Abtak Media Google News

શેલમ હળદરની ખેતીમાં મળી સફળતા, ગત  વર્ષે 150 મણ હળદર દળીને જાત મહેનતે વેચી

રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. બાગાયત વિભાગની બાગાયતી પાકોમાં મશીનરી ખરીદીમાં સબસીડીની યોજનાના લાભ થકી અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામના ખેડૂત  રાણાભાઈ હડિયા આત્મનિર્ભર બન્યા છે.  અમરેલી જિલ્લામાં બાગાયતી ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત રાણાભાઇ હડિયાએ ખેતીક્ષેત્રે નવો ચીલો ચાતરીને સફળતા મેળવી છે. પ્રાકૃતિક ખેતી દ્વારા હળદરની ખેતી કરી અને ખેડૂત રાણાભાઈએ સફળતાનો સ્વાદ ચાખ્યો છે. લીલી હળદરની ખેતી કરતા સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામના ખેડૂત  રાણાભાઈ હડિયાએ ફક્ત ખેત ઉત્પાદન પૂરતી તેમની કામગીરીઓને સીમિત ન રાખી, જાતે જ શેલમ હળદર દળવાની શરુઆત કરી છે.

Advertisement

શેલમ હળદરની ખેતી અને તેને દળવા સહિતની સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ તકે  રાણાભાઈ હડિયા જણાવે છે કે, હું છેલ્લા પાંચ વર્ષથી લીલી હળદરની ખેતી કરુ છુ, મારે મુખ્ય ખેતીકામ કેળના બગીચા સંબંધિત છે, જો કે, મને પ્રગતિશીલ ખેતીમાં રસ હોવાથી હું અવનવી ખેતી વિશે માહિતી મેળવતો  આ દરમિયાન મને રામોદમાં લીલી હળદરની ખેતી કરતા ખેડૂત  રાજુભાઈ નાથાણી પાસેથી હળદરની આ ખેતી વિશે જાણવા મળ્યું.

શરુઆતમાં હળદર દળાવવા માટે હું સાવરકુંડલા ખાતે જતો હતો પરંતુ તેમાં કિંમત મજૂરી સહિતની ખરાજાત વધી જતાં આર્થિક રીતે તે સ્થિતિ અનુકૂળ આવે તેમ નહોતી.રાસાયણિક ખાતરના ઉપયોગ વિના  સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરે છે, જેમાં તેઓ, જીવામૃત સહિતનો ઉપયોગકરીએ.. તેઓએ  સરકારની યોજના થકી મળેલી સફળતા વિશે વાત કરતા ઉમેર્યુ કે, આ બધી કામગીરી અને વિવિધ માહિતી મેળવતા મને બાગાયત વિભાગની યોજના વિશે જાણવા મળ્યુ. મેં હળદર દળવા માટે પલ્વલરાઈઝરની ખરીદી માટે સબસીડી મેળવવા માટે બાગાયત વિભાગની નિયત અરજી આપી હતી. બજારમાં આ પલ્વરાઈઝરની કિંમત રુ.92 હજાર છે, પલ્વરાઈઝરની ખરીદી માટે મને બાગાયત વિભાગ દ્વારા 75 ટકા સબસીડી એટલે કે રુ.70 હજારની સહાય મળી છે.

આ મશીનના ઉપયોગ થકી અમે જાતે જ હળદર દળીને વેચાણ પ્રવૃત્તિ પણ કરી રહ્યા છીએ. ગત વર્ષે મેં આશરે 150 મણ હળદરનું વેચાણ કર્યુ હતુ. ઓર્ગેનિક હળદર પાવડરનો બજાર ભાવ પ્રતિ કિલો રુ.200 સુધી મળતો હોવાના કારણે આ ખેતીમાં આર્થિક રીતે પણ સારી સફળતા મળી છે.બાગાયત વિભાગની યોજના વિશે માહિતી આપતા નાયબ બાગાયત નિયામક વાળાએ જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા બાગાયતી ખેડૂતોને મશીનરીની ખરીદી માટે 75 ટકા સુધીની સબસીડી આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ માર્ચ/એપ્રિલ મહિનામાં આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે અને ત્યારબાદ દસ્તાવેજી વિગતોના આધારે ખેડૂતોને સહાયતા આપવામાં આવે છે. અમરેલી જિલ્લાના બાગાયતી ખેડૂતો આ વર્ષે આ યોજનામાં લાભ મેળવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.