Abtak Media Google News

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાન મંત્રીની મહત્વપૂર્ણ જન હિત યોજના નલ સે જળ અન્વયે  ગુજરાત ૭૫ ટકા લોકોને ઘરે-ઘરે નળ દ્વારા પાણી  પહોંચાડીને દેશભરમાં આ યોજનામાં અગ્રેસર છે તેમ સ્પષ્ટ પણે જણાવી કોઇપણ વ્યકિતને  ફ્લોરાઇડ કે ક્ષાર યુક્ત પાણી પીવું ના પડે તેવી નેમ સાથે ડંકી મુક્ત ગુજરાતનો કોલ મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યો હતો. વિજયભાઈ રૂપાણીએ જામનગર મહાનગરમાં ઇડબલ્યુએસ આવાસ  સહિત ડ્રેનેજ અને પાણીની પાઇપ નવી લાઇનના તથા ઐતિહાસિક ભુજીયા કોઠા નવીનીકરણના કુલ ૧૫૫ કરોડના વિવિધ વિકાસ કામોના ઇ-લોકાપર્ણ અને ભૂમિપૂજન ગાંધીનગરથી કૃષિ મંત્રી આર.સી ફળદુ ની ઉપસ્થિતિમાં કર્યા હતા. મુખ્યમંત્રીએ જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે નગરો મહાનગરો ગામોના સ્થાનિક સત્તા તંત્ર વાહકોને લઘુત્તમ સાધનોનો મહત્તમ ઉપયોગ લોક હિત માટે કરી વિકાસયાત્રા અવિરત જારી રાખવાની શીખ આપી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ જામનગર મહાનગરને એક મહત્વપૂર્ણ ભેટ આપતા જામનગરના સુભાષબ્રિજના સાત રસ્તા પરના ઓવર બ્રિજ માટે ૧૫૫ કરોડ રૂપિયા રાજ્ય સરકાર તરફથી મંજુર કરવાની જાહેરાત કરી હતી અને તેના કામો  સત્વરે શરૂ કરીને નગરના વિકાસની ધોરીનસ સમાન આ પ્રોજેક્ટથી જામનગર આધુનિક ભવ્ય અને વિકાસશીલ મહાનગર બનાવવા આહ્વાન કર્યું હતું.  મુખ્યમંત્રીએ કોરોનાના આ કાળમાં પણ ગુજરાતની વિકાસ યાત્રા સતત આગળ વધતી રહી છે અને જન સહયોગથી કોરોના સામેની સતર્કતા સાથે  હારશે કોરોના જીતશે ગુજરાતના મંત્ર સાથે ગુજરાતના ખમીર અને ઝમીર જળક્યા છે તેમ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ ધ્રોલ નગર સેવા સદનના નવ નિર્મિત ભવનનો પણ લોકાર્પણ વીડિયો કોન્ફરન્સ મારફતે ગાંધીનગરથી કર્યો હતો. આ અવસરે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા , ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, પ્રવીણભાઇ મૂછડિયા, સાંસદ પૂનમ બહેન માડમ તેમજ મેયર જેઠવા અને  મહાનગરના તેમજ ધ્રોલ તાલુકા તેમજ નગરના પદાધિકારીઓ પણ જામનગર અને ધ્રોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.