Abtak Media Google News

આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે મહાપાલિકાની ટીપી શાખા દ્વારા નવયુગપરા અને ભગવતીપરા સહિતના એવા વિસ્તારો કે જે આજે નદીના કાંઠે આવેલા છે ત્યાં મકાનધારકોને ડિમોલિશનની નોટિસ ફટકારવામાં આવી છે. દરમિયાન આજે વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીની આગેવાનીમાં શહેર કોંગ્રેસના આગેવાનો  દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે ડિમોલિશનના અસરગ્રસ્તોને આવાસ ફાળવ્યા બાદ જ તેઓના મકાન પદવામાં આવે.

Dsc 0719

કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આજી નદીના કાંઠે વસતા લોકોને ડિમોલિશનની નોટિસ ફટકારવામાં આવી છે અને એવી તાકીદ કરાઈ છે કે સાત દિવસમાં  મકાન તોડી પાડવામાં આવશે.અહીં ખૂબ ગરીબ અને સામાન્ય વર્ગેના લોકો વસવાટ કરી રહ્યા છે. તેઓ વર્ષોથી મનપાને નિયમિત વેરો ભરપાઇ કરે છે. કોર્પોરેશન દ્વારા પણ તેઓને લાઈટ સફાઈ રોડ રસ્તા અને ડ્રેનેજ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.  ચોમાસાની સીઝન નજીક છે. ત્યારે જ તેઓના ઘરનું ડિમોલિશન કરાશે તો તેઓ વરસાદમાં રઝળી પડશે.સૃપ્રિમ કોર્ડના આદેશ મુજબ ડિમોલિશનની કામગીરી ચોમાસામાં કરી શકાતી નથી.આવામાં જ્યાં  સુધી વૈકલ્પિક આવાસની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આજી નદી કાંઠે વસવાટ કરતા લોકોના મકાન ન તોડવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવે છે.

કોંગી આગેવાનોએ વધુમાં ઉમેર્યું હતું કે, કોર્પોરેશન દ્રારા પુનઃવસવાટ કાર્યક્રમ હેઠળ આજી નદીમાં  રામનાથ મંદિર પાસે વસતા લોકોને આવાસ યોજનાના ક્વાર્ટર જે તે સમયે ફાળવવામાં આવ્યા બાદ જ તેમના મકાન તોડવામાં આવ્યા હતા.હવે જ્યારે આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે આશરે ૬૦૦ જેટલા મકાનોનું ડિમોલિશન કરવાનું થાય છે. ત્યારે તમામ અસરગ્રસ્તોને પહેલા ક્વાર્ટરમાં ફાળવ્યા બાદ જ ડિમોલિશન કરવામાં આવે તેવી માગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.