Abtak Media Google News

શરદી-ઉધરસના 318, સામાન્ય તાવના 78 અને ઝાડા-ઉલ્ટીના 82 કેસ: મચ્છરોની ઉત્પતિ સબબ 874ને નોટિસ

સતત વરસાદી વાતાવરણના કારણે શહેરમાં રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના કેસમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન તોતીંગ ઉછાળો નોંધાયો છે. કોરોનાના કહેર વચ્ચે ડેન્ગ્યૂ અને મેલેરિયાએ પણ દેખા દેતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં ડેન્ગ્યૂનો એક અને મેલેરિયાનો એક કેસ નોંધાયો છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના 13 અને મેલેરિયાના 7 કેસો નોંધાઇ ચુક્યા છે. શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન શરદી-ઉધરસના 318 કેસ, સામાન્ય તાવના 78 કેસ અને ઝાડા-ઉલ્ટીના 82 કેસ નોંધાયા છે.

રોગચાળાને નાથવા માટે 18,839 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 144 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. બિનરહેણાંક મિલકત, બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, વાડી, હોલ, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત કુલ 797 સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રહેણાંક વિસ્તારોમાં મચ્છરોની ઉત્પતિ મળી આવતા 874 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.