Abtak Media Google News

ફ્રિઝ અને વોશીંગ મશીન સહિતના વ્હાઈટ ગુડ્ઝ સસ્તા થવાની અપેક્ષા જીએસટી દરમાં થયેલા ઘટાડાનો લાભ લોકો સુધી ડિસ્ટ્રીબ્યુશન ચેઈન પહોંચાડે તે સુનિશ્ર્ચિત કરવા કંપનીઓને તાકીદ.

સરકારે જીએસટી દરમાં ઘટાડો કરી અનેક જીવન જરૂરી વસ્તુઓમાં લોકોને રાહત આપી છે. જીએસટી દરમાં થયેલા ઘટાડાના કારણે વેપાર તેમજ નિકાસમાં હકારાત્મક વાતાવરણ ઉભુ થશે તેવી આશા સેવાઈ રહી છે. હવે સરકાર જીએસટીમાં વધુ ફેરફાર કરવાની તૈયારીમાં છે. વિગતો મુજબ સરકાર ટૂંક સમયમાં વ્હાઈટ ગુડ્સની કેટલીક વસ્તુઓને ૨૮ના બ્રેકેટમાંથી બહાર કાઢે તેવી સંભાવના છે. પરિણામે ફ્રિઝ અને વોશીંગ મશીન સહિતની ઈલેકટ્રોનિકસ વસ્તુઓના ભાવ ઘટશે.

Advertisement

ગત જીએસટી કાઉન્સીલની બેઠકમાં જીવન જ‚રી વસ્તુઓના જીએસટી દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં વ્હાઈટ ગુડ્સના દરને બાકાત રખાયો હતો. જો કે, હવે આ મામલે પણ લોકોને અને વેપારીઓને રાહતરૂપ નિર્ણય લેશે. સરકાર જીએસટીનું સરળીકરણ કરવા માટે ધીમે ધીમે પગલા લઈ રહી છે.

ગત અઠવાડિયે મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં રેસ્ટોરન્ટ ઉપરના જીએસટી દરને ૧૮ ટકાથી ઘટાડી ૫ ટકા કરાયો હતો.

આ ઉપરાંત ૨૦૦થી વસ્તુઓ ઉપરનો જીએસટી દર ઘટાડાયો હતો. હવે માત્ર ૫૦ વસ્તુઓ જ ૨૮ ટકા જીએસટીના બ્રેકેટમાં છે. જેમાંથી પણ કેટલીક વસ્તુઓને હટાવી દેવામાં આવે તેવી સંભાવના છે.

સરકાર દ્વારા આપવામાં આવતી જીએસટી રાહતોનો ફાયદો સીધો લોકો સુધી પહોંચે તે માટે કંપનીઓએ ડિસ્ટ્રીબ્યુશન ચેનમાં સુધારો કરવો જોઈએ તેવો મત ફાઈનાન્સ સેક્રેટરી હસ્મુખ અઢીયાએ વ્યકત કર્યો છે. તેમણે જીએસટી મામલે કહ્યું છે કે, તમામ લોકો જાણે છે કે, જીએસટી સૌથી મોટો આર્થિક સુધારો છે. જયારે પણ કોઈ મોટો ફેરફાર થાય ત્યારે તે સ્વીકારતા લોકોને સમય લાગતો હોય છે.

સુધારામાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. જેના પરિણામો લાંબાગાળે આવશે. સુધારાની રાહતો લોકો સુધી પહોંચાડવા કંપનીઓએ આગળ આવવું જોઈએ. કંપનીઓની ડિસ્ટ્રીબ્યુશન ચેન લોકો સુધી જીએસટી દરમાં થયેલા ઘટાડાનો લાભ પહોંચાડે તે કંપનીઓએ સુનિશ્ર્ચિત કરવું જોઈએ.

આ ઉપરાંત બીજી તરફ ગોલ્ડ સેવિંગ સ્કીમ માટે જીએસટીના નિયમોમાં જવેલર્સ રાહત ઈચ્છી રહ્યાં છે. હાલ જીએસટી દરેક સેવિંગ હપ્તા ઉપર લાગે છે. જેની જગ્યાએ ૩ ટકા જીએસટી સમગ્ર સ્કીમ ઉપર લાગે તેવી માંગણી થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.