Abtak Media Google News

જાન્યુઆરી-2024ના પ્રથમ સપ્તાહમાં

ર થી 8 જાન્યુ. સુધી સપ્ત સંગીતીનું આયોજન

રાજકોટની કલા રસીક જનતાની આતુરતાના અંત સાથે તથા રાજકોટની કલાપ્રિય શહેરીજનોના રસ અને રૂચિને સંતોષવાના હેતુથી, સામાજીક પ્રવૃતિઓને વરેલી સંસ્થા, નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા કલા આધારીત રંગા-રંગ મહોત્સવ ’સપ્ત-સંગીતિ-2024’ ની છઠ્ઠી આવૃતિના આયોજનની તૈયારીઓ જોરશોરથી શરુ કરી દેવામાં આવી છે. જેમા જાન્યુઆરી 2024 ના પ્રથમ સપ્તાહમાં તા. 2 થી 8 દરમિયાન રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે દેશના ખ્યાતિ-પ્રાપ્ત અને અગ્ર પંક્તિના કલા-સાધકો પોતાની કલા રજુ કરશે. દરવર્ષની પરંપરા અનુસાર સપ્તાહના સાતેય દિવસ અલગ-અલગ કલાના ટોચના કલાસાધકો તેમના સહ-કલાકારો સાથે કલાની પ્રસ્તુતી કરશે.

Advertisement

સમાજ સેવા તથા રચનાત્મક કાર્યના પ્રકલ્પોને કંઇક અનોખી રીતે કરી છુટવાના ધ્યેયથી રચાયેલ નીઓ રાજકોટ ફાઉન્ડેશન છેલ્લા આઠ વર્ષોથી લગાતાર રાજકોટની કલાની કદરદાન પ્રજાને શાસ્ત્રીય કલાના સુર, અને તાલથી તરબોળ કરી રહી છે, જેમાં વર્ષ 2021 અને 2022 દરમિયાન પ્રસ્તુતી વર્ચ્યુઅલ કરવામાં આવી હતી જયારે પાંચ વર્ષ પ્રત્યક્ષ કાર્યક્રમોના આયોજન કરાયા હતા. આ વખતે મુખ્ય, સહ-કલાકારો અને યુવા પ્રતિભાઓ સહીત કુલ 30 જેટલા કલાકારો ઉપસ્થિત થશે. જેમાં શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ કલાકારો શુભા મુદગલ, પં. રાકેશ ચોરસીયા, પં. શુભેન્દ્ર રાવ, પં. દેબોજયોતિ બોસ, પં. દેબાશિષ ભટ્ટાચાર્ય અને લોક ગાયક ઓસમાણ મીર જેવા અગ્ર પંક્તિના કલાકારોનો સમાવેશ થાય છે. નીઓ રાજકોટ ફાઉન્ડેશનનો આ સમગ્ર આયોજન પાછળનો ઉદેશ ભારતના સાંસ્કૃતિક વારસા સમા શાસ્ત્રીય સંગીતને જાળવવા ઉપરાંત શાસ્ત્રીય સંગીતના કલાકારોને પ્રોત્સાહિત કરી લોકો સમક્ષ શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતીથી તેને પ્રચલીત બનાવવા અને રસ ધરાવતા કલા સાધકો તેમાંથી જ્ઞાન ગ્રહણ કરી આ ભવ્ય વારસાને અપનાવી અને આગળ વધારી શકે તેવા પ્રયત્ન રૂપ છે.

આપને વિદિત હશે કે, નીઓ રાજકોટ ફાઉન્ડેશન હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પરંપરાને યુવાઓ અને કલાપ્રેમી શ્રોતાઓ સુધી પહોંચાડવા ઉપરાંત વિશિષ્ટ પ્રવૃતિઓ જેવી કે, સ્વચ્છતા અભિયાન ‘પ્રયાસ’ અને વંચિત બાળકોના અભ્યાસને આયોજનબધ્ધ રીતે કારકિર્દીલક્ષી બનાવવાના સફળ પ્રકલ્પો થકી સમાજમાં પ્રતિષ્ઠા પામેલ છે. નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત અને જીલ્લા પંચાયત સંચાલીત સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરવા અસક્ષમ હોય તેઓને ખાનગી શાળા જેટલી જ સવલતો અને અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે તેમની જ શાળામાં સ્માર્ટ કલાસની સુવિધાઓ પુરી પાડીને તેમના ભવિષ્યને આકાર આપવાનું ઉમદા કાર્ય કરે છે. આ પ્રવૃતિનો લાભ હાલમાં કુલ 18 શાળાઓમા નિયો સેન્ટર ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત છે.

સપ્ત સંગીતિની આઠ વર્ષની સફરમાં કલારસીકો જાણે છે તેમ, બેગમ પરવીન સુલતાના,  કૌશીકી ચક્રબર્તી, ઉસ્તાદ શાહિદ પરવેઝ, ઉસ્તાદ રશીદ ખાન,  ડો. એન. રાજમ,  શુભા મુદગલ, ઉસ્તાદ ફઝલ કુરેશી, પં. રાજન અને સાજન મીશ્રા, અજોય ચક્રવર્તી, ડો. અશ્વિની ભીડે દેશપાંડે, પુરબયાન ચેટરજી, ગુંડેચા બ્રઘર્સ, રોનુ મજુમદાર, પંડિત હરિપ્રસાદ ચૌરસિયાજી જેવા દેશના દિગ્ગજ કલાકારોની કલાનો રસાસ્વાદ લેવાનો મોકો પ્રાપ્ત થયો હતો. ઉપરાંત સપ્ત સંગીતિ 2020 માં રાજકોટની જનતાને પદ્મવિભુષણ પંડિત શ્રી જસરાજજીને રુબરુ સાંભળવાની અવિસ્મરણીય અને ઐતિહાસિક તક પણ નીઓ રાજકોટ ફાઉન્ડેશનને આભારી છે.

ભવ્ય અને જાજરમાન રીતે યોજાનાર “સપ્ત સંગીતિ 2024” માં દિગ્ગજ અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો સતત સાત દિવસ સુધી પોતાની કલા દ્વારા સૌરાષ્ટ્રની કલાચાહક જનતાને તરબતર કરવા આવી રહ્યા છે. તા 2 જાન્યુઆરીના રોજ સમારોહની સુરીલી શરુઆત તન્મય-ઇન-હાર્મની બેન્ડ દ્વારા હારમોનીયમ, ડ્રમ, તબલા, ગિટાર, કીબોર્ડ અને બાસની મંત્રમુગ્દ્ધ કરી દેતી જુગલબંદી સમા ફયુઝન મ્યુઝીક બેન્ડ દ્વારા કરાશે. તા. 3 ના રોજ  શુભા મુદ્દગલ દ્વારા શસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરવામાં આવશે. તા. 04 ના રોજ પં. રાકેશ ચૌરસીયાનું બાંદુરી વાદન અલૌકીક દુનિયાની સફર કરાવશે. તા. 5ના રોજ પં. શુભેન્દ્ર રાવનું સિતાર વાદન, તા. 06 ના રોજ પં. દેબોજયોતિ બોસનું સરોદ વાદન માણવા મળશે. તા.7 જાન્યુના રોજ સ્લાઇડ ગીટાર વાદક પં. દેબાશીશ ભટાચાર્ય શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતી કરશે. સમારોહના આખરી દિવસે એટલે કે 08 જાન્યુઆરીના રોજ જાણીતા લોકગાયક ઓસમાન મિર અને આમીર મિર તેમના લોક ગીતોની કલાથી શ્રાવકોને રસતરબોળ કરશે. આ સાતેય દિવસ દરમ્યાન તમામ દિગ્ગજ કલાકારો સાથે સંગત કરવા વિવિધ વાદ્યોના ઉત્તમ અને પ્રતિષ્ઠિત કલાકારો ઉપરાંત દેશના ટોચના તબલા વાદકો જેમા કલકતાના પં. કુમાર બોસ, પં. આનીંદો ચેટર્જી, દિલ્હી નિવાસી અક્રમ ખાન, અનિશ પ્રધાન, તેમજ મુંબઈથી પં. સત્યજીત તલવાલકરની કલાનો પણ લાભ શ્રોતાઓને મળશે. સપ્ત સાંગીતિની આ વર્ષની વિશેષતામાં શાસ્ત્રીય ગાયન ઉપરાંત અલભ્ય અને ખુબ ઓછા સાંભળવા મળતા વાદ્યો જેવાકે સ્લાઈડ ગિટાર, દિલરુબા, ચેલો તથા ડિજીટલ પિયાનોની પ્રસ્તુતી દ્વારા તેને જોવા, સમજવા અને સાંભળવાનો અલભ્ય અવસર કલાસાધકોને મળશે.

આ ઉપરાંત સપ્ત સંગીતિની દર વર્ષની પરંપરા મુજબ ઉભરતી યુવા પ્રતિભાઓને પણ કલા મંચનો ભાગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. કોન્સર્ટના પ્રથમ ચરણમાં આ વર્ષે નવ જેટલા ફકત આપણા શહેર કે રાજયના જ નહી પરંતુ અલગ-અલગ પ્રાંતના ઉભરતા યુવા કલાકારોને પોતાની કલા રજુ કરવાનો અવસર મળવાનો છે. જેમાં તા. 3 ના રોજ વિપુલ વોરા દ્વારા બાંસુરી વાદન, તા. 04 ના ડો. વિરલ અમર ભટ્ટ દ્વારા કંઠય સંગીત, તા. 5 ના સંદિપ સિંગનું દિલરુબા વાદન, જયારે તા. 6 ના રોજ ડો. મોનિકા શાહની ઠુમરી પેશકશ થશે. આ સંગીત સમારોહની ખાસીયત એ છે કે આ સમગ્ર આયોજન રાજકોટના કલાપ્રેમી પેટ્રનોની દિલાવરીને આભારી છે, જેથી દર વર્ષની માફક તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે નિ:શુલ્ક રહેશે.  કાર્યક્રમના પાસ મેળવવા માટે સંગીત રસીકો માટે ‘સપ્ત સંગીતિ’ ની વેબસાઈટ saptasangeeti.org પર નિ:શુલ્ક રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત શાસ્ત્રીય સંગીતમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને કલાસાધકોને આ તમામ દિગ્ગજ કલાકારો પાસેથી શીખવા અને માર્ગદર્શન મેળવવાની તક સાંપડે તે માટે નીઓ રાજકોટ ફાઉન્ડેશનનો સંપર્ક કરવા પણ જણાવવામાં આવે છે, જેથી કલાકારોની અનુકુળતા અનુસાર અલગથી નોલેજ શેરીંગ સેશન જેવી વ્યવસ્થા વીચારી શકાય.

આ સઘળા આયોજનનો યશનીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટરઓને તેમજ સ્વયં સેવકોની સમર્પિત ટીમને જાય છે. જેમા સર્વે ડિરેકટરઓ,  પરાક્રમસિંહ જાડેજા, મુકેશભાઇ શેઠ, અરવિંદભાઇ પટેલ, દીપકભાઇ રીંડાણી, વિક્રમભાઇ સંઘાણી, હિરેનભાઇ સોઢા અને અતુલભાઇ કાલરિયા સેવાઓ આપે છે અને સમગ્ર સંચાલનમાં ખડે પગે યોગદાન આપે છે. આ તમામ ડિરેકટરો અને સ્વયં સેવકોની સમર્પિત ટીમ દ્વારા ગત પાંચ વર્ષો દરમિયાન બહોળી સંખ્યામાં કાર્યક્રમો માણવા આવતા કલાપ્રેમીઓની ડિજીટલ ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરી પ્રવેશ માટેની સુચારૂ વ્યવસ્થા જાળવી હતી અને આયોજનને અપ્રતિમ સફળતા અપાવી હતી. જેના માટે કાર્યક્રમ માણનાર તમામ કલારસિકોએ આયોજકોની તમામ વ્યવસ્થાઓને ખુબ વખાણી છે. ગત વર્ષોના આયોજનોમાં શ્રોતાઓએ પણ વ્યવસ્થામાં પૂરતો સહકાર આપીને તમામ કાર્યક્રમોને અપ્રતિમ સફળતા અપાવી હતી. આ વર્ષે પણ આયોજકો સૌરાષ્ટ્રવાસીઓને અવિસ્મરણીય કાર્યક્રમોની વણઝાર આપવા કટીબદ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.