Abtak Media Google News

જન્મ પછી તરત બાળકનું મૃત્યુ થાય તો પણ મહિલા કર્મચારીને મળશે 2 મહિનાની રજા

કેન્દ્ર તરફથી મહિલા કર્મચારીઓને રાહત આપનારી એક જાહેરાત શુક્રવારના રોજ કરવામાં આવી હતી. જો કોઈ મહિલા કર્મચારીના બાળકનું જન્મ પછી તરત મૃત્યુ થાય અથવા તો તે મૃત અવસ્થામાં જન્મે તો તે મહિલા કર્મચારીને ખાસ 60 દિવસની મેટરનીટી લીવ હવેથી મળશે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શુક્રવારના રોજ કેન્દ્ર તરફથી મહિલા કર્મચારીઓને રાહત આપતી એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. બાળકના જન્મ પછી મહિલા કર્મચારીઓને મેટરનીટી લીવ મળે જ છે, પરંતુ જો કોઈ કારણોસર બાળક મૃત અવસ્થામાં જન્મે અથવા તો ડિલિવરી દરમિયાન કે પછી જન્મ પછી થોડા સમયમાં બાળકનું મૃત્યુ થાય તો આ સ્થિતિમાં પણ મહિલા કર્મચારીઓને 60 દિવસની રજા આપવામાં આવશે. બાળક ગુમાવવાની પીડાનો સામનો કરવા માટે આ સમય મળવો ખૂબ જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, જો ગર્ભાવસ્થાના 28 અઠવાડિયા પછી બાળક મૃત અવસ્થામાં જન્મે તો તેની ગણતરી ‘સ્ટીલબર્થ’ તરીકે કરવામાં આવશે અને માતાને બે મહિનાની રજા મળી શકશે. ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ(ડીઓપીટી) દ્વારા શુક્રવારના રોજ જણાવવામાં આવ્યું કે, આ પ્રકારની સ્થિતિમાં મહિલા કર્મચારીને રજા આપવાની શું જોગવાઈ છે તેની ચોખવટ માંગતી અરજીઓ વિભાગને ઘણી વાર મળી હતી. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે, જન્મ પછી તરત જ જો બાળકનું મૃત્યુ થાય અથવા બાળક મૃત અવસ્થામાં જન્મે તો તે માતાની મનોસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્રકારની સ્થિતિમાં માતાને સ્પેશિયલ મેટરનીટી લીવ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને આ 60 દિવસની રજાનો લાભ મળી શકશે.

તમને જણાવી દઈએ કે સ્પેશિયલ મેટરનીટી લીવની આ જોગવાઈ માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જ છે. આ સિવાય રજાઓનો લાભ લેવા માટેની અન્ય શરતો પણ મૂકવામાં આવી છે. મહિલા કર્મચારીના બે કરતા ઓછા બાળકો હોવા જોઈએ. મહિલાની ડિલિવરી સરકારી હોસ્પિટલમાં અથવા તો સરકાર માન્ય ખાનગી હોસ્પિટલમાં થવી જોઈએ. એટલે કે, સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ હેઠળની ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી થવી જોઈએ. જો કોઈ કારણોસર આ સિવાયની કોઈ હોસ્પિટલમાં ડિલિવરી કરવી પડે તો, ઈમર્જન્સી સર્ટીફીકેટ આપવાનું રહેશે.

અહીં નોંધપાત્ર બાબત એ છે કે જો મહિલા કર્મચારીને મેટરિનિટી લીવ મળી ગઈ હોય અને બાળકના મૃત્યુ સમયે પણ તે રજા પર હોય તો તે દિવસ સુધીની તેમની રજાઓની ગણતરી મેડિકલ સિવાયની અન્ય રજાઓમાં કરવામાં આવશે. અને બાળકના મૃત્યુના દિવસથી 60 દિવસની આ સ્પેશિયલ મેટરિનિટી લીવ લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ખાસ રજાઓના નિયમનું પાલન શુક્રવાર એટલે કે 2 સપ્ટેમ્બર 2022 ના રોજથી કરવામાં આવશે. વિભાગ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે, મહિલા કર્મચારી ગમે તે મંત્રાલય અથવા વિભાગમાં કામ કરતા હોય, જૂના કેસ ખોલવાની જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.