Abtak Media Google News

પાંચ વર્ષ સુધી દેહ પિંખ્યા બાદ તરછોડી દેતા હવસખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો

રાજકોટમાં રહેતી એક ત્યક્તાને લગ્નની લાલચ આપી નરાધમે પાંચ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારી તરછોડી દીધી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જે મામલે પોલીસે ત્યક્તાની ફરિયાદ પરથી મોરબી રોડ પર આવેલા ગિરિરાજ પાર્ટી પ્લોટ પાસે રહેતા મોહિત ધીરૂ મીસરિયા નામના શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

આ અંગે ત્યક્તાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિ સાથેના મનદુ:ખ બાદ પિયર આવી ગઇ હતી અને છૂટાછેડા લીધા હતા. દરમિયાન 2019ના ડિસેમ્બર મહિનામાં મોહિત સાથે પરિચય થયો હતો. જે પરિચય ગાઢ બન્યા બાદ બંને અવારનવાર બહાર ફરવા જતા હતા.

જ્યાં મોહિતે પોતાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા.બંને જ્યારે અલગ અલગ સ્થળોએ મળતા ત્યારે મોહિત પોતાની સાથે લગ્ન કરવાનો જ છે તેમ કહી શારીરિક સંબંધ બાંધતો હતો.

તેને અનેક વખત લગ્નની વાત કરતા મોહિત પોતાને યેનકેન પ્રકારે ફોસલાવી લેતો હતો.

પાંચ વર્ષ સુધી મોહિતે પોતાને લગ્ન કરવાની લાલચ બતાવી અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા બાદ ગત ફેબ્રુઆરી મહિનામાં લગ્નની ના પાડી દીધી હતી.

આમ પોતાને લગ્નની લાલચ આપ્યા બાદ લગ્ન નહિ કરતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપી મોહિતને સકંજામાં લઇ ધરપકડની તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.