીમાં ૪.૫૦ લાખ જેટલા પશુ-પક્ષીઓના વિનામુલ્યે ઓપરેશન તેમજ ૮ લાખ ચકલીના માળાનું વિતરણ

રાજકોટમાં છેલ્લા ૧૭ વર્ષથી એનીમલ હેલ્પલાઈન કાર્યરત. રસ્તે રઝળતા, નિરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના-મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર ઉપરાંત અત્યાર સુધીમાં ૪,૫૦,૦૦૦ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામુલ્યે, નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, ૯ એમ્બ્યુલન્સ તેમજ બે બાઈક એમ્બ્યુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે. દર માસે લગભગ ૪૫૦૦ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા સ્થળ પર જ વિનામુલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન સારવાર કરવામાં આવે છે. કુતરીઓના ૪૬૦ જેટલા સીઝરીયન ઓપરેશન, ૫૮૦થી વધારે ગૌ માતાના હોર્ન કેન્સરના (શીંગડાનું કેન્સર) ઓપરેશન કરવામાં આવ્યા છે.

ઉપરાંત ભારતનો સર્વ પ્રથમ એવો પશુ-પક્ષીઓના અંધત્વ નિવારણ માટેનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગૌશાળાઓમાં વૃક્ષારોપણ અભિયાન, અવેડા તેમજ ચબુતરા બનાવવા, ટ્રેવીસ તેમજ અન્ય સાધન સામગ્રી કીટ કરાવવી સહિતની પ્રવૃતિઓ સતત થતી રહે છે. સમગ્ર ભારતમાં ૧૭ વર્ષમાં અંદાજે ૮ લાખ ચકલીના માળા, પક્ષીના પાણી પીવાના કુંડાનું નિ:શુલ્ક વિતરણ, ગૌ માતાની પાણી પીવાની કુંડી સંસ્થા દ્વારા નિ:શુલ્ક આપવામાં આવે છે. સંસ્થા દ્વારા નિ:શુલ્ક વેટરનરી હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે. જુની શ્રી ગૌશાળા (ગોંડલ રોડ, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, વાવડી, રાજકોટ) ખાતે સંસ્થાની નિ:શુલ્ક વેટરનરી હોસ્પિટલ અને શેલ્ટર (પાંજરાપોળ)માં અંદાજે ૩૫૦ જેટલા બિમાર, અશકત, ઘવાયેલા પશુ-પક્ષીઓને આશ્રય, સારવાર સતત, દરરોજ મળે છે. આ હોસ્પિટલમાં ઓપીડી રૂમ, ઓપરેશન થીયેટર, સ્ટાફ કવાટર્સ બર્ડ હાઉસ, નાની ગૌશાળા, ચબુતરો, અવેડો સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં ઓપરેશન સહિતની તમામ સુવિધાઓ નિ:શુલ્ક આપવામાં આવે છે.

દોઢ કરોડ રૂપિયાના માતબર ખર્ચ અને ૯ કંટ્રોલ રૂમો દ્વારા રાજકોટ અને આસપાસના ૪૦ કિમીના વિસ્તારમાં અબોલ જીવોને ખોરાક, પાણી, સારવાર પહોંચાડવામાં સંસ્થા નિમીત બની હતી. દુષ્કાળ સમયે ૭ કેટલ કેમ્પોના માધ્યમથી ૬૦૦૦ જેટલી ગૌમાતા, ગૌવંશના નિભાવમાં સંસ્થાના અગ્રણીઓ નિમિત બન્યા હતા. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નિયમિત આવકનું સાધન નથી. સંસ્થા પ્રવર્તમાન મોંઘવારીની સ્થિતિના હિસાબે, ગૌસેવા જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. વાર્ષિક દોઢ કરોડ માતબર ખર્ચ સેવારત આ સંસ્થાને સહકાર આપવા અપીલ કરાઈ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંસ્થાને અનેક એવોર્ડસ મેળવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. પવિત્ર શ્રાદ્ધ પર્વ નિમિતે અનુદાન આપી અબોલ જીવોના પ્રાણદાનમાં ઉપયોગી થવા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ સહિતનાઓએ અપીલ કરી છે. સંસ્થા દ્વારા નાની સાઈઝની આકર્ષક દાન પેટી તૈયાર કરાઈ છે. જે ધંધાના સ્થળ/ ઘરે મુકી યથાશકિત અનુદાન આ પેટીમાં નખાવી શકાય છે. અનુદાન પેટી મેળવવા તેમજ દર મહિને ફિકસ, સ્વૈચ્છિક અનુદાન આપવાની યોજનામાં ભાગ લેવા મો.૯૮૨૪૨ ૨૧૯૯૯ અને મો.૯૯૯૮૦ ૩૦૩૯૩નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.