Abtak Media Google News
  • જર્મની રહેતા મૂળ ભારતીય માતા-પિતા બાળકીના ઉછેર માટે સક્ષમ ન હોવાનું જણાવી 7 મહિનાની બાળકીને છીનવી લેવાય હતી : છેલ્લા 20 મહિના સુધી લાંબી લડત ચલાવ્યા બાદ હવે અરીહા વતનવાપસીની આશા પ્રબળ બની
જર્મની રહેતા મૂળ ભારતીય માતા-પિતા તેમની 7 મહિનાની બાળકી અરીહાના ઉછેર માટે સક્ષમ ન હોવાનું જણાવી ત્યાંની સરકારે બાળકીનો કબ્જો લઈ લીધો હતો અને ત્યાના એક દંપતીને તેનો કબ્જો સોંપ્યો હતો. માતા પિતાની છેલ્લા 20 મહિનાની લડતને અંતે હવે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે અને તેને જર્મનીને આ બાળકીને ભારત સોંપવા માટે દરખાસ્ત કરી છે.
જર્મનીના બર્લિનમાં એક ભારતીય દંપતી પોતાની જ પુત્રી અરિહાને મેળવવા માટે 15 મહિનાથી કાનૂની લડત લડી રહ્યું છે. ગુજરાતી મૂળનો આ પરિવાર બર્લિનમાં રહતો હતો. અરિહાના પિતા અહીં વર્ક વિઝા પર આવ્યા હતા અને સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. તેમની બાળકી જર્મનીમાં ચાઈલ્ડ સર્વિસની કસ્ટડીમાં છે. અહીં બાળકની માતા મુંબઈમાં જર્મન એમ્બેસીની બહાર વિરોધ પ્રદર્શન કરી રહી છે. હવે આ અંગે ભારત સરકાર તરફથી એક નિવેદન પણ સામે આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે જર્મનીને વિનંતી કરી રહ્યા છીએ કે તે અરિહા શાહને ભારત પરત કરે. તે એક ભારતીય નાગરિક છે અને 2021માં જ્યારે તેણી 7 મહિનાની હતી ત્યારે તેને જર્મનીની યુવા કલ્યાણની કસ્ટડીમાં રાખવામાં આવી હતી. હવે તે છેલ્લા 20 મહિનાથી પાલક ઘરમાં છે. જો કે હવે તેને એક સરકારી સંસ્થામાં રાખવામાં આવી છે.
અરીહા 20 મહિનાથી અમારાથી દુર છે : ધારા શાહ
જર્મનીમાં કેર ફેસિલિટીમાં રહેતી અરિહા શાહની માતા ધારા શાહે જણાવ્યું કે અમારી અરીહા 20 મહિનાથી અમારાથી દૂર છે. અમે તેના ડાયપરમાં લોહી જોયું તેથી અમે તેને પહેલા ડૉક્ટર પાસે લઈ ગયા તેઓએ કહ્યું કે બધું સારું છે પરંતુ જ્યારે અમે ફરીથી ગયા ત્યારે તેઓએ બાળકીને બાળ ગૃહમાં મોકલીને તેનું જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો. મને ભારત સરકાર પર વિશ્વાસ છે, હું વિનંતી કરું છું કે તરત જ આ મામલે પીએમ સ્તરે હસ્તક્ષેપ થવો જોઈએ.
અરીહા ભારતની નાગરિક, સંસ્કૃતિ અને ધાર્મિકતાને લઈને તેની સાથે અન્યાય ન થાય તે જરૂરી
તેમણે કહ્યું, આપણું દૂતાવાસ જર્મન સત્તાવાળાઓને વિનંતી કરી રહ્યું છે કે અરિહાને લઈને સાંસ્કૃતિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિ સાથે કોઈ ચેડા ન થાય. દુતાવાસે જણાવ્યું કે અમે જર્મન સત્તાવાળાઓને વિનંતી કરીએ છીએ કે અરિહાને વહેલામાં વહેલી તકે ભારત મોકલવાના તમામ પ્રયાસો કરે, જે ભારતીય નાગરિક તરીકે તેનો અધિકાર પણ છે. અમે અરિહા શાહની ભારત પરત ફરવાની ખાતરી કરવા માટે કટિબદ્ધ છીએ.
હાલ અરીહાને અનાથ અને દિવ્યાંગ બાળકોના કેન્દ્રમાં રખાઈ!
ભારતીય બાળકી અરિહા શાહને છેલ્લા 20 મહિનાથી જર્મનીના બાળ સંભાળ કેન્દ્રમાં રાખવામાં આવી છે. આ કેન્દ્રમાં અનાથ અને મેન્ટલી ચેલેન્જ બાળકોને રાખવામાં આવે છે. તેની સાથે અરીહાને રાખવામાં આવી છે. જે અંગે તેમની માતા ધારા શાહે રોષ ઠાલવતા કહ્યું કે ત્યાં માનવતા મરી પરવારી છે. ત્યાનું તંત્ર એક બાળકીને સારી જગ્યાએ રાખવા માંગતું નથી. વધુમાં તેઓએ ઉમેર્યું કે ત્યાનું તંત્ર કોર્ટ ડીસીઝનની રાહ જોવે છે. હવે કોર્ટ તો કેટલાય વર્ષે નિર્ણય આપે ત્યાં સુધી શુ બાળકીને આવી જગ્યાએ રાખવી યોગ્ય ગણાય ? વધુમાં તેઓએ કહ્યું કે સાયકોલોજી એક્સપર્ટ પણ એવું કહી રહ્યા છે કે બાળકીને ભારતમાં માતા પિતા કે અન્ય સંબંધીઓને ત્યાં મોકલી દેવી જોઈએ. તેમ છતાં ત્યાનું તંત્ર કોઈ પગલાં લેતું નથી.
અરીહાના સમર્થનમાં 59 સાંસદોએ જર્મનીના રાજદૂતને લખ્યો પત્ર
ભારતે જર્મની પર આ બાળકીને વતન લાવવા મોકલવા માટે દબાણ વધારી દીધું છે.  ભારતે જર્મની પાસે આરિયાને વહેલી તકે ઘરે મોકલવામાં મદદ કરવાની માંગ કરી છે.  બાળકી તેના પોતાના ભાષાકીય, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વાતાવરણમાં ઉછરે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી તરફ, લોકસભા અને રાજ્યસભામાં 19 રાજકીય પક્ષોના 59 સાંસદોએ શુક્રવારે નવી દિલ્હીમાં જર્મનીના રાજદૂત ડૉ. ફિલિપ એકરમેનને પત્ર લખીને અરિહાને ભારત લાવવાની તેમની માંગણી પહોંચાડવા અને વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. જેથી અરિહા ભારત પરત ફરી શકે.  વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારત સરકાર અને બર્લિનમાં ભારતીય દૂતાવાસ સતત આર્યા શાહને ઘરે લાવવાનો પ્રયાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.